હૂંફ:ભારતીય સંસ્કૃતિમાં નિદ્રાને ભગવતી કહી અમથી નથી પૂજવામાં આવી!

Magazine4/21/2026, 12:35:00 AM
હૂંફ:ભારતીય સંસ્કૃતિમાં નિદ્રાને ભગવતી કહી અમથી નથી પૂજવામાં આવી!
ધર્માંશુ વૈદ્ય જ્યારે વહેલી સવારે પાંચ વાગ્યે પિતા જાગે અને જુએ કે પોતાનું સંતાન હજુ ઘસઘસાટ ઊંઘી રહ્યું છે, ત્યારે એ દૃશ્યમાં અનેરી પવિત્રતા અને શાંતિ હોય છે. આપણે સૌ એમ જ માનીએ છીએ કે ઊંઘ એટલે આખો દિવસ દોડધામ કર્યા પછી શરીરને મળતો આરામ. પરંતુ આ આંશિક સત્ય છે, કેમ કે ઊંઘ એ માત્ર આરામ નથી, પણ ઔષધ છે. જ્યારે બાળક નીંદર લે છે, ત્યારે તેના મગજમાં આખા દિવસના અનુભવો અને જ્ઞાનનું પ્રોસેસિંગ થાય છે. જો બાળક પૂરતી ઊંઘ ન લે, તો તે સ્કૂલમાં શીખેલું અને ભણેલું બધું જ બીજા દિવસે યાદ કરી શકતું નથી. પ્રયોગ કરવો હોય તો કરી જોજો. આ અદભૂત અને જટિલ પ્રક્રિયાને સમજવા માટે ડૉ. મેથ્યુ વોકરનો વિશ્વપ્રસિદ્ધ યુટ્યુબવિડીયો ‘Sleep is your superpower’ દરેક વાલીએ અચૂક જોવા જેવો છે. ડૉ. વોકર બહુ સરળ ભાષામાં સમજાવે છે કે જ્યારે બાળક ગાઢ નિદ્રામાં હોય, ત્યારે તેના મગજમાં માહિતી ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી લાંબા ગાળાની સ્મૃતિમાં ટ્રાન્સફર થાય છે, જાણે કે કોઈ કમ્પ્યુટરમાં નવી ફાઇલ બનાવીને ‘Save’ બટન દબાવવામાં આવ્યું હોય! ઊંઘ વગર મગજ નામનું ઝટ ઇનબોક્સ ભરાઈ જાય છે અને બાળકમાં નવું શીખવાની ક્ષમતા ઝીરો થઈ જાય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે થયેલું ઐતિહાસિક સંશોધન આ જ વાતની ચાડી ખાય છે. આ સંશોધન દરમિયાન જે વિદ્યાર્થીઓ પરીક્ષાની આગલી રાત્રે જાગીને વાંચે છે, તેમની યાદશક્તિમાં 40%નો સીધો ઘટાડો નોંધાય છે. ઊંઘની અછત સીધી મગજના હાઇપોકેમ્પ્સ પર પ્રહાર કરે છે, જે નવી વસ્તુઓ શીખવાનું મુખ્ય કેન્દ્ર છે. વધુમાં, આ અભ્યાસ દર્શાવે છે કે બાળકોમાં સ્લો-વેવ સ્લીપ એટલે કે ગાઢ ઊંઘ દરમિયાન જ મગજના ન્યુરોન્સ વચ્ચેનું જોડાણ મજબૂત બને છે, જેને વિજ્ઞાનની ભાષામાં ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નિદ્રાને ભગવતી કહી અમથી નથી પૂજવામાં આવી! આપણે ત્યાં રાત્રિ માત્ર અંધારું નથી, પણ પરમ શાંતિનો અને પુન:ર્નિર્માણનો ખોળો છે. આધુનિક મહત્ત્વાકાંક્ષાઓના દાનવે બાળકો પાસેથી આ ખોળો છીનવી લીધો છે. માર્ક્સ લાવવાની આંધળી દોટમાં આપણે બાળકોને યંત્ર બનાવી દીધા છે. એક મશીન કદાચ 24 કલાક ચાલી શકે, પણ જીવતો જાગતો માણસ નહીં. બાળકને સુવડાવતી વખતે માત્ર રૂમની લાઇટ બંધ ન કરો, પણ તેના મન પર લાદેલો સ્પર્ધાનો બોજ પણ ઉતારો. એના માથે ચુમ્મી ભરી વહાલસભર હાથ માથે ફેરવો. ખાસ તો બાળકને એ ફીલ કરાવો કે જીવનમાં કામ અને આરામ બંનેનું સંતુલન ખૂબ જ જરૂરી છે. માબાપ તરીકે યાદ રાખજો કે પ્રેમથી ભરેલી અને ભયમુક્ત નીંદર જ આવતીકાલના બુદ્ધિમાન અને સ્વસ્થ નાગરિકનું માનસિક ભાથું છે. પીપરમિન્ટ રાત્રે વહેલા જે સુવે, વહેલા ઊઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર.
Read Original Article →