કવર સ્ટોરી:યુદ્ધમાં છિનવાઇ જતા બાળકોના અધિકાર

Magazine4/19/2026, 1:00:00 AM
કવર સ્ટોરી:યુદ્ધમાં છિનવાઇ જતા બાળકોના અધિકાર
ડૉ. દમન આહુજા , બાળ અધિકાર કાર્યકર્તા ઈરાનના મિનાબની પ્રાથમિક શાળામાં ભણતી છથી બાર વર્ષની એ નાની બાળકીઓને ક્યાં ખબર હશે કે સવારે પોતાની અમ્મી-અબ્બુને જે ‘ટાટા બાય બાય’ કહીને તેઓ જઈ રહી છે, તે તેમની છેલ્લી ‘ટાટા બાય બાય’ હશે! ફેબ્રુઆરીમાં આ શાળા પર થયેલા હુમલાની તસવીરોએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી હતી. આ હુમલામાં 168 માસૂમ વિદ્યાર્થીનીઓનાં મોત થયાં હતાં. આખરે આ બાળકીઓનો ગુનો શું હતો? યુદ્ધ મોટા દેશો અથવા જૂથો વચ્ચે થાય છે, પરંતુ તેની કિંમત એવા માસૂમ બાળકોએ ચૂકવવી પડે છે, જેમને તે યુદ્ધ સાથે સીધો કોઈ સંબંધ નથી. યુનિસેફ (UNICEF)ના અહેવાલ મુજબ, હાલમાં 47.3 કરોડથી વધુ બાળકો, એટલે કે દુનિયાના દર છમાંથી એક બાળક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં રહે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોની ટકાવારી 1990ના દાયકામાં આશરે 10 ટકા હતી, જે હવે વધીને લગભગ 19 ટકા થઈ ગઈ છે. આજે દુનિયામાં મુખ્યત્વે ત્રણ મોટાં યુદ્ધો (ઈરાન વિરુદ્ધ અમેરિકા, રશિયા વિરુદ્ધ યુક્રેન અને પેલેસ્ટાઇન વિરુદ્ધ ઇઝરાયેલ)એ બાળકોના આ જ અધિકારોના ધજાગરા ઉડાવી દીધા છે. પોષણથી શિક્ષણ સુધી, બાળકોના આ ચાર અધિકારો ઝૂંટવાયા છે જ્યાં પણ યુદ્ધ થાય છે, ત્યાં બાળકોના આ ચાર મૂળભૂત અધિકારો - પોષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર અને સુરક્ષિત આવાસનો અધિકારનું સૌથી વધુ છિનવાય છે. ચાલો , જાણીએ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેવી રીતે કરોડો બાળકો આ અધિકારોથી વંચિત થઈ ગયા છે: 1. પોષણનો અધિકાર: 6.3 કરોડ બાળકો ભૂખમરાના આરે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અનુસાર, યુદ્ધગ્રસ્ત દેશોમાં ભૂખમરીનું સ્તર શાંતિપૂર્ણ દેશોની સરખામણીમાં 40 ટકા સુધી વધારે હોય છે. જોકે દુનિયાનો એક મોટો ભાગ યુદ્ધની લપેટમાં આવી ગયો છે, આ કારણે ભૂખમરો વેઠતાં બાળકોની સંખ્યા પણ સતત વધી રહી છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 6.3 કરોડ બાળકો ભૂખમરાના આરે પહોંચી ગયાં છે. તેનાથી બાળકોમાં કુપોષણ પણ વધી રહ્યું છે. 2. શિક્ષણનો અધિકાર: 7.80 કરોડ બાળકો સ્કૂલે નથી જઈ શકતાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ વધુ ગંભીર છે. યુનેસ્કોના એક અહેવાલ પ્રમાણે, આવા દેશોમાં 7.8 કરોડથી વધુ બાળકો સ્કૂલોની બહાર છે. પેલેસ્ટાઇન શિક્ષણ મંત્રાલય અનુસાર, માર્ચ 2025 સુધીમાં ગાઝાની 87.5 ટકા સ્કૂલો સંપૂર્ણપણે નાશ પામી છે અથવા તેમને નુકસાન પહોંચ્યું છે. આને કારણે ત્યાંના તમામ 6.25 લાખ બાળકો સ્કૂલે જઈ શકતાં નથી. 