UPના ગાઝિયાબાદના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ:9મા માળે લાગેલી આગ 15મા માળ સુધી પહોંચી, લોકો ભાગ્યા; ઘર સળગતું જોઈ મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી
ઉત્તર પ્રદેશના શહેર ગાઝિયાબાદમાં બુધવારે સવારે 8.30 વાગ્યે 15 માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ગૌર ગ્રીન એવન્યુ સોસાયટીના ટાવર-ડીમાં 9મા માળે લાગી હતી. જોતજોતામાં આગે 7 માળને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગની ઊંચી-ઊંચી જ્વાળાઓ ઉઠવા લાગી હતી. આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટા લગભગ 5 કિમી દૂરથી દેખાતા હતા. સદનસીબે ફ્લેટમાં રહેતા લોકો કોઈક રીતે પોતાનો જીવ બચાવીને બહાર નીકળી આવ્યા. સીડીઓથી નીચેની તરફ ભાગ્યા. પોતાનું ઘર સળગતું જોઈને મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ. ધુમાડાને કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુઝાવવાના પ્રયાસમાં લાગી ગઈ. બિલ્ડિંગના ઉપરના ભાગમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે હાઈડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. બાજુની બિલ્ડિંગના લોકો પણ પાઈપથી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આગ લાગવાના કારણો જાણી શકાયા નથી. એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. બિલ્ડિંગ અને આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી છે. લોકોને વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ઇન્દિરાપુરમ વિસ્તારના અભય ખંડની છે. તસવીરો જુઓ- ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં આવેલી ગ્રીન એવન્યુ સોસાયટીમાં કુલ છ ટાવર છે. આ ટાવર 15 માળ ઊંચો છે. ટાવર ડીના 9મા માળે આગ લાગી હતી. ત્યારબાદ 10મા, 11મા અને 12મા માળે આગ પ્રસરી હતી.
આગના બે વીડિયો જુઓ… સોસાયટીના લોકો આગ ઓલવવા લાગ્યા, પરિવારજનોને બહાર કાઢ્યા સોસાયટીના એક યુવાને કહ્યું, "અમે આગ ઓલવવા માટે જાતે કામ કરી રહ્યા છીએ. પરિવારના બાકીના સભ્યોને બહાર મોકલી દેવામાં આવ્યા છે." ફાયર બ્રિગેડની બે ટીમો સમયસર પહોંચી હતી, પરંતુ આગની ઊંચાઈએ બચાવ કામગીરીમાં પડકાર ઉભો કર્યો હતો. બાદમાં હાઇડ્રોલિક ક્રેન વડે આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સોસાયટીના રહેવાસી મીનાક્ષીએ કહ્યું, "અચાનક બહાર હંગામો થયો. અમે દોડીને જોયું તો આગ લાગી હતી. ફ્લેટની નીચે લોકોની ભીડ હતી. આગ અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી." સોસાયટીમાં રહેતી એક મહિલાએ જણાવ્યું, "ડી ટાવરના એક માળે બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આગ લાગી ગઈ, જેમાં લગભગ પાંચથી છ માળ લપેટાઈ ગયા. જોકે, રાહતની વાત એ છે કે બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે." SDRFની ટીમો પહોંચી, આગને કાબૂમાં લેવા પ્રયાસ સાવચેતીના પગલા રૂપે SDRF ની ટીમ પણ આગના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડના સીએફઓ રાહુલ પાલે જણાવ્યું હતું કે, "આગ લાગી હોવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમ આજે સવારે 8:50 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લગભગ 7-8 માળ સુધી ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે 12-14 ફાયર બ્રિગેડની ગાડીઓ છે, જે બધી આગ ઓલવવામાં રોકાયેલી છે. કેટલાક લોકો આગમાં ફસાયા હતા. તેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત, એક વૃદ્ધ વ્યક્તિને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા જે પહેલાથી જ ઓક્સિજન પર હતા." પીડિત પરિવારો માટે પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ડીએમ રવિન્દ્ર કુમાર મંધડે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી હતી. ફ્લેટમાં ફસાયેલા સાંઈઠ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. એક મહિલા અને એક વૃદ્ધ પુરુષને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમની હાલત હવે સ્થિર છે. કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દરેક ફ્લેટનું નિરીક્ષણ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારો સાથે વાત કરવામાં આવી છે અને શક્ય તેટલી બધી સહાયની ખાતરી આપવામાં આવી છે. વહીવટીતંત્ર અને સોસાયટી સમિતિએ અસરગ્રસ્ત પરિવારો માટે પાણી અને ભોજનની વ્યવસ્થા પણ કરી છે, જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
Read Original Article →