પાંચમો વેદ:સ્કીન ઉનાળામાં પણ ખૂબ જ ડ્રાય થાય છે, આયુર્વેદિક ઉપાય બતાવશો

Magazine5/5/2026, 12:35:00 AM
પાંચમો વેદ:સ્કીન ઉનાળામાં પણ ખૂબ જ ડ્રાય થાય છે, આયુર્વેદિક ઉપાય બતાવશો
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મારી ઉંમર 32 વર્ષ છે. મને જમ્યા પછી ગેસ અને પેટ ફૂલવાનું થાય છે. આ લાંબા સમયથી ચાલે છે. આયુર્વેદિક રીતે શું કરવું? - રાજેશ્વરી પટેલ, સિલ્વાસા ઉત્તર: આયુર્વેદના મતે ખાધા પછી ગેસ થવો અને પેટ ફૂલવું, મંદ જઠરાગ્નિના કારણે થાય છે, જેને ‘આધ્માન’ કહેવાય છે. અનિયમિત ખોરાક, ઉતાવળે જમવું, વધુ ચા-કોફી, તળેલું અને ઠંડું ખાવાથી આ સમસ્યા વધે છે. રાત્રે હળવું અને વહેલું જમવું તથા થોડી વોક કરવી. ભોજન પહેલાં લીંબુ-આદુ સાથે સિંધવ લેવાથી પાચન સુધરે છે. જમ્યા પછી અજમો + જીરું + સિંધવ મીઠું ચાવી લો. દિવસમાં 1-2 વાર જીરું-ધાણાનું પાણી પીવું. કેટલાક લોકો હિંગવષ્ટક ચૂર્ણ અથવા લવણભાસ્કર ચૂર્ણ જાતે લે છે, પરંતુ આ દવાઓથી બ્લડપ્રેશરના દર્દીઓને સાઈડ ઈફેક્ટ કે કોમ્પ્લિકેશન થઇ શકે તેમ છે, માટે સાવચેતી રાખવી જરૂરી છે. પ્રશ્ન: મને રાત્રે ઊંઘ સારી રીતે આવતી નથી અને વારંવાર ઊઠી જાઉં છું. દિવસભર થાક લાગે છે. મારી ઉંમર 53 વર્ષ છે. આના માટે આયુર્વેદમાં શું ઉપાય છે? - રોહિણી થોમ્બ્રે, મુંબઈ ઉત્તર: માનસિક તાણ અને અન્ય કારણસર રાત્રે ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે. જેના લીધે દિવસભર થાક રહેતો હોઈ શકે. આયુર્વેદ આને વાતપ્રકોપ ગણે છે. 53 વર્ષની ઉંમરે, ઉંમર વધવાની સાથે સ્વાભાવિક રીતે વાતપ્રકોપ થાય છે, તેથી ઊંઘ ઓછી કે ડિસ્ટર્બ થતી જાય છે. રાત્રે સુતા પહેલાં પગના તળિયા અને માથા પર બ્રાહ્મી તેલથી હળવી મસાજ કરો. ગરમ દૂધમાં જાયફળ લઈ શકો. મોબાઇલ-ટીવી સૂતા પહેલાં ટાળો અને નિયમિત સમય પર સુવાનો પ્રયત્ન કરો. દિવસ દરમિયાન થોડી વોક અને સાંજે ધ્યાન-પ્રાણાયામ કરવું. શિરોધારા અનિદ્રા અને માનસિક તાણ માટે અકસીર સારવાર છે. સૌથી પહેલાં તો ઊંઘ ડિસ્ટર્બ થવાનું ચોક્કસ કારણ જાણવું જરૂરી છે. એક વાર ચોક્કસ કારણની ખબર પડે તો તમને યોગ્ય સલાહ-સુચન આપી શકાય પ્રશ્ન: મને છેલ્લા 10 વર્ષથી પીગમેન્ટેશનની ફરિયાદ છે. ઓલ્મોસ્ટ બધી ટ્રીટમેન્ટ કરાવી ચુકી છું. પણ રિઝલ્ટ મળતું નથી. મારી ઉંમર 45 વર્ષ છે. આનું સોલ્યુશન બતાવશો. - પૂનમ ઉપાધ્યાય ઉત્તર: લાંબા સમયથી પિગમેન્ટેશન રહેવું આયુર્વેદ મુજબ પિત્ત પ્રકોપ અને રક્તદુષ્ટિ સાથે જોડાયેલું છે. સાથે હોર્મોનલ અને સ્ટ્રેસ ફેક્ટર પણ જવાબદાર હોઈ શકે. માત્ર બહારથી ક્રીમ લગાવવાથી પૂરતો ફાયદો નથી મળતો. રક્તશોધન અને પિત્તશમન કરવું જરૂરી છે. ખોરાકમાં