ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં:શક્તિસિંહ નિવૃત્ત; ગુજરાતની 4 સહિત 24 બેઠકો માટે 18 જૂને મતદાન
ચૂંટણી પંચ (EC)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને ચૂંટણી યોજાશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન છે. આ બેઠકોના વર્તમાન સભ્યો 21 જૂનથી 19 જુલાઈ દરમિયાન નિવૃત્ત થઈ રહ્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ, સંબંધિત રાજ્યોમાં રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે. નિવૃત્ત થનારા સભ્યોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા સહિત 24 અન્ય સાંસદોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ મુજબ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો માટે મતદાન યોજાશે. ઝારખંડમાં પણ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક રાજ્યસભા બેઠક માટે મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે. ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સાંસદો રામ મોકરીયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજસ્થાનના રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો પણ ખાલી થવા જઈ રહી છે. રાજ્યવાર અલગ-અલગ 24 બેઠકોની યાદી આંધ્ર પ્રદેશ (4 બેઠકો) ગુજરાત (4 બેઠકો) ઝારખંડ (2 બેઠકો) મધ્ય પ્રદેશ (3 બેઠકો) મણિપુર (1 બેઠક) મેઘાલય (1 બેઠક) રાજસ્થાન (3 બેઠકો) અરુણાચલ પ્રદેશ (1 બેઠક) કર્ણાટક (4 બેઠકો) મિઝોરમ (1 બેઠક) ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, રાજ્યસભાના 24 સભ્યો માટે ચૂંટણી યોજાશે જેમનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026માં પુરો થાય છે. આ ચૂંટણીઓ માટે ઉમેદવારો 8 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકે છે, જ્યારે ફોર્મની ચકાસણી 9 જૂને થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીઓ આ રીતે યોજાય છે. રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ જનતા દ્વારા નહીં, ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. ચૂંટણીઓ દર બે વર્ષે યોજાય છે કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે, અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વનિર્ધારિત છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 છે.
Read Original Article →