મીઠી મૂંઝવણ:લગ્ન પછી પગાર સાસરિયાંને જ આપવાનો!
મોહિની મહેતા પ્રશ્ન: મારી સગાઇ થયા પછી મને જાણવા મળ્યું કે મારી ભાવિ પત્ની અન્ય યુવાનને પ્રેમ કરે છે. એને આ અંગે પૂછતાં એણે કહ્યું કે હવે એ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. છેલ્લા થોડા વખતથી અમારા કોઇ ને કોઇ પરિચિત પાસેથી મને જાણવા મળે છે કે એના પ્રેમી સાથેના સંબંધો યથાવત છે. હું એ યુવતી સાથેની સગાઇ તોડવા માગું છું, પણ મારાં માતા-પિતા રાજી નથી. મારે શું કરવું? { એક યુવાન
ઉત્તર: તમને જ્યારે તમારાં ભાવિ પત્નીએ પોતાના પ્રેમસંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હોવા અંગે કહ્યું, ત્યારે તમે તે માની લીધું. હવે તમને ખબર પડી છે કે એના સંબંધો યથાવત છે, તો એ યુવતી સાથે લગ્ન કરીને તમે સુખી નહીં થઇ શકો. તમારા માતા-પિતા જો સગાઇ તોડવા અંગે રાજી ન થતાં હોય, તો તેમને સાચી વાત જણાવી દો અને એ પણ સ્પષ્ટ કહો કે તમારી ભાવિ પત્ની તમારી સાથે ખોટું બોલી છે. આવી યુવતી સાથે લગ્ન કર્યા પછી ન તો તમે સુખી થશો કે ન તો તમારાં માતા-પિતાને કોઇ પ્રકારનું સુખ મળશે. માટે આ સગાઇ તોડી નાખવામાં જ સૌની ભલાઇ છે એ વાત તમારાં માતા-પિતાને સમજાવો. તેઓ ચોક્કસ તમારી સમસ્યા સમજશે.
પ્રશ્ન: મારી ભાણી ચૌદ-પંદર વર્ષની છે. મારી બહેનને કંઇ કામ હોય કે બહાર જવું હોય તો એને મારી પાસે મૂકી જાય છે. હું એક યુવતીને પ્રેમ કરું છું, પણ તેની જાણ મારી ભાણી સિવાય કોઇને નથી. મારી ભાણી ઘરમાં બધાને કહી દઇશ એમ કહીને મારી પાસેથી જાતજાતની વસ્તુઓ માગે છે. મારે એને કઇ રીતે સમજાવવી? { એક યુવાન
ઉત્તર: તમારી ભાણીની ઉંમર જોતાં એ એટલી સમજદાર તો થઇ જ ગઇ છે કે ઘરમાં કઇ વાત થાય અને કઇ નહીં. તેથી જ તમે જ્યારે તમારી પ્રેમિકાને મળો, ત્યારે એ સમજે છે કે આ વાતની જાણ ઘરમાં કોઇને નથી અને તેથી જ એ તમને ઘરમાં બધાને કહી દેવાની ધમકી આપીને પોતાની મનગમતી વસ્તુઓ લેવડાવે છે. વાંક તમારો છે કે તમે એની ધમકીને વશ થઇ એને વસ્તુઓ અપાવી. એણે જ્યારે તમને આવી ધમકી પહેલી વાર આપી ત્યારે જ તમારે ઘરમાં તમારા પ્રેમ અંગે વાત કરી દેવાની જરૂર હતી. હજી પણ મોડું નથી થયું. તમે પરિવારમાં તમારી પ્રેમિકા વિશે વાત કરો અને તમારી ભાણી તમને આ રીતે ધમકીઓ આપે છે, તે પણ તમારી બહેનને જણાવો. જેથી એ ફરી ક્યારેય બીજાને આવી રીતે ધમકાવીને કોઇ વસ્તુ ન લે.
