અમલપિયાલી:કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?

Magazine5/24/2026, 12:35:00 AM
અમલપિયાલી:કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?
વિનોદ જોશી સમી સાંજના બીજચંદ્રની સાક્ષીએ લખેલી ગીતપંકિત ગણગણતાં જ ચકવા-ચકવીએ સૂર પુરાવ્યો ચંદ્ર થોડો નજીક આવ્યો રાત વધુને વધુ ઘાટી થતી ગઈ - સંજુ વાળા ઘણીવાર પંક્તિ સીધી-સાદી લાગતી હોય છે. પણ તેની પછવાડે બહુ ગૂઢ એવી અનુભૂતિ પડી હોય છે. કવિતા અવ્યક્તને વ્યક્ત કરે છે તે સાચું પણ જે વ્યક્ત થાય છે તેની પાછળ રહેલું અવ્યક્ત આપણને પહોંચે તે પણ મહત્ત્વનું છે. અહીં કવિતા લખવાની કવિની ક્ષણનો કાવ્યાત્મક હિસાબ આપણને મળે છે. સાંજ હજી આછી-પાતળી દેખાય છે તે ક્ષણથી આરંભી ઘાટી થતી જતી રાત સુધી આ ક્ષણનો વિસ્તાર અહીં આલેખાયો છે. સમયના આ સંદર્ભને સમજવો પડે. સમી સાંજ અને બીજચંદ્ર બંને અપૂર્ણ છે. સમી સાંજ એ નથી પૂરો દિવસ કે નથી પૂરી રાત. અને બીજનો ચંદ્ર એ નથી પૂનમનો અજવાસ કે નથી અમાસનો અંધકાર. જે અધૂરું હોય છે તે પૂરું થાય તેની અભિલાષા આપણામાં હંમેશાં રહેતી હોય છે. કવિ આટલી વાતથી જ આપણને ઉત્સુક કરી મૂકે છે. પોતે ગીતપંક્તિ લખી છે પણ એટલાથી અટકવું એમને મુનાસિબ લાગ્યું નથી. તેઓ ગીતપંક્તિને ગણગણે છે. લિખિત શબ્દનો સૂરમાં વિસ્તાર થયો, તો સમી સાંજનો વિસ્તાર પણ થશે તેવી આપણને આશા બંધાય છે. પણ પંક્તિઓ લખાઈ છે આ બીજચંદ્રની સાક્ષીએ. હજી તો તે આછેરો જ દેખાય છે. પણ જેમ જેમ સમય જશે, એ સુઘટ્ટ થતો જશે. કવિ ગીતપંક્તિ ગણગણે છે અને ચકવા-ચકવી તેમાં સૂર પુરાવે છે. તેનો અર્થ જ એ કે જે કંઈ થઈ રહ્યું છે તેમાં સાક્ષી ઉપરાંત ટેકેદારો પણ છે. તો, સમજી શકાય છે કે પરિસ્થિતિ બધી રીતે અનુકૂળ છે. આ અનુકૂળતા જોઈને જ ચંદ્ર થોડો નજીક આવ્યો હશે. જેની સાક્ષીએ ગીતપંક્તિનું સર્જન થયું હોય તે જો નજીક આવે તો કોને ન ગમે? કવિએ એનું સ્વાગત જ કર્યું હોય તે સમજી જવાનું હોય. પણ હવે શું થયું હશે તે કવિ બહુ અદભુત રીતે વ્યંજિત કરે છે. રાત વધુને વધુ ઘાટી થતી ગઈ એમ કહી કવિ પેલા સમી સાંજના આછેરા ચંદ્રને વિશેષ સુંદર થઈ ગયેલો કહે છે. રાત ઘાટી થાય તેમ અંધારું વધે અને અંધારું વધે તેમ ચંદ્ર વધુ ખીલે અને જ્યારે એ નજીક આવે ત્યારે તો તેની મોહિનીથી કેમ જ બચી શકાય? આટલું સમજાય પછી એ ભાગ્યેજ કહેવું પડે કે આ પ્રેમના કાવ્યની પંક્તિઓ છે. ચકવા-ચકવીને વચ્ચે ઉલ્લેખી કવિએ સાંજ પડવાની અને ચંદ્રના ઊગવાની ઘટના સાથે પ્રેમી યુગલનું સાયુજ્ય અન્યોક્તિથી રચી આપ્યું છે. રાત ઘાટી થાય એ ઘટના માત્ર દેખીતી રાતની નથી પરંતુ ભીતરમાં અનુભવાતી પ્રેમના વિસ્તીર્ણ અનુભવની પ્રતીતિ છે. હવે અહીંથી કવિ આપણા હાથમાં રાતની સુઘટ્ટતાનો નિર્દેશ મૂકી પાછા વળી જાય છે. પણ ચંદ્ર નજીક આવ્યો છે અને રાત ઘાટી થવા લાગી છે. આટલી જ વાતે આપણે કોઈ મિલનોત્સુક યુગલને જોવા લાગીએ છીએ. એમને અનુકૂળ તેવી પરિસ્થિતિના કેવળ નિર્દેશમાત્રથી આપણે આપણી કલ્પનાને ઘાટ આપવા લાગી છીએ. ચકવા-ચકવીનો કેવળ સૂર સંભળાયો છે. એમની અહીં હાજરી નથી. અહીં હાજર છે કેવળ બીજચંદ્ર અને રાત્રિ. એ બંનેની ઓથે જેમનો સંકેત થાય છે તે પ્રિયતમ અને પ્રિયાનું અન્યોન્ય સાથે હોવું અહીં તરત સમજાય છે. હવે એ પણ સમજાય છે કે ચંદ્ર થોડો નજીક આવે છે ત્યારે રાત્રિ કેમ ઘાટી થતી જાય છે. સમયને કવિએ બહુ સુંદર રીતે અહીં એકમેકમાં ભળતો દર્શાવ્યો છે. આમ તો કાવ્યને સમજવાનું નથી હોતું, અનુભવવાનું હોય છે. પણ અહીં વ્યક્તની પાછળ રહેલું અવ્યક્ત સમજાય તો જ અનુભવના પ્રદેશમાં પહોંચી શકાય છે. જે કહેવાયું તેનાંથી આગળ ઘણું કહેવાનું હોય છે પણ તે કહ્યા વગર સમજાય તો જ કામનું. જયા મહેતાનું એક નાનકડું કાવ્ય છે: આંસુઓનાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે? કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે? સમજવું જ ઘણીવાર અનુભવવા સુધી નથી લઈ જતું? કવિતામાં તો ઘણીવાર એવું થાય છે. સમજાય તો જ અનુભવાય. }
Read Original Article →