થેન્ક યૂ:જ્ઞાનની આપ-લે થઈ શકે, શાણપણની નહીં

Magazine6/5/2026, 2:08:51 AM
ડો. જયેશ વાછાણી હરમાન હેસની નોબલ પ્રાઈઝ વિનર નોવેલ ‘સિદ્ધાર્થ’ વાંચતા વાંચતા જડ્યું; ‘જે શાણો માણસ શાણપણ આપવાનો પ્રયાસ કરે તે મૂર્ખ છે... જ્ઞાનની આપ-લે થઈ શકે, શાણપણની નહી. કોઈ વ્યક્તિ શાણપણ પ્રાપ્ત કરી શકે, તેનાથી સમર્થ બની શકે, તેના દ્વારા ચમત્કારો સર્જી શકે પણ તે કોઈને પોતાનું શાણપણ આપી ન શકે, શીખવી ન શકે.’ મતલબ, સમજણ કે ડહાપણ બીજા કોઈને આપી ન શકાય કે બીજા કોઇથી મેળવી ન શકાય, હા, જાતે પામી શકાય! આપણે પણ કોઇકનું માનીને નહીં પણ જાતે પામીને જ સમજીએ છીએ અને જે સમજ્યા એ બીજાને સમજાવવું પણ અઘરું છે. એ આપણી વાત નહીં માને, એને જાતે એવું કશુંક કરવું પડે જેથી એ આપમેળે સમજે. પણ એવું તો શું કરવાથી એ આપમેળે આવે? વાંચવા-વિચારવાથી, જોવા-સાંભળવાથી, જાણવા-માણવાથી, હરવા-ફરવાથી, ચિંતન-ધ્યાનથી, અનુભવથી, સેવાથી, સંવેદનાથી, નિસબતથી.. સાહિત્ય, કલા, સંગીત અને પ્રકૃતિ થકી.. સંઘર્ષથી, ઘટનાથી, વિશ્વાસઘાતથી, છેતરાવાથી, પોતીકાઓની ઓળખાણથી, ડહાપણ આપમેળે પ્રવેશે… જીવનમાં. કેટલું છે આ દુનિયામાં – જોવાનું, જાણવાનું, સાંભળવાનું, ફરવાનું, ખાવાનું, વાંચવાનું, માણવાનું, અનુભવવાનું..! ત્યારે નકામી પંચાત, ઈર્ષા, કૂથલી, બળતરા, સરખામણીમાં ટાઈમ વેડફવો એ મૂર્ખામી છે. જિંદગીમાં અવનવા રસ, મજા, આનંદ લેતા રહેવા ખૂબ જરૂરી છે. મજા તો સફરની છે, સતત ચાલતા રહેવાની છે, કશુંક જાણી, માણી, પામી, આનંદ કરી આગળ વધતાં રહેવાની છે. નવું નવું અનુભવવા કમ્ફર્ટ ઝોન છોડી, બંધિયાર થવાને બદલે વહેતા રહેવાની છે. ભૂલ પડે, ભૂલા’ય પડીએ ક્યારેક ખોટે રસ્તે હોય તો પાછા’ય વળીએ. ફરી પાછા નવા રસ્તે મજાની સફરમાં ચાલતા રહીએ. બરાબરને? વિચારજો. }
Read Original Article →