પાંચમો વેદ:કામના લીધે મારે લાંબો સમય ઊભા રહેવું પડે છે, જેથી એડીમાં ભારે દુખાવો રહે છે
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: હું સ્વિમિંગ કરું છું ત્યારે મારા આખા શરીરે ખંજવાળ અને ઇન્ફેકશન શરૂ થઇ જાય છે. તો મારે શું કરવું? આભાર. { દક્ષય પટેલ, અમદાવાદ
ઉત્તર: તમે જ્યારે સ્વિમિંગ કરો ત્યારે શરીરે ખંજવાળ અને ઇન્ફેક્શન થાય છે, તે સામાન્ય રીતે ઠંડા પાણી, સ્કિન ડ્રાયનેસ અને ક્લોરિન રિએક્શનના કારણે થઇ શકે. આ સમસ્યાને પિત્ત-કફ પ્રકોપ પણ કહી શકાય. સ્વિમિંગ પહેલાં શરીરે નાળિયેર તેલ અથવા તલનું તેલ લગાવો, જેથી સ્કિન પર પ્રોટેક્શન બને. અને સ્કીનની સ્નિગ્ધતા જળવાય અને પિત્તનું શમન પણ થાય. સ્વિમિંગ પછી તરત ચોખ્ખા પાણીથી સ્નાન કરી માઈલ્ડ સોપ વાપરો અને પછી મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. સોડા બાય કાર્બ (ખાવાનો સોડા) થોડા પાણીમાં ભેળવીને ખંજવાળ પર લગાડવાથી તાત્કાલિક રાહત મળી શકે છે, કારણ કે તે સ્કિનને શાંત કરે છે, પણ નિયમિત ઉપયોગ ન કરવો, સ્કિન વધુ સૂકી બનાવી શકે. ચંદન, ગુલાબજળ અથવા એલોવેરા વધુ સલામત વિકલ્પ છે. ખોરાકમાં ખાટું, તીખું ઓછું લો. ઔષધમાં લીમડો, ગુડુચી, ખદીર જેવી દવાઓ મદદરૂપ થાય છે. સમસ્યા વધુ હોય તો થોડા સમય માટે સ્વિમિંગ ટાળવું પણ યોગ્ય રહેશે.
પ્રશ્ન: મારી ઉંમર 42 વર્ષ છે મને સતત માથું દુખ્યા કરે છે.
{ રવિરાજ
ઉત્તર: 42 વર્ષની ઉંમરે સતત માથાનો દુખાવો રહેવું આયુર્વેદ મુજબ સામાન્ય રીતે વાત-પિત્તનો પ્રકોપ ગણી શકાય. આની સાથે માનસિક સ્ટ્રેસ, રાતના ઉજાગરા, ઊંઘની અછત, અતિશય ગુસ્સો, અનિયમિત જીવવું, અનિયમિત ખાન-પાન મુખ્ય કારણો હોઈ શકે. ખાટું-તીખું, ચા-કોફી ઓછું કરવું. રાતના ઉજાગરા ના કરવા, પૂરતી ઊંઘ અને નિયમિત સમય પર જમવું ખૂબ જરૂરી છે. પ્રાણાયામ અને મેડીટેશનથી બહુ ફાયદો થતો હોય છે. જો દુખાવો વારંવાર વધારે રહેતો હોયતો આંખ, BP અથવા માઇગ્રેન માટે ચેકઅપ કરાવશો, જેથી યોગ્ય સારવાર કરી શકાય. આ ઉનાળામાં રોજ સવારમાં નાકમાં ગાયના ઘીનું 1-1 ટીપું નાખવું, રાત્રે સુતા પહેલા માથા પર નાળિયેર તેલથી મસાજ કરવો. જીરું-ધાણા, વરિયાળી, ગુલકંદ, દુધી, પરવળ વધારે લેવા. તમારે નજીકના ક્વોલિફાઈડ વૈદ્યને બતાવીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
પ્રશ્ન: મને વારંવાર શરદી થઇ જાય છે. છીંકો બહુ આવે છે. નાનપણથી એલર્જી રહે છે. દાદી કહે છે કે તુલસી-આદુનો રસ પીવાથી શરદી-છીંકો- એલર્જી મટી જશે. તો તુલસી-આદુનો રસ કેવી રીતે, કેટલો પીવાય?
