પહેલગામ આતંકી હુમલાને એક વર્ષ, સેના બોલી- ન્યાય હંમેશા થશે:મોદીએ કહ્યું- ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં, નાપાક ઇરાદાઓ સફળ થશે નહીં
પહેલગામ આતંકી હુમલાને આજે (22 એપ્રિલે) એક વર્ષ પૂર્ણ થયું. કાશ્મીરના તમામ ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ખીણમાં કામ કરતા દરેક પોની, સર્વિસ પ્રોવાઈડર, લોકલ ગાઈડ માટે QR કોડ આધારિત સ્પેશિયલ ચેકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. 22 એપ્રિલ 2025ના રોજ આતંકવાદીઓએ બૈસરન વેલીમાં ફરવા આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા. આ તરફ આતંકી હુમલાને યાદ કરતા પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું છે- ગયા વર્ષે આજ જ દિવસે પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી રહ્યો છું. તેમને ક્યારેય ભૂલાશે નહીં. એક રાષ્ટ્ર તરીકે, આપણે દુઃખ અને સંકલ્પમાં એકજૂટ છીએ. ભારત આતંકવાદના કોઈપણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ થશે નહીં." આતંકી હુમલાની વરસી પર ભારતીય સેનાના 2 નિવેદનો… બૈસરનમાં બનેલું સ્મારક… હવે વાંચો તે 4 ઘરોની દાસ્તાન જ્યાં આજે પણ સન્નાટો છે… 1. લેફ્ટનન્ટ વિનય નરવાલ સમય વીતી ગયો છે, પણ જાણે દર્દ ત્યાં જ થંભી ગયું છે પહેલગામમાં જીવ ગુમાવનાર હરિયાણાના 26 વર્ષીય લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ હતા. તેમના પિતા રાજેશ નરવાલ દીકરાનો ઉલ્લેખ કરે છે, ત્યારે તેમનો અવાજ ભરાઈ આવે છે અને શબ્દો આંસુમાં ભળી જાય છે. તેઓ કહે છે, ‘દીકરો દેવદૂતની જેમ આવ્યો અને જતો રહ્યો... હવે તો બસ તેની યાદોનો અનંત પ્રવાસ બાકી છે.’ લેફ્ટનન્ટ વિનય કરનાલના રહેવાસી હતા. પહેલગામ હુમલાના 6 દિવસ પહેલા લગ્ન થયા હતા. તેઓ પત્ની હિમાંશી સાથે કાશ્મીર ગયા હતા. માતા-પિતાના એકમાત્ર દીકરા હતા. ત્રણ વર્ષ પહેલા જ નેવીમાં ભરતી થયા હતા. પિતા જણાવે છે- લગ્નની તૈયારીઓ વચ્ચે વિનય તેમના મામા અને હું શોપિંગ માટે દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે વિનયે રસ્તામાં ભવિષ્યનો પ્લાન જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે નક્કી કર્યું છે કે બાળકોના નામ શું હશે. ઈન્વેસ્ટમેન્ટનો શું પ્લાન છે. 50 વર્ષની ઉંમર પછી જીવન કેવું હશે...। તેણે ઘરને પણ ફરીથી બનાવવાની વાત કરી હતી. અમારું દર્દ તો જાણે તે જ દ્રશ્યમાં અટકી ગયું છે, વારંવાર દિલ રડી ઉઠે છે. આ ગહન દુઃખની વચ્ચે શ્રીમદ્ભાગવત ગીતાનો પાઠ જ અમારો એકમાત્ર આધાર છે. પિતાને ગર્વ છે કે સરકારે ‘ઓપરેશન સિંદૂર’થી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો, પણ તેમની એક કસર બાકી છે. તેઓ ઈચ્છે છે કે વિનયની સ્મૃતિમાં કોઈ મેડિકલ કોલેજ કે યુનિવર્સિટીનું નામ રાખવામાં આવે જેથી તેની સેવા ભાવના અમર રહે. 