AI યુગમાં સર્જનાત્મકતા જ ભવિષ્ય બચાવશે!:બાળકોની કારકિર્દીની ચિંતામાં વ્યાકુળ માતા-પિતા માટે એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગની ખાસ સલાહ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઝડપી દુનિયામાં ઘણીવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળકોએ હવે કયો વિષય ભણવો જોઈએ, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. પરંતુ વિશ્વની સૌથી મોટી AI ચિપ કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગનો અભિપ્રાય આનાથી તદ્દન અલગ છે. તેમનું કહેવું છે કે, 'AIના યુગમાં શું ભણવું તેના કરતાં AIનો ઉપયોગ કરીને કેટલું સારું શીખવું તે વધુ મહત્વનું રહેશે.' સિંગાપોરની એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં હુઆંગે કહ્યું કે, 'માતા-પિતાએ એ વાતને લઈને ચિંતિત ન થવું જોઈએ કે, તેમના બાળકો કયો વિષય પસંદ કરી રહ્યા છે. જે વસ્તુઓ પહેલા મહત્વપૂર્ણ હતી, જેમ કે સર્જનાત્મકતા, વાર્તા કહેવાની ક્ષમતા, સમજદારી અને માનવીય જોડાણ, તે ભવિષ્યમાં પણ સૌથી વધુ મહત્વની રહેશે.' હુઆંગે જાપાની વિચાર વાબી-સાબીનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં અપૂર્ણતાની સુંદરતાને મહત્વ આપવામાં આવે છે. તેમનો સંકેત હતો કે AIની પરફેક્ટ દુનિયામાં માણસોની ભાવનાઓ, ભૂલો અને વ્યક્તિગત શૈલી જ સૌથી ખાસ બની શકે છે. જેસન હુઆંગે નોકરીઓને ટાસ્કની ટોપલી ગણાવી. તેમના મતે AI ઘણા પુનરાવર્તિત કાર્યોને સ્વયંસંચાલિત (ઓટોમેટ) કરી દેશે, પરંતુ તેનાથી માણસોને વધુ મુશ્કેલ, રચનાત્મક અને વ્યૂહાત્મક કામ કરવાનો સમય મળશે. તેમણે એમ પણ કહ્યું કે, AI માણસોને આળસુ નહીં બનાવે. જેમ કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન આવ્યા પછી લોકો ઓછા વ્યસ્ત ન થયા, પરંતુ વધુ કામ કરવા લાગ્યા, તેમ જ AI પણ માનવીય મહત્વાકાંક્ષાને વધારશે. AIના યુગમાં બાળકો માટે રચનાત્મક વિચારસરણી, AI ટૂલ્સનો સ્માર્ટ ઉપયોગ, જિજ્ઞાસા અને સતત શીખવાની માનસિકતા જાળવી રાખવી જરૂરી છે. પત્રકારત્વ, કલા, સ્ટોરીટેલિંગ ક્યારેય જૂનું નહીં થાય હુઆંગે ખાસ કરીને પત્રકારત્વ, કલા, ડિઝાઇન અને સ્ટોરીટેલિંગ જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો. તેમનું કહેવું છે કે, 'AI માહિતી આપી શકે છે, પરંતુ મનુષ્યો જેવી સંવેદનશીલ વાતચીત, યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નો પૂછવા અને લોકોને જોડતી વાર્તા બનાવવી હજુ પણ માનવીય ક્ષમતા છે.' તેમણે કહ્યું કે, 'એક સારો ઇન્ટરવ્યુઅર માત્ર તૈયારી કરતો નથી, પરંતુ સામેવાળાને ધ્યાનથી સાંભળે છે અને તે જ ક્ષણે વધુ સારી પ્રતિક્રિયા આપે છે. મનુષ્યોનો આ જ ધારણા બનાવવાનો ગુણ ભવિષ્યની સૌથી મોટી તાકાત હશે.'
Read Original Article →