કોઈ રડ્યું તો કોઈએ ચીસો પાડી...VIDEO:કોઈએ પ્રાર્થના કરી, હવામાં બેકાબૂ રહી હૈદરાબાદ-હુબલી Fly91 ફ્લાઇટ, 3 કલાક સુધી 22 મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા
જો તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને વિમાન નિર્ધારિત સમયે લેન્ડ કરી શકે નહીં, કોઈ ખામી સર્જાય અને તે બેકાબુ થઈ જાય તો શું થશે? સ્વાભાવિક છે કે તમે ગભરાઈ જશો. વિમાનમાં ભયનો માહોલ છવાઈ જશે. હુબલી જતી ફ્લાઇટમાં પણ આવું જ કંઈક બન્યું. ખરાબ હવામાનને કારણે હૈદરાબાદથી હુબલી જઈ રહેલી Fly91ની એક ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવી પડી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લાઈટમાં સવાર તમામ 22 મુસાફરો સુરક્ષિત છે. સૂત્રો અનુસાર, ફ્લાઈટ રવિવારે બપોરે લગભગ 3:30 વાગ્યે હૈદરાબાદથી રવાના થઈ હતી અને તેને સાંજે 4:30 વાગ્યે હુબલી પહોંચવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે વિમાન નિર્ધારિત સમયે લેન્ડ કરી શક્યું નહીં અને લગભગ ત્રણ કલાક સુધી હવામાં જ રહ્યું. આ દરમિયાન કેટલાક મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘણા લોકો ભાવુક થઈ ગયા અને પોતાની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ચીસો પાડીને રડવા લાગ્યા મુસાફરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સીટ પર બેઠેલા મુસાફરો ભયભીત દેખાય છે. ઘણા લોકો ચીસો પાડી રહ્યા છે અને રડી રહ્યા છે. વીડિયોમાં "ઓહ માય ગોડ"ના અવાજ સંભળાઈ રહ્યા છે. એક મુસાફર કહે છે, "પાઈલટને કહો કે અમને બેંગલુરુ લઈ જાય... અથવા ફક્ત બેલગામ." બીજા એકબીજાને સાંત્વના આપતા કહે છે, "રડો નહીં, કંઈ થશે નહીં." પાઈલટ મુસાફરોને કહેતો સંભળાય છે, અમે હોલ્ડ પર છીએ, કૃપા કરીને ધીરજ રાખો અને સૂચનાઓનું પાલન કરો. એરલાઈને જણાવ્યું હતું કે કોઈ ટેકનિકલ ખામી નહોતી ફ્લાય91એ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ સમસ્યા નહોતી. ખરાબ હવામાનને કારણે જ ફ્લાઇટને ડાયવર્ઝન કરવામાં આવી હતી. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુબલી ઉપર વિમાન હોલ્ડ કરવું અને પછી તેને બેંગલુરુ વાળવું એ નક્કી સલામતી પ્રક્રિયાઓનો ભાગ હતો. કંપનીએ કહ્યું કે ટેકનિકલ ખામીના અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. સુરક્ષા સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. ફ્લાઇટ લગભગ 3 કલાક સુધી હવામાં રહી, મુંડગોડ, દાવણગેરે અને શિવમોગા જેવા વિસ્તારોમાં ચક્કર લગાવતી રહી. આ સમય દરમિયાન, પરિસ્થિતિને કાબુમાં લેવા અને સલામત લેન્ડિંગ સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ હતા. તણાવપૂર્ણ ક્ષણો અને વારંવારના પ્રયાસો પછી, વિમાનને આખરે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું અને સાંજે 7:30 વાગ્યાની આસપાસ ત્યાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે હવામાન સુધરવાની આશામાં વિમાને લગભગ ત્રણ કલાક સુધી હુબલી ઉપર ચક્કર લગાવ્યા. બાદમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એક અધિકારીએ કહ્યું, “આ એક સામાન્ય પ્રક્રિયા છે. પાઇલટ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય લે છે.” ફ્લાઈટ સાંજે લગભગ 6:30 વાગ્યે બેંગલુરુમાં ઉતરી. હવામાનમાં સુધારો થયા પછી રાત્રે લગભગ 11 વાગ્યે તેને ફરીથી હુબલી માટે રવાના કરવામાં આવી. સદનસીબે, કોઈ અકસ્માત થયો નહીં અને બધા મુસાફરો સુરક્ષિત છે. અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે મુંબઈથી કોલ્હાપુર જતી અન્ય એક ફ્લાઇટને પણ ગોવા ડાયવર્ટ કરવી પડી.
Read Original Article →