વિકાસની વાટે:સુખ બીજાને વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે
હીરાબહેન પટેલના પુત્ર હસમુખ પટેલ
દરાબાદમાં આઇ. ટી. કંપનીમાં કામ કરતી એક યુવતીના વતનના ઘરે પોતાની પાલતુ બિલાડી ગુજરી જાય છે. પોતે વિમાનથી તાબડતોબ ઘરે પહોંચી બિલાડીની અંતિમ વિધિમાં સામેલ થાય. બિલાડી તેને બહુ વહાલી હોય છે. તે શોકમાં ડૂબી જાય છે. મિત્રો સાથે વાત પણ કરતી નથી. થોડા દિવસ ઘરેથી કામ કરે છે. બે અઠવાડિયાં પછી તે હૈદરાબાદ પાછી ફરે છે. ત્યાં પહોંચતાં પહેલાં તેણે ઘણો સામાન ખરીદી માટે ઓનલાઇન ઓર્ડર કરેલો હોય છે. સામાન જોઈ તેનું દુઃખ હળવું થાય છે. સામાન જોઈ તેની સુધરેલી માનસિક સ્થિતિ વિશે તે મિત્રોને મેસેજ કરે છે.
તેની એક મિત્ર નોંધ લે છે: ‘પ્રિય પાત્રના અવસાનના શોકમાંથી બહાર નીકળવામાં તેનાં મિત્રો અને પરિવારજનો સહાયભૂત ન થઈ શક્યાં. જે કામ તેઓ નહીં કરી શક્યા તે વસ્તુઓએ કર્યું. જે કામ વ્યક્તિઓ ન કરી શકે તે કામ વસ્તુઓએ કર્યું.’ જર્મનીની એક બહેનની વાત પોતાની ડાયરીમાં લખે છે. આ બહેને પોતાની ખૂબ જ નજીકની મિત્ર ગુમાવી હોય છે. તેના દુઃખમાંથી બહાર નીકળવા માટે તે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ તેને કોઈ રસ્તો જડતો નથી. તેનું ધ્યાન પૂર્વ તરફ જાય છે. તેને ખ્યાલ આવે છે કે આવા દુઃખના પ્રસંગે પૂર્વના લોકો ભેગા થઈ જાય છે. દુઃખ વહેંચાઈ જાય છે.
પશ્ચિમમાં હાલ આવી કોઈ પ્રથા નથી. ત્યાં પણ કદાચ પહેલાંના સમયમાં આવું હશે. પણ આજે ત્યાં માણસના જીવનમાં સગાં-સંબંધી અને મિત્રો ઓછાં થઈ ગયાં છે. જેમ જેમ વ્યક્તિ કમાતી ગઇ તેમ તેમ બીજાઓ પરની નિર્ભરતા ઘટી. જીવનમાં વસ્તુઓ વધતી ગઈ અને વ્યક્તિઓ ઘટતી ગઈ. વ્યક્તિઓનું સ્થાન વસ્તુઓએ લીધું.
પૂર્વ પણ આજે એ દિશામાં જઈ નથી રહ્યું ? આપણે આર્થિક રીતે સંપન્ન થઈ રહ્યા છીએ અને સંબંધોની દૃષ્ટિએ પાયમાલ. લગ્નો સાથે મળીને આનંદ કરવાને બદલે ધનપ્રદર્શનનું માધ્યમ બન્યાં છે. લગ્નોમાં આપણે સંબંધો સાચવવા હાજરી પુરાવીએ છીએ નહીં કે તેમાં ભાગ લેવાનો આપણને હરખ હોય છે. મૃત્યુ પ્રસંગોએ થતાં બેસણાંની સ્થિતિ પણ આવી જ હોય છે.
પહેલાં મૃત્યુ પ્રસંગોએ રોવાનો રિવાજ હતો. જેણે સ્વજન ગુમાવ્યું હોય તેને રડવું આવે તે સ્વાભાવિક છે. તેમાં સામેલ થઈ સ્વજનો તેમાં ભાગ પડાવતાં. સ્વજન ગુમાવનારી વ્યક્તિનું દુઃખ રૂદન દ્વારા અભિવ્યક્ત થઇ જતું. તેના આવા દુઃખના પ્રસંગમાં સામેલ થતાં તેની સાથે કોઈ ભાગ પડાવનારું છે તેનો અહેસાસ થતો.
સુખ બીજાને વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે, પણ તેવું કરી શકાય તેવા સંબંધો હોવા જોઈએને? તેને સારુ સંબંધો જોઈએ. આવા પ્રસંગોમાં ભાગ લેવા માટે સમય જોઈએ. સંબંધો માટેની ભાવના જોઈએ. તેને સારુ અંગત પ્રાથમિકતાઓ બાજુ મૂકવાની તૈયારી જોઈએ. તે માટેની રૂઢિઓ અને પરંપરાઓ જાળવી રાખવી પડે.
હજુ પણ ગામડાઓમાં આ બચ્યું છે. કહેવાતા નાના લોકો એકબીજાના પ્રસંગમાં ઊભા રહે છે, કારણ કે તેમની પાસે સામાન નથી, સંપન્નતા નથી પણ સંબંધો માટેની ભાવના છે, તેને માટે સમય આપવાની તૈયારી છે. હમણાં કોઈકની વાતમાં એવું સાંભળ્યું કે કોઈ કોઈ સમાજમાં જ્યારે લગ્ન સંબંધની વાત ચાલતી હોય ત્યારે છોકરીવાળા પૂછતા હોય છે કે ઘરમાં ફર્નિચર કેટલું છે? મને નવાઈ લાગી કે ફર્નિચર જેવી ભૌતિક વસ્તુના આધારે લગ્ન સંબંધ થાય છે, પણ મેં એ જાણ્યું કે ફર્નિચર એટલે ટેબલ, ખુરશી કે સોફા નહીં, ફર્નિચર એટલે જેની ભવિષ્યમાં જવાબદારી આવી શકે તેવાં મા-બાપ કે વડીલો. આનાથી વધુ આઘાતજનક શું હોઈ શકે?
જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક પાસાંઓના સમયમાં સમન્વય માટે, સંતુલન માટે આપણી સંસ્કૃતિ જાણીતી હતી. આજે અમેરિકા દુનિયાના 25% GDP નું ઉત્પાદન કરે છે. અંગ્રેજો આવ્યા ત્યાં સુધી 2000 વર્ષોથી વધુ સમય માટે દુનિયામાં આપણે એ સ્થાન ધરાવતા હતા પણ એ જ સમયમાં આપણે આધ્યાત્મિક ક્ષેત્રે પણ વિશ્વનું નેતૃત્વ કરતા હતા. સમગ્ર જગતની દોરવણી કરતા હતા.
આપણી આર્થિક પાયમાલી માટે આપણે વિદેશી શાસનને જવાબદાર ગણી શકીએ, પરંતુ આપણે જે રીતે પશ્ચિમના આંધળા અનુકરણને પગલે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પતનની દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે આપણે જાગૃત રહેવું પડશે. ગાંધીજીએ કહ્યું છે તેમ આપણા ઘરનાં બારી-દરવાજા ખુલ્લાં રાખીએ જેથી તેમાં આખી દુનિયાના વાયરા વાય પણ તેનો પાયો મજબૂત રાખીશું જેથી તે ઊડી ન જાય કે ધરમૂળથી ઊખડી ન જાય.
Read Original Article →