પ્રશ્ન: મારા પિતાનું અવસાન થોડા સમય પહેલાં જ થયું છે. પરિવારમાં માતા અને મારો નાનો ભાઇ છે. હું જોબ કરું છું, જેથી ઘરમાં ખાસ મુશ્કેલી નથી પડતી. મારી સગાઇ થઇ ત્યારે મેં સ્પષ્ટતા કરી હતી કે હું લગ્ન પછી પણ જોબ નહીં છોડું. મારા ભાવિ પતિનું કહેવું છે કે લગ્ન પછી જોબ ચાલુ રાખું તો મારે પગાર સાસરિયાંમાં આપવાનો રહેશે. જો એમની વાત માનું તો મારી માતા અને ભાઇનું શું થાય? મારે આ સગાઇ રાખવી કે તોડી નાખવી? માર્ગદર્શન આપશો.
{ એક યુવતી
ઉત્તર: તમે પિતાના અવસાન પછી તમારી જોબ દ્વારા માતા અને નાના ભાઇનું ધ્યાન રાખ્યું છે. સ્વાભાવિક છે કે મોટી બહેન તરીકે તમે તમારી જવાબદારી સારી નિભાવી છે. જોકે સગાઇ થઇ તે વખતે જો તમે તમારા ભાવિ પતિને કહ્યું કે લગ્ન પછી તમે જોબ ચાલુ રાખસો અને તે વખતે તમે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે તમે લગ્ન પછી તમારો પગાર માતા અને નાના ભાઇને આપશો કે સાસરિયાંમાં આપશો. તમારે ત્યારે જ આ બાબતની સ્પષ્ટતા કરી લેવાની જરૂર હતી. હજી પણ મોડું નથી થયું. તમે સગાઇ રાખવા કે તોડવા જેવા અંતિમ પરિણામ સુધી પહોંચવાને બદલે તમારા ભાવિ પતિને પરિસ્થિતિનો ખ્યાલ આપો કે તમારા પગાર થકી તમારાં માતા અને નાના ભાઇને મદદ થાય છે. એ સમજશે અને પગાર સાસરિયાંમાં આપવાનો ખોટો આગ્રહ નહીં કરે.
પ્રશ્ન: મારી દીકરીએ બારમા ધોરણની પરીક્ષા આપી છે. હવે એ પાસ થઇને કોલેજમાં આવશે એ વાતથી જ એટલી ઉત્સાહિત છે કે અત્યારથી એણે સ્ટાઇલિશ કપડાં, સેન્ડલ, હેન્ડબેગ વગેરે ખરીદવાનું શરૂ કરી દીધું છે. અમે એને આ બાબતે ટોકીએ તો એ કહે છે કે અમે જૂનવાણી વિચારનાં છીએ અને જમાના સાથે આગળ વધવું જોઇએ. એને આવા ખર્ચ કરતાં કઇ રીતે અટકાવવી? { એક મહિલા
ઉત્તર: તમારી દીકરીએ હજી તો બારમા ધોરણની પરીક્ષા જ આપી છે. એનું રીઝલ્ટ હજી આવ્યું નથી અને અત્યારથી એ આવા ખર્ચ કરે છે તે ખરેખર યોગ્ય નથી. વળી, જો તમે એને આ બાબતમાં ટોકો તો એ તમને જૂનવાણી માનસનાં અને જમાના સાથે તાલ મિલાવનારા નથી સમજતી એ થોડું વધારે પડતું ગણાય. તમારે એને અત્યારે એ સમજાવવાની જરૂર છે કે એ પરીક્ષામાં
પાસ થઇ જાય પછી એને જે જરૂરી
હશે તે તમે અપાવશો અને એની ઇચ્છા મુજબની વસ્તુઓ તમે લેવા દેશો, પરંતુ વધારે પડતો ઉત્સાહ દાખવી
આડેધડ ખર્ચ કરવા યોગ્ય નથી. એને જે લાગવું હોય તે લાગવા દો, પરંતુ આ રીતે એને ખર્ચ કરતાં તો અટકાવવી જ જોઇએ.
Read Original Article →