ખાટું, તીખું, તળેલું, મેંદો અને આથાવાળી વસ્તુઓ ટાળો. આકરા સૂર્યપ્રકાશથી બચવું. સવારે ધાણાનું પાણી અથવા આમળાનો રસ લેવો. ચંદન અને ગુલાબજળનો લેપ લગાવવો. મંજિષ્ઠા, સારિવા, નિમ્બ, ખદિર જેવી ઔષધો ઉપયોગી છે, પરંતુ વૈદ્યની સલાહથી લેવાં. લાંબા ફાયદા માટે પંચકર્મ-વિરેચન સારવાર પણ ઉપયોગી છે. પ્રશ્ન: મને જુલાઈ 2026માં 77 વર્ષ પૂર્ણ થશે. મારી હાઇટ 5’10" છે. મારું વજન 90 કિ.ગ્રા.થી વધુ છે. મને છેલ્લા 60 વર્ષથી અસ્થમા છે. હેવી ડોઝ સ્ટિરોઈડનાં ઇન્જેક્શન પણ લીધાં હતા. હાલમાં એલોપથી દવાના પંપ દિવસમાં બે વાર લઉ છું. શું મારે વજન ઘટાડવાની જરૂર છે? યોગ્ય માર્ગદર્શન આપશો. - મહેશભાઈ શાહ, વડોદરા ઉત્તર: તમારી ઊંચાઈ પ્રમાણે 90 કિ.ગ્રા. વજન થોડું વધારે ગણાય. અસ્થમામાં વજન ઘટાડવું ખૂબ ઉપયોગી બની શકે. વજન વધારે હોય તો ઇન્હેલર (પંપ)ની પણ વધારે જરૂર પડી શકે. તમારે સવાર-સાંજ હળવી વોક (20–30 મિનિટ), નવશેકું પાણી, અને હળવો-સાદો ખોરાક લેવો. સુંઠ, તુલસી-આદુ નાખેલી ચા પી શકાય. બજારમાં મળતા આયુર્વેદિક ઇન્હેલર પણ તમારા માટે લાભદાયી બને. તમારી ઉંમર અને લાંબા સમયની રોગની હિસ્ટ્રી ધ્યાનમાં રાખીને સ્લો એન્ડ સ્ટેડી વજન ઘટાડવું વધુ સુરક્ષિત રહેશે. પ્રશ્ન: મારી ઉમર 42 વર્ષ છે. ઘણા સમયથી મારી સ્કીન ઉનાળામાં પણ ખૂબ જ ડ્રાય થાય છે. મેં ઘણા ઉપચાર કરી જોયા પણ ફાયદો ન થયો. કોઈ આયુર્વેદિક ઉપાય બતાવા વિનંતી. - શીતલ પટેલ ઉત્તર: ઉનાળામાં ડ્રાય સ્કીન વાત અને પિત્તનો પ્રકોપ અને શરીરની અંદરની સ્નિગ્ધતાની ઉણપ બતાવે છે. માત્ર બહારથી ક્રીમ લગાવવાથી પૂરતો ફાયદો ન મળે. તમારે રોજ 1-2 ચમચી ગાયનું ઘી લેવું, રોજ સવારે નાળિયેર તેલથી મસાજ કર્યા પછી, સ્નાન કરીને સ્કીન પર એલોવેરા જેલ અથવા ચંદન-ગુલાબજળ લગાવવું. અઠવાડિયામાં 2-3 વાર દૂધ + હળદર અથવા મલાઈનો પેક બનાવીને લગાવી શકાય. જો સમસ્યા લાંબા સમયથી હોય તો, વૈદ્યની સલાહ લઈને આમળાં, ગિલોય જેવા ઔષધો અને વિરેચન સારવાર (પંચકર્મ) યોગ્ય રહેશે. પ્રશ્ન: થોડા સમયથી અસામાન્ય રીતે વધુ થાક લાગે છે. થોડું ચાલુ તો પણ તરત થાકી જાઉં છું. શું કરવું?- વસીમ ફારુકી ઉત્તર: થોડું ચાલવાથી પણ વધારે થાક લાગવાના અનેક કારણો હોઈ શકે. તમે ઉંમર, વજન, તમને બીજા કોઈ રોગો છે કે કેમ? કે અન્ય કોઈ દવાઓ ચાલુ છે કે કેમ તે જણાવ્યું નથી. ક્યારેક હિમોગ્લોબિન ઓછું હોવું, બ્લડ પ્રેશર કે સુગર જેવી બાબતો પણ થાકનું કારણ બની શકે. એકવાર બેઝિક ચેકઅપ કરાવવું જોઈએ. રોજ હળવી વોક, પૂરતી ઊંઘ અને નિયમિત લાઇફ્સ્ટાઇલ તમારા માટે ખૂબ જરૂરી છે. આમળા, અશ્વગંધા, શતાવરી, ચ્યવનપ્રાશ જેવા ઉત્તમ ટોનિક વૈદ્યની સલાહ પછી જ લેશો.
Read Original Article →