સુનામી:સંબંધ તૂટે તો આંસુ ન વહાવો, જશ્ન મનાવો

Magazine4/14/2026, 12:35:00 AM
સુનામી:સંબંધ તૂટે તો આંસુ ન વહાવો, જશ્ન મનાવો
‘મારી દીકરી કોઇ સામાન નથી કે એકવાર એને સાસરે મોકલી દીધા પછી પાછી નહીં બોલાવું….!’ મેરઠનાં એક પિતા જ્યારે આવું બોલી રહ્યાં હતા ત્યારે એમનાં ચહેરા પર દીકરીનાં દોજખમાંથી છૂટ્યાનું સ્મિત છલકાતું હતું. છૂટાછેડા લઇને ધરે આવેલી દીકરીનું આ પિતાએ બેન્ડ વાજા સાથે સ્વાગત કર્યું-બેન્ડ વાજા સાથે દીકરીને સાસરે વળાવનાર પિતા જ્યારે સાસરેથી કાયમ માટે ઘરે પાછી ફરેલી દીકરીનું સ્વાગત પણ બેન્ડ વાજાથી કરે ત્યારે એકવાત ચોક્કસ જ સાબિત થાય છે કે-તૂટી ગયેલા સંબંધ પાછળ આંસુ ના સારવાનાં હોય એનો તો જશ્ન જ મનાવવાનો હોય! આપણે જો જોડાઇ રહેલા સંબંધોનું સેલિબ્રેશન કરીએ તો તૂટી રહેલા સંબંધનું પણ સેલિબ્રેશન થવું જોઇએ અને શાનદાર રીતે થવું જોઇએ. એક સમય હતો જ્યારે જે ઘરેથી દીકરીની ડોલી નીકળી હોય એ ઘરે એની અર્થી જ પાછી ફરતી….હવે સમય બદલાઇ રહ્યો છે-છૂટાછેડા લઇને આવેલી દીકરી સન્માનભેર પોતાનાં પિતાનાં ધરે રહી શકે છે-સાસરેથી પાછી ફરેલી બહેન ભાઇ-ભાઇની આંખમાં કાંકરાની જેમ વાગી નથી રહી-છૂટાછેડા સહજ થઇ રહ્યાં છે-છતાં આપણે ત્યાં સંબંધોની આદર્શ વાતો કરનારાઓની સંખ્યા ઓછી નથી થઇ. હજી આજે પણ આપણે ત્યાં સાત જન્મનાં બંધનની બડાઇ હાંકવામાં આવે છે. સાત જન્મ તો જવા દો-ઘણાં સંબંધોનાં સ્પેર પાર્ટસ સાત વર્ષોમાં જ ઢીલા થઇ જતા હોય છે-આવા સમયે બધી એનર્જી જો ઢીલા થઇ ગયેલા સ્પેર પાર્ટ્સને ટાઇટ કરવા પાછળ ખર્ચી નાખવામાં જ પસાર કરી નાખવાની હોય એનાં કરતાં એક પછી એક સ્પેર પાર્ટસને ધીરે-ધીરે નીચે ઉતારી લેવા જોઇએ. હજી આજે પણ આપણે ત્યાં પ્રેમને આદર્શ માનવામાં આવે છે, હજી આજે પણ મા-બાપ લગ્નમાં સમાધાનો કરી લેતા અને સમાધાનો કર્યા જ કરતા સંતાનોને શીખવતા હોય છે. દીકરી લગ્ન તોડીને ઘરે પાછી ફરે તો સમાજ શું કહેશે-એનો ડર તો હોય જ છે પણ જો દીકરી આર્થિક રીતે પગભર નહીં હોય તો એની જવાબદારી ભાઇ પર આવી જવાની ચિંતા પણ હોય છે-આવી ચિંતા વચ્ચે મા-બાપ દીકરીને તૂટી ગયેલા સંબંધોની કરચો વચ્ચે જીવવા મજબૂર કરે છે અને દીકરી પણ તૂટી ગયેલી કરચોને ક્યારેક સ્પર્શથી તો ક્યારેક શબ્દોથી સાંધવાની કોશિષો કરતી રહે છે. મેરઠનાં આ પિતા પાસેથી દરેક મા-બાપે દીકરીએ લીધેલા નિર્ણયને સ્વીકારી લેતા શીખવું જોઇએ. દરેક મા-બાપે દીકરીનાં તૂટી ગયેલા સંબંધો પર આંસૂ સારવાને બદલે કે નિસાસા નાખવાને બદલે દીકરીની આઝાદીનો જશ્ન મનાવવો જોઇએ. આપણે ત્યાં જેવી રીતે સંબંધોને જોડતા શીખવવામાં આવે છે-એવી રીતે સંબંધોને તોડતા પણ શીખવવાની જરૂર છે. ઘણાં લોકો સંબંધ નહીં તોડવાની ફિલોસોફીમાં માનતા હોય છે-તમે જ્યારે સંબંધ તોડી નાખો છો ત્યારે આવા લોકો-તમે સમાધાનો કરી શકતા નથી એવું માની તમને મૂલવી લે છે-જરૂર વાંક તો તમારો જ હશે-એવું જજમેન્ટ પણ આપી દેતા હોય છે-આવા લોકોને ઇગ્નોર કરી નાખવા જોઇએ-સંબંધ જોડેલા રાખવા જોઇએ એવું માનનારા લોકો પોતે જ્યારે આવા દોજખમાં મૂકાતા હોય છે ત્યારે ત્યાંથી ઊભી પૂંછડીએ સૌથી પહેલા ભાગી જતા હોય છે. આવા લોકો તમારા વિશે શું બોલશે-એની પરવા બાજુ પર મૂકી દેવી જોઇએ. લાગણીઓનું ખાતું નુકશાનીમાં ચાલ્યું જાય, ઇચ્છાઓની હેન્ડ બ્રેક ખેંચેલી રાખવી પડે-અપેક્ષાઓની બ્રેક દબાવી રાખવી પડે અને જરૂરિયાતોનું પેટ્રોલ ખૂટી જાય ત્યારે સંબંધને વેન્ટિલેટર પર મૂકી દેવો જોઇએ-એ પછી બધા જ પ્રયાસો કરી ચૂક્યા હોવાની ખાતરી થઇ જાય કે તરત પળવારનો વિચાર કર્યા વિના વેન્ટિલેટરની સ્વીચ બંધ કરી દેવી જોઇએ. દરેક મા-બાપે પોતાની દીકરીઓને તૂટી ગયેલા સંબંધની સ્વિચ બંધ કરતા શીખવી દેવું જોઇએ. જે સંબંધ પીડા જ આપવાનો હોય-એ સંબંધ જીવનમાં હોય કે ના હોય કોઇ ફરક પડવો જોઇએ નહીં. બ્રેકઅપ પાર્ટીઓનો ટ્રેન્ડ આજની પેઢીમાં છે-જૂની પેઢીનાં વડીલોએ પણ તૂટી રહેલા સંબંધની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવી જોઇએ-કારણ કે જેલમાં કેદ થવા કરતા આઝાદ થવાનો જશ્ન વધારે મહત્ત્વનો હોય છે.
Read Original Article →