સફર:શિવમંદિરની આસપાસ વસેલું શહેર
નિતુલ ગજ્જર
કેરળનું મહત્ત્વનું શહેર ત્રિશૂર પણ એ જ રીતે ભગવાન શિવના પ્રાચીન મંદિરની આસપાસ વસેલું છે. અહીં ભગવાન શિવ શહેરના હાર્દમાં બિરાજે છે. ત્રિશૂરનું આયોજન ખાસ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે દરેક રસ્તો છેવટે મંદિર સુધી જાય.
ત્રિશૂર શહેર તેના વડક્કડનાથન મંદિર થકી ઓળખાય છે. ભગવાન શિવનું આ પ્રાચીન અને અત્યંત પવિત્ર મંદિર કેરળની સ્થાપત્યકળનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે. લાકડાં અને પત્થરમાંથી બનેલા આ મંદિરનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં પણ જોવા મળે છે. અહીં ભગવાન શિવને વડક્કડનાથન એટલે કે ઉત્તરના દેવ તરીકે પૂજવામાં આવે છે. ચારેય દિશાએ ભવ્ય ગોપુરમ ધરાવતા આ મંદિરની બાંધણી ધ્યાન ખેંચે તેવી છે, કારણ કે અહીં દરેક જગ્યાએ દીવડાની સજાવટ કરવા માટે ખાસ જગ્યા રાખવામાં આવી છે. મુખ્ય ગર્ભગૃહ ફરતે પણ સાંજની આરતી સમયે દીવડાની સજાવટ કરવામાં આવે છે, જેનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો હોય છે.
વડક્કડનાથન મંદિરના ભવ્ય પરિસરમાં મહાદેવ ઉપરાંત માં પાર્વતી, મહાગણપતિ, શંકરનારાયણ, ભગવાન રામ, નંદીકેશ્વર, ભગવાન ઐયપ્પન, ગોવાળ સ્વરૂપે શ્રીકૃષ્ણ, પરશુરામ, વેટ્ટક્કરન અને આદિ શંકરાચાર્યનાં પણ મંદિર આવેલાં છે. આ દરેક મંદિરનું બાંધકામ અને આધ્યાત્મિક ઊર્જા અનોખી છે અને જોવાલાયક તો છે જ.
ત્રિશૂરનું આ મંદિર એક નાનકડી ટેકરી પર સ્થિત છે. જેની આસપાસ લગભગ 60 એકરનું જંગલ સાફ કરાવી ત્યાં શહેરનું નિર્માણ કરાયું છે. આજે પણ આ મંદિર શહેરમાં સૌથી ઊંચાઈ પર સ્થિત છે. મંદિરની ફરતે ગોળાઈમાં ભવ્ય બજાર આવેલી છે. જેમાં તમને ત્રિશૂરના પ્રખ્યાત પિત્તળના દીવડા, સિલ્કનાં કપડાં, મીઠાઈ અને અન્ય સામગ્રી ખરીદવાનો મોકો મળશે. આ મંદિર ત્યાંના ઉત્સવ માટે પણ પ્રખ્યાત છે. ‘ત્રિશૂર પૂરમ’ તરીકે પ્રખ્યાત આ ઉત્સવ અસલમાં 36 કલાક ચાલતી મેરેથોન છે. જેની શરૂઆત 1798માં કોચિનના મહારાજા સકથાન થમપુરાને કરી હતી.
દર વર્ષે એપ્રિલ મહિનામાં ત્રિશૂર પૂરમનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 27 એપ્રિલે આ પર્વ યોજાશે. આ ઉત્સવ દરમિયાન પૂર્વના પરમેક્કાવુ ભગવતી મંદિર અને પશ્ચિમના તિરુવંબાડી કૃષ્ણ મંદિર વચ્ચે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ઉત્સવની યજમાનીની જવાબદારી વડક્કડનાથન મંદિર ઉઠાવે છે, પણ તે ઉત્સવમાં સામેલ થતું નથી. તેના પરિસરમાં જ મેરેથોનની તમામ પ્રવૃતિઓ યોજાય છે. ત્રિશૂર પૂરમ વખતે 15 હાથીઓને પારંપરિક રીતે સજાવી મંદિરના પરિસરમાં ઊભા રાખવામાં આવે છે જે જોવાલાયક હોય છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ ભવ્ય આતશબાજી થકી કરવામાં આવે છે.
