લક્ષ્યવેધ:વાંચવા કરતાંય લખવું મહત્ત્વનું છે
મારો જન્મ અમદાવાદમાં જ થયો છે. મારા પપ્પા જી. આઈ. એસ. એફ. એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં છે. મમ્મી ગૃહિણી છે. બાયોલોજી વિષય સાથે બારમું કર્યું અને પછી ગાંધીનગરથી ડેન્ટ્રિસ્ટ્રીનો અભ્યાસ કર્યો.’ ડો. રાહુલ રેવર પોતાના જીવન પ્રવાસના મહત્ત્વપૂર્ણ બિંદુઓ વિશે કહી રહ્યા છે.
‘એક વખત પિતાજીનું પોસ્ટિંગ એક આઈ. એ. એસ. અધિકારી સાથે થઈ. વિચારબીજ ત્યારે રોપાયું અને જ્યારે ઇન્ટર્નશિપ ચાલતી હતી ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરીક્ષા વિશે વધુ જાણકારી મળી. બસ પછી તૈયારી કરવાનું નક્કી કર્યું.’
અનેક ઉતાર-ચડાવ સાથે આ યાત્રા લાંબી ચાલવાની હતી. ‘પ્રીલિમિનરીમાં મેં ‘ગીપ’ (જી. ઈ. ઈ. પી.) સ્ટ્રેટેજી રાખી હતી. ચાર મુખ્ય વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તૈયારી આગળ વધવાની રણનીતિ. આ ચાર મુખ્ય વિષયો એટલે જ્યૉગ્રાફી, એન્વાયર્ન્મેન્ટ, ઇકોનોમી અને પૉલિટી. મુખ્યત્વે આ વિષયોની આસપાસ જ પ્રશ્નો પુછાય છે તો તે વિષયમાં એટલી હથોટી કેળવવી કે તેમાંથી કોઈ સવાલ આવે તો ખોટો ન પડવો જોઈએ. સ્ટાન્ડર્ડ સોર્સ અને મલ્ટિપલ રિવિઝન. પાછલાં દસ વર્ષના પ્રશ્નપત્રોનો અભ્યાસ ઉપયોગી નીવડ્યો. ઓનલાઇન ટેસ્ટ પણ ઘણી આપી. વર્તમાન પત્રો અને વાર્ષિક કે માસિક સામૈયું આપતા સામયિકો- પ્રીલિમિનરી માટે ટૂંકમાં આ રણનીતિ કામ કરી ગઈ.’
‘મેન્સ માટે હું એટલું સમજ્યો કે વાંચવાનું તો મહત્ત્વ છે પણ લખવાનું એથીય વધુ મહત્ત્વનું છે. ગમે તેટલું તમે જાણતા કે વાંચતા હો પણ પરીક્ષામાં લખી ના શકો તો સ્પર્ધાત્મક દ્રષ્ટિએ એ નિષ્ફળ રણનીતિ છે. મેં ઓનલાઇન મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાઈને લેખન કૌશલ્ય વિકસાવ્યું. એવા વિષયો જે પ્રીલિમિનરીમાં બહુ પુછાતા ના હોય એવા વિષયોને પ્રાધાન્ય આપ્યું જેમ કે એથિક્સ, ઇન્ડિયન સોસાયટી, ઇન્ટરલ સિક્યુરિટી વગેરે.’
‘પહેલીવાર જ્યારે પર્સનાલિટી ટેસ્ટની તક મળી ત્યારે હું ઘણો મિકેનિકલ હતો. મેં આઠ-નવ જેવા મૉક આપ્યા. બધાનાં અલગ અલગ સલાહ-સૂચનોથી મારી સ્વાભાવિકતા ગુમાવી દીધી. જવાબ કોઈ ચોક્કસ રીતે જ આપી શકાય એવી ખોટી અને કાચી સમજણ સાથે અપાયેલા ઇન્ટરવ્યૂમાં મારા વ્યક્તિત્વની સ્વાભાવિક અને કુદરતી બાજુ બતાવી શક્યો નહીં અને કદાચ એના પરિણામે નિષ્ફળ રહ્યો હોઈશ.’
ડો. રાહુલને ગ્રીનલેન્ડ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણ પર અભિપ્રાય પુછાયો. આ સવાલ પર વિદેશનીતિથી માંડીને નૈતિકતા તેમજ લોકતાંત્રિક મુદ્દાઓ સુધી લાંબી ચર્ચાઓ થઈ. ડો. રાહુલનો અભિપ્રાય વિસ્તારવાદની વિરુદ્ધનો હતો અને વિવિધ તર્કથી સવાલોનો સામનો કર્યો. અન્ય પ્રશ્નો ડેન્ટિસ્ટ્રી અને અન્ય અનુભવો પર રહ્યા. ‘મેં એકદમ પ્રામાણિકતાથી જવાબ આપ્યા, જવાબમાં નમ્રતા હતી. સારા ગુણ મળવામાં આ કારણો જવાબદાર હોઈ શકે.’
‘મારો મોટો પડકાર એ રહ્યો કે મારી પાસે યોગ્ય માર્ગદર્શન નહોતું. ઘણું બધું ટ્રાયલ અને એરર પર ચાલ્યું. એમાં શીખ્યો પણ સમયના ભોગે. બીજું અર્થનીતિ મારા માટે પડકારજનક વિષય રહ્યો, ઘણી મહેનતના અંતે હું એ વિષય પર સંતોષજનક હથોટી લઈ શક્યો.’
‘2023માં હું માત્ર એક માર્કથી અંતિમ યાદીમાં આવતા રહી ગયો. એ ક્ષણ બહુ ભારે હતી. ડિપ્રેશન આવી ગયું હતું. પણ માતા-પિતા, મિત્રો બધાએ ટેકો કર્યો. મેં વાંચવાનું બંધ ન કર્યું. વધુ ને વધુ ઓનલાઇન લેક્ચર જોવાના શરૂ કર્યા. નાની મોટી બીજી પરીક્ષાઓ આપી- એમાં સફળતા મળી એટલે હિંમત વધી. ઉપરથી હું જીમમાં જતો. પાવર લિફ્ટિંગ અને મેડિટેશન કરતો. ધીમે ધીમે મેં મારી જાતને સંભાળી લીધી.’
2023માં ડો. રાહુલ એક માર્કસથી રહી ગયા, પણ યુ. પી. એસ. સી.ની એક યોજના છે ‘પ્રતિભા સેતુ’. આ યોજના હેઠળ પસંદગી ન પામેલા અને અંતિમ તબક્કા સુધી પહોચેલા ઉમેદવારોની સંમતિ સાથે તેમની વિગતો અધિકૃત સરકારી તેમજ ખાનગી સંસ્થાઓને અપાય છે. દરેક સંસ્થા તેમની અનુકૂળ પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારને રોજગારીની તક આપે છે.
આ યોજના હેઠળ ડો. રાહુલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પસંદગી પામ્યા. તૈયારી ચાલુ રહી. મહેનતમાં કમી ન પડી. ધીમી ધારે સતત પડતું પાણીનું ટીપું પોતાની છાપ છોડી જાય એમ ડો. રાહુલની મહેનત પણ એના મુકામ પર પહોંચી. લક્ષ્યવેધ સિદ્ધ થયો.ડો. રાહુલ રેવરનો લક્ષ્યવેધ પોતાની જાત સાથે વફાદારી રાખી સતત પોતાના લક્ષ્ય તરફ ગતિ કરવાની પ્રેરણા આપે છે.
Read Original Article →