થેન્ક યૂ:બાકીના બધા ખરતા તારા?
ડો. જયેશ વાછાણી
જેમ પુરુષને પગાર કે સ્ત્રીને ઉમર ન પુછાય,
એમ જ વિદ્યાર્થીને ટકા ન પુછાય.
સ્ટેટ્સ, સ્ટોરી, પોસ્ટ કે ગ્રૂપમાં,
મેળવેલા ટકાનું માર્કેટિંગ ન કરવામાં શાણપણ છે.
પ્રોત્સાહનને નામે કરાતા પ્રદર્શનથી સરખામણી અને સ્પર્ધા વધે.
વધુમાં વધુ ટકા મેળવેલા જ તેજસ્વી તારલા?
બાકીના બધા ખરતા તારા?
એકેડેમિકલી વધુમાં વધુ ટકા મેળવે એ જ સ્કૉલર?
એમને જ સ્કોલરશિપ?
હવેના સમયમાં હોશિયારના માપદંડોમાં
માત્ર માકર્સને રાખવા ગેરવાજબી ગણાશે.
સંજોગ, સ્થિતિ, સગવડતા, મર્યાદાને સામે ને’ સાથે રાખી,
કશુંક બની જવા માટે નહીં પરંતુ કશુંક શીખવા માટે ભણવું જરૂરી છે.
આવડત કેળવવા, એનું મૂલ્યવર્ધન કરવા,
તેમજ એમાંથી આવક ઉપાર્જન કરવા સતત શીખતા રહેવું જરૂરી છે.
પરીક્ષામાં કેટલા આવ્યાં કરતાં વધુ મહત્ત્વ,
ભણવાથી શું શીખ્યાં એનું હોવું જોઈએ.
આપણે સિસ્ટમને બદલાવી ન શકીએ એટલે
સિસ્ટમનો ભાગ બની આગળના એડમિશન માટે
જરૂરી મિનિમમ ટકા અને એ મેળવવા માટે મહેનત જરૂરી જ છે
પણ એ માટે બાકીનું બધું જડબેસલાક બંધ કરી દેવાની
માનસિકતા થોડી અજુગતી લાગે છે.
વ્યક્તિત્વ વિકાસમાં સંપર્ક, સંબંધ, સંસ્કાર, સમજણ, સંવેદના,
મૂલ્યો, માનવતા, અનુભવ, સંતોષ, શોખ, કળા, સાહિત્ય, સંગીત,
મજા, આનંદ, વિહાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહારનું
મહત્ત્વ માર્કસ કે ટકાથી ઓછું આંકવું ભૂલભરેલું લાગે છે.
અત્યારની સમાજ, પરિવાર કે ખુદની મોટા ભાગની સમસ્યાઓ,
આ બધી બાબતોની ખામીને કારણે છે એવું કદાચ વિચારતા જણાશે.
વિચારજો.
Read Original Article →