Live Updates

એકબીજાને ગમતાં રહીએ:લગ્ન વગરનો સંબંધ કે સંબંધ વગરના લગ્ન?

Magazine4/14/2026, 12:35:00 AM
એકબીજાને ગમતાં રહીએ:લગ્ન વગરનો સંબંધ કે સંબંધ વગરના લગ્ન?
આજથી એક દાયકા પહેલાં કોઈ ‘લિવ ઈન’ની વાત કરે ત્યારે શરમ, સંકોચ અને સમાજના જાતભાતના દાખલા આપીને એ વ્યક્તિને ચૂપ કરાવી દેવામાં આવતા. જોન અબ્રાહમ અને બિપાશા બાસુ જ્યારે લગ્ન વગર રહેતા હતા ત્યારે લોકોએ-મીડિયાએ એમના આ સંબંધને ટ્રોલ કરવામાં કશું બાકી રાખ્યું નથી. કેટરિના અને રણબીર જ્યારે સાથે રહેવા લાગ્યા ત્યારે પણ મીડિયાએ એ ચગાવવામાં કંઈ બાકી રાખ્યું નહોતું, પરંતુ હવે લગ્ન કર્યા વગર સાથે રહેવું એ કોઈ મોટી આશ્ચર્યજનક બાબત નથી રહી બલ્કે 2000 પછીની પેઢી લગ્ન કર્યા વગર સાથે રહીને પછી જ એ સંબંધને કોઈ ફાઈનલ સ્વરૂપ કે નક્કર નામ આપવામાં માને છે એમ કહીએ તો ખોટું નથી… માનસિક, શારીરિક અને સાયકોલોજીકલ, ઈમોશનલ કમ્પેટિબિલિટી ચેક કર્યા વગર લગ્ન કરવાનું રિસ્ક લેવા હવેની પેઢી તૈયાર નથી. લગ્ન સુધી પહોંચતા પહેલાં એમના સંબંધોમાં અનેક પડાવ આવે છે. ફ્રેન્ડશિપ, બેન્ચિંગ, ડેટિંગ, એક્સક્લુઝિવ કે ઓપન, કમિટેડ જેવાં અનેક લેબલની નીચે એમના સંબંધોની આગવી અને અનોખી વ્યાખ્યાઓ છે. 50-55ના માતા-પિતાને આ સંબંધો અને એની સાથે જોડાયેલી જુદી જુદી વ્યાખ્યાઓ સમજાતી નથી. ખાસ કરીને, ભારતમાં માતા-પિતાની માનસિકતા હજી પણ, ‘ઉંમર થાય એટલે લગ્ન કરી લેવાં જોઈએ’ની માન્યતા ધરાવે છે જ્યારે નવી પેઢીની એક દલીલ એવી છે કે, લગ્ન કર્યા પછી છુટા પડવું એના કરતાં લગ્ન કરતાં પહેલાં એકમેકને સમજીને, ઓળખીને પછી જ લગ્નનો નિર્ણય કરવો. આજની પેઢી માટે લગ્નમાં સેક્સની કમ્પેટિબિલિટી પણ એટલી જ મહત્ત્વની છે. અત્યાર સુધીની પેઢી કદાચ લગ્ન પહેલાંની ‘વર્જિનિટી’ને મહત્ત્વ આપતી હતી, પરંતુ નવી પેઢી હવે પૂરા આદર અને પ્રામાણિકતા સાથે પોતાના એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ઓળખાણ કરાવે છે. મોટાભાગના યુવાનોને હવે એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ હતો કે નહીં, એવો પ્રશ્ન પૂછવાની જરૂરિયાત પણ લાગતી નથી... સમય બદલાયો છે એની સાથે દંભનું પ્રમાણ ઘટ્યું છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં નિખાલસતા અને ક્લેરિટી વધુને વધુ મહત્ત્વના બનતા જાય છે ત્યારે એક વિચાર એવો આવે કે, માતા-પિતા જ્યારે અરેન્જ મેરેજ કરાવે છે ત્યારે ડિગ્રી સાથે ડિગ્રી, બેન્ક બેલેન્સ સાથે બેન્ક બેલેન્સ અને સ્ટેટ્સ સાથે સ્ટેટ્સ મેચ કરવાની કોઈ હરીફાઈ શરૂ થાય છે. વર-કન્યાના મન એકબીજા સાથે મળે છે કે નહીં એવો વિચાર કરવાને બદલે ભોજનમાં શું મેનુ હશે અને લગ્નમાં કેટલો ખર્ચો થશે એમાં વધુ સમય બરબાદ કરવામાં આવે છે. મોટાભાગના અરેન્જ મેરેજમાં વર-કન્યાને પૂરતો સમય મળતો નથી-આપણે ઉચ્ચ મધ્યમવર્ગ કે શ્રીમંતોની વાત નથી કરતા, પરંતુ મધ્યમવર્ગ કે નીચલા મધ્યમવર્ગના લોકો આજે પણ દીકરીને બ-ચાર મુલાકાતથી વધુ સમય આપવામાં માનતા નથી. કદાચ થોડો વધુ સમય ‘ડેટિંગ’ ચાલ્યું હોય તો સમાજમાં, જ્ઞાતિમાં એ છોકરી માટે મૂરતિયો મળવો અઘરો થઈ જાય, એવા પણ કિસ્સા બને છે. એન્ગેજમેન્ટ થયા પછી પણ કોર્ટશિપનો પિરિયડ બહુ લાંબો ન રાખવો જોઈએ એવું માનતા