મૂડ માઇન્ડ:સાથે રહીને પણ એકલતા કેમ લાગે?
ડો. સ્પંદન ઠાકર રાત્રે લગભગ અગિયાર વાગ્યા હતા. ઘરમાં શાંતિ હતી. કાવ્યા અને તેના પતિ બંને બેડ પર હતા. પતિ મોબાઈલમાં સમાચાર વાંચી રહ્યા હતા અને કાવ્યા બાજુમાં શાંતિથી છત તરફ જોઈ રહી હતી. બંને વચ્ચે બધું સામાન્ય હતું. કોઈ ઝઘડો નહોતો, કોઈ ઉંચા અવાજ નહોતા. છતાં કાવ્યાને અંદરથી એક અજાણી ખાલીપણાની લાગણી થતી હતી. થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું, ‘આજે ઓફિસમાં થોડી મુશ્કેલી આવી હતી…’ પતિએ માથું હલાવ્યું, ‘હમ… સારું થઈ જશે.’ કહીને ફરી મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા.
કાવ્યા ચુપ થઈ ગઈ. વાત કરવાની ઇચ્છા હતી, પરંતુ શબ્દો ક્યાંક અટકી ગયા. ઘરમાં લોકો હતા, સંબંધ હતો, છતાં મનમાં એકલતા ઘેરાઈ ગઈ. ઘણી મહિલાઓ આ પ્રકારની લાગણી અનુભવતી હોય છે. સાથે રહીને પણ એકલતા અનુભવવી. મનોવિજ્ઞાનમાં આને ‘ઇમોશનલ લોનલીનેસ’ કહેવામાં આવે છે. એટલે કે સંબંધ તો છે, પરંતુ લાગણી, સમજણ અને સંવાદની નિકટતા ક્યાંક ખૂટે છે. ઘણા દંપતી રોજિંદા જીવનની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે લાગણીઓ શેર કરવાની જગ્યા ધીમે ધીમે ઘટવા લાગે છે. ઘર, કામ, બાળકો, આર્થિક ચિંતા, આ બધામાં સંબંધનો ભાવનાત્મક ભાગ પાછળ રહી જાય છે.
ખાસ કરીને મહિલાઓ માટે સંબંધમાં ઈમોશનલ કનેક્શન ખૂબ મહત્ત્વનું હોય છે. તેમને સાંભળવામાં આવે, સમજવામાં આવે અને લાગણીઓ વહેંચવાની જગ્યા મળે, એ તેમની આંતરિક જરૂરિયાત હોય છે.
જ્યારે આ જરૂરિયાત પૂરી થતી નથી, ત્યારે સ્ત્રીને લાગે છે કે ‘કોઈ મને સાચે સમજતું જ નથી.’ ધીમે ધીમે મનમાં અંતર વધી શકે છે, અને સંબંધ હોવા છતાં એકલતા અનુભવાય છે. પરંતુ આ સમસ્યાનો અર્થ એ નથી કે સંબંધ તૂટેલો છે. ઘણી વખત માત્ર સંવાદની ખામી હોય છે. જ્યારે દંપતીઓ લાગણીઓ વિશે વાત કરવાનું શરૂ કરે છે, ત્યારે ઠંડાં થઈ ગયેલા સંબંધમાં ફરી ગરમાવો આવી શકે છે.
ક્યારેક નાના પ્રયત્નો, જેમ કે દિવસમાં થોડો સમય સાથે વાત કરવી, એકબીજાને ધ્યાનથી સાંભળવું અથવા લાગણીઓ વ્યક્ત કરવી, સંબંધમાં સ્પાર્ક પાછો લાવી શકે છે. ક્યારેક દિવસ દરમિયાન થોડા ટેક્સ્ટ મેસેજ પણ કરવામાં આવે તો તે પણ ખૂબ જ મહત્ત્વનું કામ કરી શકે છે. મતલબ કે કોઈપણ માધ્યમ જે કમ્યુનિકેશન રાખવામાં મદદ કરે તે ખૂબ જરૂરી છે.
જો સંબંધમાં લાંબા સમય સુધી ભાવનાત્મક અંતર રહે અને સમજણ વધારવામાં મુશ્કેલી આવે, તો કપલ કાઉન્સલિંગ અથવા સાયકોથેરપી ખૂબ મદદરૂપ બની શકે છે. તે બંને વ્યક્તિઓને એકબીજાની લાગણીઓ સમજવામાં અને સંવાદ સુધારવામાં મદદ કરે છે.
કાઉન્સેલિંગનો મતલબ એ નથી કે તમે કોઈ રોગથી પીડાઈ રહ્યા છો. કાઉન્સેલિંગ કોઈ રોગ ના થાય તે માટે પણ મદદ કરી શકે છે. તે રાત્રે કાવ્યાએ મનમાં વિચાર્યું, ‘કદાચ મને મારા મનની વાત સાચી રીતે કહેવાની જરૂર છે.’
ક્યારેક સંબંધમાં નિકટતા પાછી લાવવાની શરૂઆત એક બેધડક વાતચીતથી જ થાય છે.
મૂડ મંત્ર સંબંધ માત્ર સાથે રહેવાનો નથી, એકબીજાને મનથી સમજવાનો પણ છે.
Read Original Article →