એક વાર્તા:માળો
વહેલી સવારે ધમધમતું ઘર આજે મૌન હતું. જેમ અવાર-નવાર રજાઓમાં પરિવાર સાથે ઘણા લોકો ગામડે આવી જતાં તેમ મહેશને પણ પોતાનું ગામ ખૂબ ગમતું.
જ્યારે તેનાં બાળકો ભણીને મોટાં શહેરોમાં ગોઠવાયાં, ત્યારે મહેશ અને મેઘા ગામડે જ રહ્યાં. તેઓ સવારે નિયમિત હિંડોળા પર બેસીને વાતો કરતા. એ હિંડોળાનો અવાજ તેમના માટે જાણે કર્ણપ્રિય સંગીત હતું! એકાએક એ સંગીતમાં મેઘાએ શબ્દ ઉમેર્યા, ‘આપણે પણ નયન સાથે મુંબઈ રહેવા જવું છે? કાલે જ તેનો ફોન આવ્યો હતો. અંતે આપણે કેટલો સમય એકલા રહીશું?’
ત્યારે મહેશે મૌન તોડીને એક સૂકાં ઝાડ પર રહેલા માળા તરફ જોતા કહ્યું, ‘પેલા માળામાં બંને પંખીને રોજ સવાર-સાંજ આવતાં જોઉં છું. બચ્ચાંને પાંખો આવે એટલે એ ઊડી જાય પણ પંખી માળો છોડતા નથી. પછી ભલેને ઝાડ પણ સુકાઈ જાય. આ બધું એમજ નથી બનતું... તેણે વહાલથી વીણીવીણીને તણખલા એકઠા કરેલા હોય છે. તેની ગૂંથણી એન્જિનિયરની વિચારણા બહાર અને અદ્ભુત હોય છે.
પછી એ માળો કેમ છોડે?’ - ડૉ. પારસ જી. ઓગાણિયા
Read Original Article →