1 મેના રોજ વિનયના જન્મદિવસ પર પરિવાર રક્તદાન શિબિર યોજીને પોતાના ‘દેવદૂત’ને યાદ કરશે. 2. બિતાન અધિકારીના ઘરમાં હવે મીઠાઈઓ બનાવવામાં આવતી નથી કોલકાતાના રહેવાસી 40 વર્ષીય બિતાન અધિકારી સોફ્ટવેર એન્જિનિયર હતા. તેઓ અમેરિકાના ફ્લોરિડામાં ટીસીએસમાં કાર્યરત હતા. પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે રજાઓ ગાળવા કાશ્મીર ગયા હતા. પત્ની અને બાળકની સામે તેમને ગોળી મારવામાં આવી હતી. દક્ષિણ કોલકાતાના સૂના ઘરમાં 75 વર્ષીય માયા અધિકારી કહે છે, 'હવે કોના માટે બનાવું? જે ખાવાના શોખીન હતા, તે જ ચાલ્યા ગયા….' આ શબ્દો તેમનું દર્દ વ્યક્ત કરે છે. 22 એપ્રિલ 2025ના રોજ પુત્ર બિતાન અધિકારીના મૃત્યુના સમાચારથી પરિવાર ભાંગી પડ્યો. અમેરિકાથી પરત ફરેલા બિતાને 15 એપ્રિલે 'પોઇલા બૈસાખ' પર માતાને મળીને આવવાનું વચન આપ્યું હતું, પરંતુ ઘરે તેમનો મૃતદેહ પાછો ફર્યો. એક વર્ષ પછી પણ માતાનું દુઃખ ઓછું થયું નથી. તેઓ કહે છે કે હવે ન તો દૂધ પીવે છે, ન તો મીઠાઈ બનાવે છે—કારણ કે ખાનાર જ નથી રહ્યો. 2016માં અમેરિકા ગયેલા બિતાને 2018માં આ ઘર બનાવ્યું હતું અને ઘરની દરેક વસ્તુ તેણે જ ખરીદી હતી. તેમની કોઈ તસવીર ઘરમાં રાખવામાં આવી નથી, કારણ કે તેને જોવું માતા માટે અસહ્ય છે. માયા અધિકારી વહુ સાથે ફોન પર વાત કરે છે, જે પતિને ગુમાવ્યા પછી નાના બાળકની જવાબદારી સંભાળી રહી છે. તેઓ પોતાના ગુરુદેવની પૂજા કરીને આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે અને 22 એપ્રિલે દીકરાની યાદમાં ઘરે પૂજા કરશે. 3. સંતોષ જગદાલેએ દીકરીને બચાવી, પણ પોતે માર્યા ગયા પહેલગામમાં જીવ ગુમાવનાર મહારાષ્ટ્રના પુણે નિવાસી 50 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર સંતોષ જગદાલે પરિવાર અને એક મિત્ર સાથે ફરવા ગયા હતા. તેમણે બહાદુરી બતાવતા આતંકવાદીઓનો સામનો કર્યો અને પોતાની દીકરીનો જીવ બચાવતા માર્યા ગયા. તેમના મિત્રનું પણ મૃત્યુ થયું. તેમનું બલિદાન હવે પરિવારની પ્રેરણા છે. ‘પપ્પાએ છેલ્લી ઘડીએ પણ હિંમત આપી… ‘ડરશો નહીં, હું છું’ એમ કહેતા તેઓ અમારા માટે ઊભા રહ્યા.’ પહેલગામ હુમલામાં પિતા સંતોષ જગદાલેને ગુમાવનાર આસાવરી જગદાલે આ કહેતા ભાવુક થઈ જાય છે. પરિવાર સાથે ફરવા ગયેલી તે પળો તેમનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. બૈસરન ઘાટીની સુંદરતા વચ્ચે અચાનક થયેલા હુમલામાં પરિવારનો આધાર જ છીનવાઈ ગયો. માતાનું વિશ્વ એક પળમાં તૂટી ગયું અને દાદીએ પોતાનો દીકરો ગુમાવી દીધો. ‘એક દીકરી માટે પિતા જ તેનો હીરો હોય છે, અમારા માટે તેઓ જ સર્વસ્વ હતા,’ આ કહેતા આસાવરીનો અવાજ ભરાઈ આવે છે. શરૂઆતમાં તેમની પાસે બહુ ઓછા પૈસા હતા, પછી સરકારી મદદ મળી, પરંતુ માનસિક પીડા ક્યાંય વધુ ઊંડી હતી. લગભગ સાડા 11 મહિના સુધી સંઘર્ષ કર્યા પછી તેમને પુણે નગર નિગમમાં નોકરી મળી, જેનાથી પરિવારને ટેકો મળ્યો. આસાવરી કહે છે, 'પપ્પા આજે સાથે નથી, પરંતુ તેમના શબ્દો હંમેશા મારી સાથે છે.' આસાવરીએ આ દર્દનાક અનુભવ પછી સમાજ માટે કંઈક કરવાનો સંકલ્પ લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે પોતાના પગારનો એક ભાગ જરૂરિયાતમંદો પર ખર્ચ કરશે. 'હવે ઘરની જવાબદારી મારી છે અને દેશસેવા જ મારો પહેલો લક્ષ્ય છે,' તે દ્રઢતાથી કહે છે. 4. શુભમ દ્વિવેદીનો પરિવાર દર મહિને 22 તારીખે ભોજન કરાવે છે કાનપુરના રહેવાસી 30 વર્ષીય વેપારી શુભમ દ્વિવેદી અને તેમની પત્ની ઐશન્યા પરિવારના 11 લોકો સાથે પહેલગામ ગયા હતા. આતંકવાદીઓએ પહેલા તેમનું નામ પૂછ્યું પછી માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટનાના બે મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. ઐશન્યા કહે છે, ‘લાઇફ પાર્ટનરની સામે તેના પતિને મારી નાખવામાં આવે, તો તેને કોઈ ક્યારેય ભૂલી શકતું નથી. આ આખી જિંદગીનું દુઃખ છે. મને નથી લાગતું કે હું તમને કોઈ એક ક્ષણ કહી શકીશ, કારણ કે જ્યારે તમે કોઈને ગુમાવો છો ત્યારે દરેક દિવસ મુશ્કેલ બની જાય છે. પછી ભલે તે તહેવાર હોય કે એનિવર્સરી. અમારા લગ્નને બે મહિના જ થયા હતા. મેં તેની સાથે કોઈ એનિવર્સરી ઉજવી નહોતી, કે ન કોઈ તહેવાર. જ્યારે પણ હું કંઈક સારું કામ કરું છું, ત્યારે કહેવાનું મન થાય છે, પછી લાગે છે કે કોને કહું. સૌથી વધુ 26 ફેબ્રુઆરીએ શુભમના જન્મદિવસ અને 12 ફેબ્રુઆરીએ જે દિવસે અમારા લગ્ન થયા હતા તે દિવસે તેની ખૂબ યાદ આવી.’ ત્યાં પિતા સંજય દ્વિવેદી ઓફિસમાં દીકરાની તસવીર જોયા પછી જ કામ શરૂ કરે છે. તેઓ દર મહિનાની 22 તારીખે શુભમની યાદમાં ગામમાં ભોજન કરાવે છે. તેઓ કહે છે - 22 એપ્રિલે કાનપુરમાં શુભમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. કાનપુરના લોકોએ જે હિંમત, સહયોગ અને તાકાત અમને આપી છે, તેનાથી અમે તે દુઃખ સહન કરી શક્યા છીએ. અમે શુભમને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી હતી અને હજુ પણ કરી રહ્યા છીએ. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ શુભમના પૈતૃક ગામમાં એક ગેટ પણ બનાવ્યો છે.
Read Original Article →