3. સ્વાસ્થ્યનો અધિકાર: 40 ટકા બાળકોને વેક્સિન નથી મળી રહી બાળકોની સ્વાસ્થ્ય સેવાઓ પર યુદ્ધની અસર પડી છે. યુનિસેફ અનુસાર, યુદ્ધગ્રસ્ત વિસ્તારોના લગભગ 40 ટકા બાળકો એવાં છે, જેમને રસી (વેક્સિન) કાં તો મળી નથી અથવા તો ડોઝ પૂરા થયા નથી. તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આના કારણે આ બાળકો ઓરી અને પોલિયો જેવા રોગોનો ઝડપથી શિકાર બને છે અને 4 સુરક્ષિત આવાસનો અધિકાર: 4.72 કરોડ બાળકો ઘરોમાંથી વિસ્થાપિત યુએનના એક અહેવાલ મુજબ, 2024ના અંત સુધીમાં 4.72 કરોડ બાળકો યુદ્ધ અને હિંસાને કારણે વિસ્થાપિત થઈ ચૂક્યાં હતાં. ખાસ કરીને ગાઝા પટ્ટી, લેબનાન, મ્યાનમાર, સુદાન અને યુક્રેન જેવા વિસ્તારોમાં યુદ્ધને કારણે વિસ્થાપન વધુ વધ્યું છે. રસરંગ નોલેજ યુદ્ધગ્રસ્ત વિસ્તારોની ઝલક યુક્રેન: 20 હજાર બાળકોનું અપહરણ, બ્રેનવોશ કરવાનો પ્રયાસ ટાઇમ મેગેઝિનમાં પ્રકાશિત અહેવાલમાં યુક્રેનના અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે રશિયા 20 હજારથી વધુ યુક્રેનિયન બાળકોનું અપહરણ કરીને તેમને પોતાના દેશમાં લઈ ગયું છે. યુક્રેન સિક્યુરિટી સર્વિસ (SBU)ના દાવા મુજબ, રશિયા આ અપહૃત બાળકોનું સુનિયોજિત રીતે બ્રેનવોશ કરીને તેમને યુક્રેન વિરુદ્ધ જ ઊભા કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. ગાઝા: 18 હજાર બાળકોનાં મોત, દર્દથી પણ ગુમાવ્યો જીવ યુનિસેફ અનુસાર, ઇઝરાયેયલ-પેલેસ્ટાઇન વચ્ચેની બે વર્ષની લડાઈ દરમિયાન માત્ર ગાઝામાં 18 હજારથી વધુ બાળકો માર્યાં ગયાં છે. એનેસ્થેસિયાનો પૂરતો પુરવઠો ન હોવાને કારણે ગાઝામાં અનેક બાળકોએ અસહ્ય પીડાને કારણે પણ જીવ ગુમાવ્યો. ત્યાં દરરોજ 10 ઘાયલ બાળકોના એક અથવા બંને પગ કાપવા પડ્યા છે. માનસિક અસર: સતત બીક લાગવી, ભરોસો તૂટી જાય છે (ડો. અચલ ભગત, સિનિયર કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ એન્ડ સાઇકોથેરાપિસ્ટ, એપોલો હોસ્પિટલ) હાર્વર્ડ સેન્ટર ઓન ધ ડેવલપિંગ ચાઇલ્ડની એક રિસર્ચ કહે છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવાથી બાળકોના મગજમાં ‘ટોક્સિક સ્ટ્રેસ’ પેદા થાય છે. આ તણાવ મગજના ન્યુરલ કનેક્શનને નબળું પાડે છે. આનાથી બાળકોની શીખવાની ક્ષમતા અને લાગણીઓને નિયંત્રિત કરવાની શક્તિ કાયમી ધોરણે પ્રભાવિત થઈ શકે છે, જે પુખ્ત વયે પણ જળવાઈ રહે છે.
Read Original Article →