હૂંફ:નવુંસવું બોલતા શીખેલા બાળક સાથે આત્મીયતા

Magazine5/5/2026, 12:35:00 AM
હૂંફ:નવુંસવું બોલતા શીખેલા બાળક સાથે આત્મીયતા
ધર્માંશુ વૈદ્ય આજના દોડધામભર્યા સમયમાં મા-બાપની બહુ સામાન્ય અને સાર્વત્રિક ફરિયાદ હોય છે કે, “મારું બે-ત્રણ વર્ષનું બાળક મારી કોઈ વાત સાંભળતું જ નથી!’ આ ફરિયાદ પાછળનો થાક, હતાશા અને ક્રોધ સમજી શકાય છે. પરંતુ, આપણે ક્યારેય થોડી ક્ષણો ઊભા રહીને એ વિચારવાની તસ્દી લઈએ છીએ ખરા કે ખામી ખરેખર બાળકના સાંભળવામાં છે કે પછી આપણી કહેવાની પદ્ધતિમાં? જ્યારે બાળક આપણો આદેશ નથી માનતું, ત્યારે આપણે આપણો અવાજ ઊંચો કરીને બૂમો પાડવા લાગીએ છીએ. પરંતુ યાદ રાખજો, બૂમો પાડવાથી માત્ર ઘોંઘાટ સર્જાય છે, હૃદયનો સંવાદ નહીં. બાળક કોઈ નિર્જીવ યંત્ર નથી, પણ ખીલતું ફૂલ છે. જ્યારે બાળક પોતાની રમતમાં કે પોતાની કાલ્પનિક સૃષ્ટિમાં મગ્ન હોય, ત્યારે તેનું ધ્યાન સંપૂર્ણપણે એમાં જ હોય છે. એવા સમયે રસોડામાંથી ફેંકાયેલો આદેશ તેના મગજ સુધી તરત જ પહોંચતો નથી. સાચો ઉપાય આક્રોશ નહીં, પણ આત્મીયતા છે. બૂમ પાડવાને બદલે બાળકની નજીક જાઓ. નીચે બેસીને, તેના ખભા પર હેતથી હાથ મૂકીને, તેની આંખોમાં આંખ પરોવીને વાત કરો. આંખનો સંપર્ક એ આત્માનો સંપર્ક છે. જ્યાં સુધી સ્નેહનું જોડાણ ન થાય, ત્યાં સુધી વર્તનમાં ફેરફાર શક્ય નથી. આ ઉપરાંત બાળકને આદેશ આપતી વખતે ઘણા મા-બાપ બહુ બધા શબ્દો વાપરે છે. "તારા રમકડાં મૂકી દે, હાથ ધોઈ લે, કપડાં બદલી નાખ….’ બાળકની નાનકડી સ્મૃતિની પાટી પર આટલું બધું એકસાથે લખી શકાતું નથી. તેના નાજુક મગજ પર શબ્દોનો અતિરેક ભારણ ઊભું કરે છે. માટે તેને ટૂંકી, સ્પષ્ટ અને નક્કર વાત કહો. સૂચના આપ્યા પછી થોડીક ધીરજની ખેતી પણ કરવી પડે. આજના ઇન્સ્ટન્ટ યુગમાં મા-બાપની ધીરજ જાણે ખૂટી ગઈ છે. પણ બાળક કોઈ કમ્યુટર નથી. તેને કોઈ વાત કહ્યા પછી કમસેકમ દસ સેકન્ડ મનમાં ગણો અને રાહ જુઓ, જેથી એ તમારા શબ્દો પચાવી સમજી શકે. કેટલાક કિસ્સામાં, માતા-પિતા બાળકના તોફાન કે ભૂલની તરત જ નોંધ લે છે, પરંતુ જ્યારે તે પહેલી વારમાં જ કહ્યું માની લે, ત્યારે તેની યોગ્ય પ્રશંસા કરવાનું ચૂકી જાય છે. આવા વખતે માત્ર "તું બહુ ડાહ્યો છે’ એવો છીછરો પ્રતિભાવ આપવાને બદલે, “તેં મારી વાત તરત જ માની અને વસ્તુઓ યોગ્ય જગ્યા પર મૂકી દીધી, તે મને ખૂબ ગમ્યું.’ એવો સ્પષ્ટ આવકાર આપો. આનાથી બાળકના મગજને સકારાત્મક વર્તનનું મૂલ્ય સમજાય છે અને તે ફરીથી એવું વર્તન કરવા પ્રેરાય છે. બાળઉછેર એ ખરેખર તો બાળકને સુધારવાની નહીં, પણ જાતને કેળવવાની, પોતાની ધીરજને કસવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન આપણી અંદરનો કોલાહલ બહાર ન આવી જાય એની કાળજી ન રાખીએ તો આપણે મોટેરા શેના વળી? પીપરમિન્ટ: એની આંખોમાં પ્રભુ દીઠા.
Read Original Article →