મસાલા ઉપરાંત કેરળની એક અન્ય ઓળખ એટલે આયુર્વેદ. આ રાજ્યમાં તમને આયુર્વેદ સબંધિત સેંકડો જગ્યાઓ જોવા મળશે. પણ આયુર્વેદને ઉંડાણપૂર્વક સમજવાનો મોકો તમને ત્રિશૂરમાં મળે છે. ત્રિશૂરમાં ‘વૈદ્યરત્નમ આયુર્વેદ મ્યુઝિયમ’ આવેલું છે. 200 વર્ષ જૂની ઈમારતમાં સ્થિત આ સંગ્રહાલયમાં આયુર્વેદનો ઈતિહાસ, આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત અને પારંપરિક આયુર્વેદ વિશેની માહિતી રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.
વિશ્વની આ સૌથી પહેલી આયુર્વેદ હોસ્પિટલ
ત્રિશૂર પહેલા શોનૂર ગામે ‘કેરલાયા આયુર્વેદ સમાજમ’ હોસ્પિટલ આવેલી છે. 1902માં શરૂ કરાયેલી અને અતિશય શાંત વાતાવરણમાં સ્થિત આ જગ્યા ઐતિહાસિક છે, કારણ કે પેશન્ટ આવીને રોકાય શકે તેવી વિશ્વની આ સૌથી પહેલી આયુર્વેદ હોસ્પિટલ છે. આ સ્થળ આયુર્વેદના ગૂઢ સિદ્ધાંતને સમજવા માટે તો ખૂબ સારો વિકલ્પ છે જ, પણ સાથે આયુર્વેદની દવાઓ કઈ રીતે બને તે જોવાનો પણ મોકો તમને અહીં મળશે. ‘કેરલાયા આયુર્વેદ સમાજમ’ના પરિસરમાં જ ભવ્ય ફેક્ટરી આવેલી છે, જ્યાં પારંપરિક રીતે વિવિધ દવાઓ બનાવાય છે.
ત્રિશૂરથી 28 કિલોમીટરના અંતરે ગુરુવાયુર મંદિર આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણનું આ ધામ પ્રખ્યાત તીર્થસ્થાન છે. માન્યતા અનુસાર કૃષ્ણ ભગવાન વૈકુંઠધામ પાછા ફર્યા પછી તેમના અસ્થિનો એક હિસ્સો અહીં રાખવામાં આવ્યો છે એવું મનાય છે. ગુરુવાયુર મંદિર અચૂકપણે જવા જેવું છે. અહીં 3-4 કલાકનો સમય લઈને જવું, કેમ કે મંદિરના પરિસરમાં અન્ય ઘણાં નાનાંમોટાં સ્થાનકો આવેલાં છે. સાથે આ મંદિર પાસે દરિયાકાંઠો પણ છે ત્યાં સૂર્યાસ્ત જોવાની મજા પડશે.
કેરળનાં મંદિરોમાં પ્રવેશ મેળવવા ચોક્કસ પરિધાન પહેરવાં અનિવાર્ય છે. મહિલાઓ માટે સાડી ઉત્તમ પોશાક છે, જો સાડી ન હોય તો છેક પગ સુધીનાં કપડાં પહેરવાં. પુરુષોએ લૂંગી પહેરવી. ઉપરાંત અહીંના મંદિરમાં પુરુષોએ ઉપર કોઈ પણ કપડું પહેર્યા વગર જવું એવો રિવાજ છે, જેના પાલન વગર ગર્ભગૃહમાં પ્રવેશ મળતો નથી. ત્રિશૂર કઈ રીતે પહોંચવું?
Read Original Article →