મૉન્ટાજ:ચાર ફૂલ હૈ ઔર દુનિયા હૈ: લોકો, સંબંધો, સ્મૃતિઓ, વિચારો!
પાર્થ દવે ... ઔર એક લેખક કા જિંદા રહેને કા મતલબ અપને લિખે
હુએ કો બતાના કિ મેં અભી ભી લિખ રહા હું!’
***
અમુક વ્યક્તિ એવી હોય જેમને પોતાને ‘ઓળખાવવાની’ બહુ ઉતાવળ ન હોય. એમાં પણ તે સર્જક હોય, અભિવ્યક્તિના માધ્યમમાં હોય, તેમ છતાંય શાંત હોય. એક ખૂણામાં રહીને પોતાનું સર્જન-કર્મ કરતા હોય. આવાં વ્યક્તિત્વો પરથી ફિલ્મ બને, જે પોતાની થીમ જાહેર કરવાની ઉતાવળ ન કરે. તે શાંતિથી અને આત્મવિશ્વાસપૂર્વક રાહ જુએ કે દર્શક પોતે પ્રવેશ કરશે આ વિશ્વમાં. ‘ચાર ફૂલ હૈ ઔર દુનિયા હૈ’ એક એવી જ ડૉક્યુમેન્ટરી છે. જી, ફિલ્મ નથી, પણ ડૉક્યુમેન્ટરી છે.
ઉપર વાક્ય લખ્યું તેવાં અઢળક વાક્યોના રચયિતા સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લ પરની આ ડૉક્યુમેન્ટરીમાં એક વાત સતત સાથે રહે છેઃ ફિલસૂફી. નીરવતા. ઠહેરાવ. જે બધું જ વિનોદ કુમારના વ્યક્તિત્વમાં હતું, તેમના લખાણમાં હતુઃ નમ્રતા, મૃદુતા, ઠેહરાવપણું!
54 મિનિટ ને 40 સેકન્ડની આ ફિલ્મ જોતાં પહેલી નજરે લાગે કે કંઈ ખાસ બની રહ્યું નથી. જેવું ‘દીવાર મેં એક ખિડકી રહેતી થી’ વાંચતા લાગે. પણ કંઈક તો થઈ રહ્યું છે. સૂક્ષ્મ રીતે. બારીક રીતે. જિંદગી જિવાઈ રહી છે. એ જિવાતી જિંદગી ઝિલાઈ છે ‘ચાર ફૂલ હૈ ઔર દુનિયા હૈ’માં. એક નાનકડું જૂનું ઘર છે. ભારતનું શાંત શહેર છે. એક નિવૃત્ત શિક્ષક, દીકરા સાથે રહે છે. આછા પ્રકાશમાં ઓરડો ઝળહળી રહ્યો છે. હીંચકો ઝૂલી રહ્યો છે. વર્ષો પસાર થયા છે આ ઘરમાં. આંગણાની સફાઈ, ઊકળતી ચા, બાર પર ફૂલના કૂંડા ગોઠવાયા છે. આ બધાનું પુનરાવર્તન જિંદગી છે. આ પુનરાવર્તમાં કંઈક પ્રગટ થાય છે. એ જીવન છે. જીવનની હાજરી છે. જીવનની હાજરીનો અહેસાસ છે. સ્મૃતિઓ અને એકમેકની સંભાળ જ જિંદગી છેને!
વિનોદ કુમાર શુક્લે ‘નૌકર કી કમીઝ’, ‘ખિલેગા તો દેખેંગે’, ‘દીવાર મેં એક ખિડકી..’, ‘હરી ઘાસ કી છપ્પર વાલી ઝોપડી ઔર બૌના પહાડ, ‘યાસિ રાસા તા’ અને ‘એક ચુપ્પી જગહ’: આટલી નવલકથા લખી છે. વાર્તા સંગ્રહ, કવિતા સંગ્રહ, બાળકો માટેનાં પુસ્તકો, વગેરે તો ખરા જ. ડૉક્યુમેન્ટરીમાં 16મી મિનિટે જાણીતા અભિનેતા-નાટ્યકાર અને લેખક માનવ કૌલની એન્ટ્રી થાય છે. અને સત્યાવીસમી મિનિટે તેમનો ચહેરો દેખાય છે. ‘બહોત દૂર કિતના દૂર હોતા હૈ’, ‘તુમ્હારે બારે મેં’, ‘રૂહ’ અને ‘પતઝડ’ સહિતનાં તેમનાં પુસ્તકો વાંચનાર અને તેમને ફિલ્મ – નાટકોમાં જોનાર ઓળખી જાય છે. જોકે, તેમનું નામ કે પૂર્વભૂમિકા કે સ્પષ્ટતા કંઈ જ ફિલ્મમાં આપવામાં આવ્યું નથી. બસ, તેઓ આવે છે. તેમનો શુક્લસાહેબ પ્રત્યેનો ગર્વીલો પ્રેમ દેખાય છે અને તેઓ જાય છે. તેમની મોહક હાજરી ‘હોય’ છે.