{ નીતિન પટેલ, ગાંધીનગર
ઉત્તર: આયુર્વેદના મતે ગળ્યું, મેંદો, આથાવાળી વસ્તુઓ, દહીં, કેળાં અને ઠંડા ખોરાકથી શરદી વધી શકે છે, એટલે જમવામાં આટલી વસ્તુઓ પર કંટ્રોલ કરો. થોડી કસરતો, પ્રાણાયામ, ડીપ બ્રીથીંગ એકસરસાઈઝ કરવાનું રાખો. માસ્કનો ઉપયોગ કરો, તુલસી - આદું અને હળદરનો રસ ખરેખર ગુણકારી છે. 10 પાન તુલસી, નાનો ટુકડો આદું અને નાનો ટુકડો લીલી હળદર લઈને, પત્થર પર લસોટી, કપડામાં બાંધીને નીચોવી લેવાથી 2 ચમચી જેટલો રસ મળશે. તેને દરરોજ સવારે નરણા કોઠે લઇ શકાય.
પ્રશ્ન: ત્રિફળા લેવાથી ફાયદા થાય? તેને કેવી રીતે લેવાય. { લલિત લાલવાણી
ઉત્તર: ત્રિફળા (હરડે, બહેડાં અને આમળાં) આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી અને સુરક્ષિત ઔષધ માનવામાં આવે છે. તે પાચન સુધારે, કબજિયાત દૂર કરે, શરીરમાંથી આમ બહાર કાઢે અને આંખ-ત્વચા માટે પણ લાભદાયક છે. સામાન્ય રીતે રાત્રે સુતા પહેલાં 1 ચમચી ત્રિફળા પાવડર નવશેકા પાણી સાથે લેવાય. કાયાકલ્પ અથવા રસાયણ પ્રયોગ માટે પ્રાતઃકાળે પણ લઇ શકાય. ત્રિફળાના પાણીથી આંખ ધોઈ શકાય. ઋતુ મુજબ લેવાય તો વધુ ફાયદો મળે - શિયાળામાં થોડું ઘી કે મધ સાથે, ઉનાળામાં આમળાં સાથે, અને વર્ષા-શરદ ઋતુમાં નવશેકા પાણી સાથે લેવાય. તેનો ડોઝ વ્યક્તિની પ્રકૃતિ અને અગ્નિ મુજબ નક્કી કરાય છે.
પ્રશ્ન: મારી ઉંમર 34 વર્ષ છે અને હું માર્કેટિંગનું કામ કરું છું, જેમાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. મને છેલ્લા 3 વર્ષથી એડીમાં ભારે દુખાવો રહે છે. ચાલવામાં પણ તકલીફ પડે છે. ખાસ કરીને સવારે ઊઠતાં વખતે દુખાવો વધુ લાગે છે. સાચું કારણ જણાવશો અને યોગ્ય સારવાર આપશો.
ઉત્તર: આ સમસ્યા આયુર્વેદમાં ‘વાતકંટક’ તરીકે ઓળખાય છે, જેને આધુનિક ભાષામાં plantar fasciitis કહે છે. તેમાં એડીના તળિયે સોજો અને તીવ્ર દુખાવો થાય છે, ખાસ સવારે ઊઠતાં અથવા લાંબા સમય ઊભા રહીએ ત્યારે વધે છે. જરૂર પડે X-ray કરાવશો. તલના તેલથી એડી અને પગના તળિયે મસાજ કરી નવશેકા પાણીથી શેક કરવો. ગરમ રેતીની પોટલીનો શેક ઉપયોગી છે. સોફ્ટ કુશનવાળા શૂઝ પહેરવા, કઠણ સપાટી પર ન ચાલવું. ગૂગળ, દશમૂલ, અશ્વગંધા જેવા ઔષધો વૈદ્યની સલાહથી લઈ શકાય.
Read Original Article →