માતા-પિતાની સંખ્યા આ દેશમાં ઓછી નથી... બે તદ્દન વિરોધાભાસી વિચારોની વચ્ચે આજનો સમાજ લગ્ન અને પરિવારની રચનાને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ડિવોર્સની સંખ્યા વધી રહી છે. લગ્નેતર સંબંધો વધી રહ્યા છે. આ બધાનું મુખ્ય કારણ કદાચ એ છે કે, દુનિયાનો કોઈપણ સંબંધ જો સમજદારી અને કમ્પેટિબિલિટીના પાયાવિહોણો હોય તો એ સંબંધને તૂટી પડતાં વાર નથી લાગતી. હવે તો ગ્રે ડિવોર્સનું પ્રમાણ પણ વધ્યું છે કારણ કે, મોટી ઉંમરે પહોંચીને-15-20 વર્ષના લગ્નજીવન પછી પણ પતિ-પત્નીને લાગે છે કે એ એકબીજા સાથે સુખેથી જીવ્યાં નથી ને હવે બાકીનું જીવન સાથે જીવી શકે એમ નથી! માતા-પિતા, સંતાનો અને સમાજ જેવા બહાના નીચે લગ્ન ટકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યા પછી પણ જ્યારે લગ્ન ન ટકે ત્યારે એક સવાલ એવો પણ જાગે છે કે આજની પેઢી, જે લગ્ન વગર સાથે રહ્યા પછી જ પોતાનો નિર્ણય કરવા માગે છે એ સાચું અને યોગ્ય છે? ઉત્તમ કપડાં પહેરીને, પરફ્યૂમ છાંટીને, કોઈ રેસ્ટોરાંમાં, કેફેમાં, મિત્રોના ટોળાંમાં, સામાજિક પ્રસંગે કે પાર્ટીમાં એકબીજાને મળતું યુગલ પોતાની ઉત્તમ સાઈડ જ બતાવે એ સ્વાભાવિક છે. કોઈને છેતરવાનો કે જુઠ્ઠું બોલવાનો સવાલ નથી, પરંતુ જ્યારે બે જણાંને એકબીજા માટે લાગણી હોય કે બંને એકબીજાને ગમતાં હોય ત્યારે થોડીવાર માટે એકબીજાને અનુકૂળ થવું સહેલું છે, પરંતુ જ્યારે સાથે રહેવા માંડે ત્યારે રોજિંદી જિંદગી, રૂટિન, વ્યવસાય કે કામકાજની સાથે બંને એકબીજાને અનુકૂળ થઈ શકે તો જ એ લગ્ન ટકે, એ વાત ખોટી તો નથી જ! ક્લાસ, શિક્ષણ, જીવનશૈલી, ભોજનની આદતો કે રૂટિન એકબીજાની સાથે મેચ થવું જોઈએ. ઝાકિર ખાન નામના એક સ્ટેન્ડઅપ કોમેડિયન પોતાના એક સ્ટેન્ડઅપ એક્ટમાં બે જુદા ક્લાસની વ્યક્તિઓ જ્યારે સાથે રહેવા લાગે ત્યારે કેવી સમસ્યાઓ થાય એનું રમૂજી નિરૂપણ કર્યું છે. એ કહે છે, ‘તકિયાને કુશન કહેવાય, બાથરૂમ કોરો રાખવો જોઈએ, ખાતી વખતે ફોર્કનો ઉપયોગ કરવો જોઈએ અને સૂતા પહેલાં કપડાં બદલવા જોઈએ-પગ ધોવા જોઈએ. આવી કોઈ વાતો મને એ છોકરી સાથે રહેવાનું શરૂ કર્યું એ પહેલાં ખબર જ નહોતી!’ એક રીતે જોતાં હસવું આવે, પરંતુ જો આને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ સમજાય કે બે તદ્દન જુદા લોકો જો એકબીજાને સમજ્યા કે ઓળખ્યા વગર સાથે રહેવાનું શરૂ કરે તો એમના જીવનમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હવેના યુવાનોને એમના ‘અંગત’ જીવનમાં માતા-પિતાની દખલઅંદાજી પણ ગમતી નથી. છોકરો અને છોકરી પોતાના જીવનને પોતાની રીતે જીવવા અને ગોઠવવા માગે છે. એમાં જ્યારે માતા-પિતા-સમાજ દાખલ થાય છે ત્યારે આ લિવ ઈનના ઈક્વેશન બગડી જાય છે. લગ્ન સામાન્ય રીતે ‘સલામતી’નો પર્યાય છે એમ માનતી જૂની પેઢીએ હવે સમજવું પડશે કે, આજની પેઢીને લગ્ન પછી પણ એકબીજા સાથે બંધાયેલા રહેવાની ફરજ પાડી શકાય એમ નથી. નવી પેઢીના માતા-પિતા કદાચ આ વાત નથી સમજી શકતા, પરંતુ બદલાતા સમય સાથે હવેના માતા-પિતા જો ખરેખર એમના સંતાનનું સુખી લગ્નજીવન કે સુખી જીવન ઈચ્છતા હોય તો એમણે એમના સંતાનની માનસિકતા અને એકમેક સાથેની કમ્પેટિબિલિટીની જરૂરિયાતને સમજ્યા વગર છુટકો નથી.
Read Original Article →