વાત આરોગ્યની...:ગ્રીન ટી: સ્વાસ્થ્યનું અમૃત કે આડઅસર?
ગ્રીન ટી પીવી અનેક રીતે લાભદાયી છે. તેને વિશ્વના સૌથી આરોગ્યપ્રદ પીણાંમાંનું એક માનવામાં આવે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ (ખાસ કરીને કેટેચિન)થી ભરપૂર હોવાને કારણે, તે ચયાપચય (metabolism) સુધારવા, હૃદયના સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ છે. મોટા ભાગના લોકો વજન ઘટાડવા, શરીરને ડિટોક્સ કરવા માટે તેનું સેવન કરે છે. આ તમામ ફાયદાઓને લીધે, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકોના આહારમાં ગ્રીન ટી મહત્ત્વનો ભાગ બની ગઈ છે.
પરંતુ, ગ્રીન ટી દરેક વ્યક્તિ માટે અનુકૂળ નથી હોતી. અન્ય કુદરતી પદાર્થોની જેમ, તેમાં પણ એવાં સક્રિય તત્ત્વો હોય છે, જે વ્યક્તિની તબિયત, દવાઓનો વપરાશ અને સહનશક્તિના આધારે શરીર પર અલગ-અલગ અસર કરી શકે છે. તેમાં રહેલું કેફીન, ટેનિન્સ અને અન્ય બાયોએક્ટિવ તત્ત્વો ક્યારેક આડઅસર કરી શકે છે અથવા કેટલીક તબીબી પરિસ્થિતિઓમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ગ્રીન ટી તમારા માટે યોગ્ય વિકલ્પ છે કે નહીં, તે સમજવું જરૂરી છે. જોકે તેના ફાયદા ઘણા છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન મર્યાદિત કરવું જોઈએ અથવા બંધ કરવું જોઈએ:
કેફીન પ્રત્યે સંવેદનશીલ લોકો: ગ્રીન ટીમાં કોફી કરતાં ઓછું કેફીન હોય છે, પરંતુ તે સંવેદનશીલ વ્યક્તિઓમાં બેચેની, ગભરામણ, હૃદયના ધબકારા વધવા અથવા ઊંઘમાં તકલીફ પેદા કરી શકે છે. જે લોકો પહેલેથી જ અનિદ્રા કે ચિંતાથી પીડાતા હોય, તેમની સમસ્યા વધી શકે છે.
આયર્નની ઊણપ ધરાવતા લોકો: ગ્રીન ટીમાં રહેલા ટેનિન્સ વનસ્પતિજન્ય ખોરાકમાંથી આયર્ન શોષવાની ક્ષમતાને ઘટાડે છે. જેમનામાં પહેલેથી જ આયર્નની ઊણપ હોય અથવા એનિમિયાનું જોખમ હોય, તેમના માટે આ ચિંતાનો વિષય છે. જમ્યા પછી તરત જ ગ્રીન ટી પીવાથી પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ આવે છે.
સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ: સગર્ભા સ્ત્રીઓ માટે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ગ્રીન ટીમાં રહેલું કેફીન પ્લેસેન્ટા દ્વારા ગર્ભ સુધી પહોંચી શકે છે, જે ગર્ભના વિકાસને અસર કરી શકે છે. વધુ પડતા સેવનથી શિશુના વજનમાં ઘટાડો અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે
પાચનની સમસ્યા ધરાવતા લોકો: ખાલી પેટે ગ્રીન ટી પીવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. ટેનિન્સ પેટમાં એસિડનું ઉત્પાદન વધારે છે, જેનાથી ઊબકા કે બેચેની થઈ શકે છે. એસિડ રિફ્લક્સ અથવા ગેસ્ટ્રાઇટિસ ધરાવતા લોકો માટે તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
Read Original Article →