CSKને દાઝ્યા ઉપર ડામ લાગ્યો!:આ 5 કારણોથી ખરાબ રીતે IPL પ્લેઓફમાંથી બહાર થઈ, ઋતુરાજ સહિત ટીમ પ્લેયર્સને લાખોનો દંડ ફટકારાયો
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સફર અત્યંત આઘાતજનક અને નિરાશાજનક રીતે સમાપ્ત થઈ છે. ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે 89 રનની કારમી હાર વેઠ્યા બાદ ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી ઓફિશિયલી બહાર થઈ ગયું છે. આ શરમજનક હારની વચ્ચે IPL ગવર્નિંગ કાઉન્સિલે પણ આખી CSK ટીમ પર મોટો આર્થિક દંડ ફટકારીને 'દાઝ્યા ઉપર ડામ' દીધો છે. કેપ્ટન ઋતુરાજને 24 લાખ અને ટીમને 6-6 લાખનો દંડ ગુજરાત સામેની મેચમાં સ્લો ઓવર-રેટ બદલ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ₹24 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. IPLની સત્તાવાર યાદી મુજબ, આ સીઝનમાં ચેન્નઈની આ બીજી ભૂલ (પહેલી ભૂલ મેચ નંબર 18માં થઈ હતી) હોવાથી, આ વખતે માત્ર કેપ્ટન જ નહીં પરંતુ પ્લેઇંગ ઇલેવનના તમામ સભ્યો અને ઇમ્પેક્ટ પ્લેયરને પણ સજા ભોગવવી પડી છે. બાકીના તમામ ખેલાડીઓને ₹6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે. 230 રનના ટાર્ગેટ સામે CSK પત્તાની જેમ વિખેરાયું ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સામે 230 રનનો પહાડ જેવો ટાર્ગેટ મૂક્યો હતો. રનચેઝ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત જ આપત્તિજનક રહી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પહેલા જ બોલે શૂન્ય રને (ગોલ્ડન ડક) આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. શિવમ દુબેએ 17 બોલમાં 47 રનની આક્રમક ઇનિંગ રમીને થોડી આશા જરૂર જગાવી હતી, પરંતુ તે ટીમને જીતાડવા માટે પૂરતી નહોતી. અંતે આખી ટીમ નિષ્ફળ રહી અને 89 રનથી મેચ ગુમાવી દીધી. એમએસ ધોનીના ભવિષ્ય પર અસમંજસના વાદળો અને ખેલાડીઓના આ ફ્લોપ શો બાદ, આગામી સીઝનમાં ચેન્નઈની ટીમમાં મોટા ફેરફારો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. CSKના આ સીઝનમાં 'બંટાધાર' પાછળના 5 મુખ્ય કારણો: 1. ઠોસ રણનીતિનો સંપૂર્ણ અભાવ આ આખી સીઝન દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મેદાન પર કોઈ ચોક્કસ પ્લાનિંગ કે આયોજન વગર ઉતરતી હોય તેવું લાગ્યું. વિરોધી ટીમના બેટ્સમેનો અને બોલરો સામે મેચની પરિસ્થિતિ મુજબ જે વ્યૂહાત્મક પરિવર્તન લાવવું જોઈએ, તેનો ચેન્નઈના ખેમામાં તદ્દન અભાવ હતો. પિચના મિજાજને સમજવામાં મેનેજમેન્ટ અને ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. 2. ટોપ ઓર્ડરનું સતત ફ્લોપ થવું T20 ક્રિકેટમાં પાવર-પ્લે અને ઓપનિંગ પાર્ટનરશિપ સૌથી મહત્વની હોય છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં CSKનું ટોપ ઓર્ડર રન બનાવવા માટે સતત સંઘર્ષ કરતું રહ્યું. કરો કે મરો સમાન આ છેલ્લી મેચમાં પણ સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો, જ્યારે કેપ્ટન ગાયકવાડ અને મેથ્યુ શોર્ટ પણ સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યા નહીં. આના કારણે મિડલ ઓર્ડર પર દબાણ અસહ્ય થઈ ગયું. 3. ટ્રાન્ઝિશન અને કોમ્બિનેશનની મૂંઝવણ ટીમ આ સીઝનમાં નવા અને જૂના ખેલાડીઓ વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવામાં જ અટવાયેલી રહી. મેચ બાદ કેપ્ટન ઋતુરાજે પોતે સ્વીકાર્યું કે, રામકૃષ્ણા ઘોષ અને ક્રેગ ઓવરટનના અચાનક ટીમમાંથી બહાર થવાને કારણે ટીમનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. આ બંને ખેલાડીઓના જવાથી ટીમમાં એક મુખ્ય બોલર અને ઉપયોગી બેટ્સમેનની જે ખોટ પડી, તેની ભરપાઈ ટીમ છેલ્લી ઘડી સુધી કરી શકી નહીં. 4. મિડલ ઓર્ડરમાં અનુભવની કમી આ સીઝનમાં ચેન્નઈની સૌથી નબળી કડી તેનો મિડલ ઓર્ડર સાબિત થયો. આંકડાઓ પર નજર કરીએ તો, આ વર્ષે મિડલ ઓર્ડરમાં રમતા લગભગ 8 થી 10 ખેલાડીઓ એવા હતા જેમને IPLમાં 20 મેચ રમવાનો પણ અનુભવ નહોતો. આ અનુભવનું પરિણામ એ આવ્યું કે જ્યારે પણ ટોપ ઓર્ડર ફ્લોપ થયો, ત્યારે આ યુવા ખેલાડીઓ દબાણ સહન ન કરી શક્યા અને ગેરજવાબદાર શોટ્સ રમીને પોતાની વિકેટો ફેંકી દીધી. 5. નબળી બોલિંગ અને નેટ રન રેટ ચેન્નઈના બોલરો પાવર-પ્લે કે ડેથ ઓવર્સમાં રન રોકવામાં બિલકુલ નકામા સાબિત થયા. ગુજરાત સામેની મેચમાં પણ બોલરોએ લાઇન-લેન્થ ગુમાવીને 229 રન લૂંટાવી દીધા. આ નબળા પ્રદર્શનના કારણે ટીમે આ સીઝનમાં ઘણી મહત્વની મેચો ખૂબ મોટા માર્જિનથી ગુમાવવી પડી હતી, જેની સીધી નકારાત્મક અસર ટીમના નેટ રન રેટ (NRR) પર પડી અને પ્લેઓફમાં ક્વોલિફાય થવાનું ગણિત જ આખું બગડી ગયું.
Read Original Article →