***
2024ના ‘ધર્મશાલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં આ ફિલ્મની સત્તાવાર પસંદગી થઈ હતી. દિગ્દર્શન ઉપરાંત સિનેમૅટોગ્રાફી, એડિટિંગ અને નિર્માણ અચલ મિશ્રાએ કર્યું છે. ફિલ્મમાં વિનોદ કુમાર શુક્લના પુત્ર શાશ્વત ગોપાલ દેખાય છે. શરૂઆતની તેર-ચૌદ મિનિટ તેઓ બોલે છે. તેમના પિતાની જેમ તેમની બોલાવાની છટા પણ ઍડિક્ટિવ છે. તમને સાંભળવા ગમે છે.
સામાન્ય રીતે બહુધા ડૉક્યુમેન્ટરી બૉરિંગ લાગે. અહીં સાહિત્ય અને ફિલ્મો અને વિનોદ કુમાર શુક્લના ચાહકોને તેમ નહીં લાગે અને તેમ લાગવા માંડે ત્યાં માનવ કૌલ પ્રવેશે છે. વિનોદ કુમાર શુક્લના સાહિત્યને સમજવા માટે, તેમના પુત્રને સાંભળવા પડે. પર્વતના પડછાયામાં ઊભા રહીને પર્વતને જોઈએ તેમ, વિનોદ કુમાર શુક્લ આપણને ઝિલાય છે. છાંયડો થોડી રાહત આપે છે. વિશ્રાંતિ આપે છે. મૅમરી – સ્મૃતિ વિશે વિનોદ કુમાર શુક્લે બખૂબી લખ્યું છે.
અહીં તેમના પુત્ર શાશ્વત ગોપાલ કહે છે, ‘અમુક બાબતો એવી છે જે વીસ વર્ષ બાદ યાદ આવી જાય છે. પણ એવા સમયે યાદ આવે છે જ્યારે તે યાદ ન આવવી જોઈએ. અને જે સમયે, જે બાબત યાદ આવવી જોઈએ, તે એ સમયે યાદ નથી આવતી! તો ક્યારેક – ક્યારેક મને લાગે છે કે મૌલિકતામાં બહુ મોટો હાથ ભૂલવાનો પણ હોય છે. જો બહુ બધી બાબતો તમને યાદ રહેશે, તો ક્યાંક ને ક્યાંક તે શોર (કોલાહલ) થઈ જશે અને જો તમે ભૂલી જશો, તો ક્યાંક ને ક્યાંક તમારી ‘મૌલિકતા’ બની જશે. મને લાગે છે કે વિદ્વતા અને મૌલિકતા બંને જુદી-જુદી બાબતો છે. જે વિદ્વાન છે એ કદાચ મૌલિક ન પણ હોય. પણ જે મૌલિક છે તે વિદ્વાન હોઈ શકે છે!’
આ થઈ ફિલસૂફી. તત્ત્વચિંતન. અચલ મિશ્રાની આ ફિલ્મ બે દિવસમાં શૂટ થઈ છે. વરસાદ જોવો, કપડાં વાળવાં, ફૂલો સાથે વાત કરવી - આવી સામાન્ય ક્ષણોમાંથી અસામાન્યતા ઊભી થતી દેખાય છે ક્યાંક! શુક્લસાહેબને પુછાય છેઃ તમે દરરોજ ફૂલને પાણી પાઓ છો. એમાંથી માંડ એકાદ ખીલે છે. પલ્લવિત થાય છે.’ શુક્લસાહેબ કહે છેઃ ‘કુછ ચીઝે ઊગતી હૈ બસ ઇસ લિએ ક્યુંકી કોઈ ઉન્હે દેખતા હૈ.’
ચાર ફૂલ અહીં માત્ર છોડ નથી, પણ લોકો, લોકો સાથેના સંબંધો, સ્મૃતિઓ અને વિચારોનાં પ્રતીક છે. ‘ચાર ફૂલ હૈ ઔર દુનિયા હૈ’ એમ પણ કહે છેઃ જે દુનિયા તમારા પર ધ્યાન આપતી નથી, તેમાં આગળ વધવાનો શો અર્થ છે? અને તે એમ પણ કહે છે કે જીવનનો સાચો અર્થ કદાચ ભવિષ્યમાં નથી, બલ્કે અત્યારે – હમણાં - જીવવામાં છે.
***
વિનોદ કુમાર શુક્લ કહે છેઃ ‘મેં જો સોચતા હૂં, વહી તો દુનિયા હૈ મેરે લિએ.’ વિનોદ કુમાર શુક્લની દુનિયા નાની છે. કેટલી નાની? એક ઘર, દીકરો, પત્ની, ચાર ફૂલ; બસ, આટલી! પણ તેમના માટે આ જ આખી દુનિયા છે. અને આ જ મૂળત: તત્ત્વ છે આ ફિલ્મનું. ફિલ્મમાં કોઈ સંદેશ નથી. નક્કર અંત નથી. સમજવાની વાત નથી. અનુભવવાની ઘટના છે! કોઈ શોરબકોર વિના ‘યૂ-ટ્યૂબ’ ઉપર અવેલેબલ છે. અમૂલ્ય છે. શોધશો તો જડી જશે.
Read Original Article →