વિચારોના વૃંદાવનમાં:ગંદી આસ્તિકતા કરતાં સ્વચ્છ નાસ્તિકતા સો દરજ્જે સારી

Magazine5/24/2026, 12:35:00 AM
વિચારોના વૃંદાવનમાં:ગંદી આસ્તિકતા કરતાં સ્વચ્છ નાસ્તિકતા સો દરજ્જે સારી
ઈ. એમ. ફોર્સ્ટરે કહ્યું છે તે સાંભ‌ળો: હું આ દુનિયામાં નગ્ન અવસ્થામાં આવ્યો હતો અને નગ્ન અવસ્થામાં જ દુનિયામાંથી વિદાય લઈશ. વળી મજાની વાત તો એ છે કે મારા પહેરણની અંદર તો હું નગ્ન જ છું; પછી ભલે ને પહેરણનો રંગ ગમે તે હોય આશ્રમના અંધારા કરતાં ફળિયાનું અંધારું ઓછું ઉપદ્રવકારી હોય એવો પૂરો સંભવ છે. આશ્રમ એક એવું સ્થાન છે, જ્યાં મનુષ્યને શાંતિ, શુચિતા અને જીવનદૃષ્ટિ પ્રાપ્ત થાય. ભારતમાં આજે પણ આવા પવિત્ર આશ્રમો ઓછા નથી. ધામ નદીને કાંઠે સંત વિનોબાએ સ્થાપેલો આશ્રમ ‘બ્રહ્મવિદ્યા મંદિર’ તરીકે ઓળખાય છે. કોઈ પણ પ્રયત્ન વિના મન શાંત થઈ જાય એવું એ સ્થાનક છે. ‘સંત’ શબ્દ ગમે તે માણસના નામની આગળ ન મૂકી શકાય એવો વિવેક હિંદુ પ્રજા ગુમાવી બેઠી હોય એવી શંકા છેક આધાર વિનાની નથી. સંત તુલસીદાસની ક્ષમાયાચના સાથે એક પંક્તિ પ્રસ્તુત છે: ઠુમક ચલત ઠગનચંદ્ર ઠગનચંદ્ર કહે છે: ‘હું જેલમાં જઈશ તો અપવિત્ર થઈ જઈશ.’ મહાત્મા ગાંધી જેલમાં ગયા તેથી જેલ પવિત્ર બની ગઈ યરવડાની જેલ ‘યરવડા મંદિર’ બની રહી. ઠગનચંદ્રના આશ્રમમાંથી ખાનગી ગોળીબાર પણ થયો હતો. ઠગનચંદ્ર વ્યાજે પૈસા ફેરવે તોય સંત ગણાય. ઠગનચંદ્ર આશ્રમ સ્થાપવા માટે કોઈની જમીન પડાવી લે તોય સંત ગણાય. ગનચંદ્ર પર હત્યા કે હત્યાની ધમકી આપવાનો સંગીન આરોપ હોય તોય સંત એ ગણાય એક ગુંડામાં હોય એવાં બધાં જ લક્ષણો ઠગનચંદ્રમાં હોય, તોય ભોળી પ્રજા એના આશ્રમોમાં શ્રદ્ધાપૂર્વક ભીડ જમાવે અને ઠગનચંદ્રનો જયજયકાર કરે ત્યારે હિંદુ પ્રજા ‘નીતિનાશને માર્ગે’ જઈ રહી હોય એવો વહેમ પડે તો વાંક કોનો? સંત હોય તેના પર યૌનશોષણનો કે બલાત્કારનો આક્ષેપ થઈ શકે? આવો આક્ષેપ થાય પછી ઠગનચંદ્રને ભ્રષ્ટ રાજકારણીઓ તરફથી જે રક્ષણ અને છૂટછાટ મળે તે જોઈને એટલું તો કહેવું જ પડશે કે વાસ્તવમાં કાયદાની વાતે બધા નાગરિકો સમાન નથી. ઠગનચંદ્રની પહોંચ ભારે હોવાથી ગુનો નોંધાયા પછી પણ એ વિમાનમાં ઊડીને ઈચ્છે ત્યાં જઈ શકે. એ પોતાના આશ્રમોમાં જાય ત્યાં જબરી ઘરાકી જમાવે. આવી છૂટ કોઈ છગન-મગનને મળી હોત ખરી? યૌનશોષણનો ભોગ બનેલી કોઇ કુમારિકાની ચીસ દેશને ખૂણેખાંચરે સંભળાય ખરી? ગાંધીજી ઘણીવાર જેલમાં ગયા હતા, પરંતુ ક્યારેય એમના અસંખ્ય પ્રશંસકોએ પોલીસની કામગીરીમાં ભીડ જમાવીને રુકાવટ ઊભી કરી હોય એવું જાણ્યું નથી. ઠગનચંદ્રની વાત જ ન્યારી. ચોરી પર સીનાજોરી કાગડા બધે કાળા અને રાજકારણીઓ ગમે તે પક્ષના હોય તોય કાળા. એક આસ્તિક હિંદુ તરીકે મારી મનોકામના એટલી જ કે હિંદુ ધર્મમાં પેધી પડેલી અંધશ્રદ્ધાને વાળીઝૂડીને સાફ કરી નાખું. વર્ષો પહેલાં રાજસ્થાનના એક ગામમાં રૂપકુંવર નામની પત્ની પતિના મૃત્યુ બાદ સતી થઈને બળી મરી હતી. તે દિવસોમાં લખવાનું બન્યું હતું કે: એ ઘટનાની નિંદા આર. એસ. એસ. દ્વારા કેમ થઈ નહોતી? અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું કલંક છે. એની સામે બળવો થાય તેનાં પરિબળો હિંદુ પ્રજામાંથી જ પેદા થવાં જોઈએ. નાસ્તિક વીર સાવરકર અસ્પૃશ્યતાના ઝનૂની વિરોધી હતા. ખ્રિસ્તી ધર્મમાં સુધારક લ્યુથર પાક્યો. એ સુધારકનું એક વિધાન વીર નર્મદ ટાંકતો અને કહેતો : ‘મારા છાપરા પર જેટલાં નળિયાં છે તેટલા શત્રુઓ સામે હોય તોય હું મારી વાત પડતી મેલવાનો નથી.’ ઠગનચંદ્રનો બચાવ થાય ત્યારે તેમાં છુપાયેલી મનોવૃત્તિ સમજવા જેવી છે. ઘરનો દીવો આગ લગાડે તોય, તોય આખરે મારા ઘરનો દીવો ઠગનચંદ્ર ગમે તેમ હિંદુ બાવો આ દેશને પછાત રાખવાનો સચોટ ઉપાય આવી પ્રદૂષિત મનોવૃત્તિમાં રહેલો છે. આજકાલ દેશમાં પછાતપણાની હરીફાઈ ચાલી રહી છે. એ હરીફાઇ સેક્યુલર નથી. પ્રચંડ બહુમતી ધરાવતા હિંદુઓ જો પોતાના ધર્મને આ સદીમાં લાવવાની ઝુંબેશ ઉપાડી છે, તો લઘુમતીને પણ જાગૃતિ બતાવવાનો ચસકો લાગ્યો છે. હિંદુઓ નિરાંતે નસકોરાં બોલાવે છે અને ઠગનચંદ્રના નામની આગળ સંત અને પાછળ બાપુ જેવા બે માતબર શબ્દો ચોંટાડે છે. પ‌શ્ચિ‌મના દેશોનાં ચર્ચમાં જે વાસનામૂલક દુર્ઘટનાઓ કેટલાક પાદરીઓ દ્વારા સર્જા‍ય છે, પણ તેનો બચાવ ક્યારેય ખ્રિસ્તી પ્રજા કરતી નથી. અમારા ધર્મનું અનષ્ટિ પણ પવિત્ર છે, એવા ‘જીવરામ ભટ્ટીય’ મિથ્યાભાનમાં એ પ્રજા રાચતી નથી. જે ધર્મ પોતાના પેટમાં પેસી ગયેલાં અનિષ્ટોની વહારે ધાય તે ધર્મ ધીરે ધીરે ક્ષીણ થઈ જશે. એ માર્ગ નીતિનાશનો માર્ગ છે. આસ્તિક હિંદુ હોવા છતાંય મારી સ્પષ્ટ માન્યતા છે કે: ગંદી આસ્તિકતા કરતાં સ્વચ્છ નાસ્તિકતા સો દરજ્જે સારી. હિંદુ છું તેથી જ મને મારા ધર્મની ગંદકી વધારે ખૂંચે છે. સમજુ મુસલમાનની માનસિકતા પણ આવી જ હોવી જોઈએ. આ જ ખરું સેક્યુલરિઝમ. કાયદો કાયદાનું કામ કરશે ખરો? અદાલત પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય એવું ઘણું ઘણું બની રહ્યું છે. ગરીબમાં ગરીબ માણસને ન્યાય મળે એવી આબોહવા જામતી નથી. દરેક ઠગનચંદ્ર માટે એક પ્રાર્થના કરવી છે. ઠગનચંદ્રને બને તેટલી લાંબી કેદ મળે તો તેમને એક મોટો લાભ થાય. એમણે પોતે જેલને ‘વૈકુંઠ’ ગણવી. આવા વૈકુંઠ માટે તેમની પાત્રતા ઓછી નથી. પોતાનાં બધાં પાપોનું પ્રાય‌શ્ચિ‌ત્ત કરવા માટે તેમને એકાંતમાં પૂરતાં વર્ષો મળે એ જરૂરી છે. વર્ષો પછી પસ્તાવાના ‘વિપુલ ઝરણામાં ડૂબકી દઈને’ બહાર આવેલા એ નવા મનુષ્યને આપણે આવકારીશું અને કહીશું : ‘ઠુમક ચલત સુજનચંદ્ર’ પાઘડીનો વળ છેડે ઠગનચંદ્ર કોઈ એક જ ધર્મનું કલંક નથી. બધા ધર્મોમાં ઠગનચંદ્રો હોવાના. હે ઠગનચંદ્ર અમે તો સામાન્ય માણસો છીએ. અમારો તો લોભ પણ સામાન્ય, અમારો તો મોહ પણ સામાન્ય, અમારો તો ક્રોધ પણ સામાન્ય, અમારી તો કામવાસના પણ સામાન્ય; પરંતુ તમે તો અસામાન્ય માણસ છો. તમારો તો લોભ પણ અસામાન્ય, તમારો તો મોહ પણ અસામાન્ય, તમારો તો ક્રોધ પણ અસામાન્ય, અને તમારી તો કામવાસના પણ અસામાન્ય ખાસ નોંધવા જેવું છે કે ઠગનચંદ્રની કામવાસના અસામાન્ય (નોન-ર્નોમલ) નથી, પરંતુ વિસામાન્ય (એબર્નોમલ) છે. એમના આશ્રમ (?)માં રહેતી કે જતી કોઈ પણ સ્ત્રી સલામત નથી, સિવાય કે એ કદરૂપી હોય કે વૃદ્ધા હોય. Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →