પાંચમો વેદ:આંખ પાસે બ્રાઉન સ્પોટ્સ અને મોંની આસપાસ કાળાશ આવી ગઈ છે, ઉપાયમાં મારે શું કરવું જોઈએ?

Magazine4/21/2026, 12:35:00 AM
પાંચમો વેદ:આંખ પાસે બ્રાઉન સ્પોટ્સ અને મોંની આસપાસ કાળાશ આવી ગઈ છે, ઉપાયમાં મારે શું કરવું જોઈએ?
વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મને 10 વરસથી શીળસ નીકળે છે, બધા રિપોર્ટ કરાવ્યા, કોઈ એલર્જી નથી છત્તાં શીળસ નીકળે છે, કોઈ ખાસ ચીજ ખાવાથી થાય તેવું નથી, અઠવાડિયે 2 એલર્જીની દવા પીઉં છું, કોઈ ખાસ દવા કહો.{ ગૌતમ ભોજાણી ઉત્તર: સામાન્ય રીતે ‘શીળસ/ઉર્ટિકેરિયા’ને આયુર્વેદમાં શીતપિત્ત / ઉદર્દ / કોઠ તરીકે ઓળખાય છે. તમને જે 10 વર્ષથી શીળસ (urticaria) થાય છે અને એલર્જી ટેસ્ટ નોર્મલ છે, તેવા કેસમાં આયુર્વેદ મુજબ મુખ્ય કારણ ‘આમ’ અને ‘રક્ત-પિત્ત દોષ’ હોય છે. એટલે બહારની એલર્જી કરતાં શરીરના અંદરના કારણો વધુ જવાબદાર હોય છે. માત્ર એન્ટી-એલર્જિક દવાથી તાત્કાલિક રાહત મળે છે, પણ મૂળ સમસ્યા દૂર થતી નથી. ઉપચારમાં પાચન સુધારવું, આમદોષ ઘટાડવો અને રક્તશુદ્ધિ કરવી જરૂરી છે. ચામડીને લગતા મોટા ભાગના રોગોમાં વૈદ્ય ખાટું, તીખું, તળેલું, મેંદો અને આથાવાળું ખાવાની મનાઈ કરે છે. ઘરે બનાવેલ હળવો, સાદો ખોરાક લેવો. બજારુ મીઠાઈઓ, ફરસાણ ના લેવા. આયુર્વેદમાં શીળસ માટે મંજિષ્ઠા, ગિલોય, નિમ્બ જેવા ઔષધો વપરાય છે. તમે દિવસમાં 1-2 વાર ધાણાનું પાણી અથવા જીરુંનું પાણી બનાવીને પીવાનું રાખશો. દરરોજ રાત્રે 1 ચમચી આમળા પાઉડર લઇ શકાય. જો વધારે ખંજવાળ ઉપડે ત્યારે તાત્કાલિક રાહત માટે 1 ચમચો ગૂલકંદ, 1 કપ ઠંડા દૂધમાં મિક્સ કરીને લેવાય. ચંદનનો લેપ કરવાથી રાહત થઇ જશે. લાંબા સમયથી ચાલતી સમસ્યામાં વિરેચન જેવી પંચકર્મ થેરાપી ઉત્તમ પરિણામ આપે છે. સાથે સ્ટ્રેસ કંટ્રોલ પણ મહત્ત્વપૂર્ણ છે. યોગ્ય રીતે સારવાર લેવાથી ધીમે ધીમે શીળસનું પુનરાવર્તન ઘટાડી શકાય છે. પ્રશ્ન: મને થાક વધારે લાગે છે અને પેટ ઉતારવું છે પણ ઉતરતું નથી, તો પ્લીઝ ઉપાય બતાવજો.{ યશવંત ચંદેલ ઉત્તર: યશવંતભાઈ, તમને વધુ થાક લાગવો અને પેટ ઓછું ન થવું — આ બંને સમસ્યાઓ સામાન્ય રીતે અગ્નિ નબળું હોવું, આમ (ટૉક્સિન) જમવું અને મેટાબોલિઝમ ધીમું પડવું દર્શાવે છે. એટલે માત્ર ડાયેટિંગ કરતાં શરીરની અંદરની પાચન શક્તિ સુધારવી જરૂરી છે. રોજ સવારે નવશેકા પાણીમાં લીંબુ અને થોડું મધ લઈ શકો. ખોરાકમાં તળેલું, મીઠાઈ, મેદો, અને વારંવાર ખાવાનું ટાળો. રાત્રે હળવું જમવું અને વહેલું સુઈ જવું ખૂબ જરૂરી છે. ઘરગથ્થું રીતે જીરુ-અજમો-સુંઠ પાણી અથવા ધાણા પાણી ઉપયોગી છે. રોજ 30–40 મિનિટ મધ્યમ સ્પીડમાં ચાલવું અથવા યોગ કરો. લાઈફસ્ટાઈલ અને કસરતોમાં નિયમિતતા રાખશો તો ધીમે ધીમે થાક ઓછો થશે અને પેટ પણ ઉતરવા લાગશે. તમે તમારી ઉંમર, પ્રકૃતિ વિશે કશું જણાવ્યું નથી એટલે તમને કોઈ ઔષધ સજેસ્ટ કરી શકાય તેમ નથી. છતાં પણ તમે નિયમિતરૂપે ત્રિફળા લેશો તો ફાયદો અવશ્ય થશે. પ્રશ્ન: મારી ઉમર 34 વર્ષ છે. મને ચહેરા ઉપર મુખ્ય રીતે આંખ પાસે બ્રાઉન સ્પોટ્સ ( pigmentation, dark spots) છે. મોંની આસપાસ પણ કાળાશ છે. આ જટિલ સમસ્યા માટે શું કરવું જોઈએ? આભાર.{ પ્રતિક્ષાબેન ઉત્તર: પ્રતિક્ષાબેન, 34 વર્ષની ઉંમરે ચહેરા પર ખાસ કરીને આંખોની આસપાસ બ્રાઉન સ્પોટ્સ (પિગમેન્ટેશન) અને મોઢાની આસપાસ કાળાશ દેખાવું આજે બહુ કોમન થઇ ગયું છે. આયુર્વેદ મુજબ આ સમસ્યા માત્ર બહારની નથી, આનું મુખ્ય કારણ શરીરમાં વધેલી ગરમી (પિત્ત) અને લોહીની અશુદ્ધિ છે. જ્યારે શરીરમાં ગરમી વધી જાય, પાચન બગડે કે ખાવા-પીવામાં બેદરકારી થાય ત્યારે તેનો પ્રભાવ ચહેરા પર દેખાય છે. વધારે તડકો લાગવો, તીખું-ખાટું અને તળેલું વધારે ખાવું, વધુ પડતો ચિંતાવાળો સ્વભાવ , ગુસ્સો, ટેન્શન અને અપૂરતી ઊંઘથી પણ આ સમસ્યા વધે છે. સૌથી પહેલા ખાવા-પીવામાં સુધારો કરવો પડશે. તીખું, ખાટું અને બહારનું ખાવું ઓછું કરવું. દહીં – છાશ, ટામેટાં, અથાણાં, ખાટા ફળો, મેંદો, આથાવાળી વસ્તુઓ પર કંટ્રોલ કરવો. શરીરની ગરમી ઘટાડવા માટે ધાણાનું પાણી, જીરૂનું પાણી કે નાળિયેર પાણી પીવું. થોડું થોડું દૂધ- તાજું સફેદ માખણ અને ગાયનું ઘી પણ લઈ શકાય. ફેસ પર ચંદન અને ગુલાબજળ લગાવવું કે એલોવેરા જેલ લગાવવું ઉપયોગી છે. તડકામાં જતાં ચહેરો ઢાંકી રાખવો. રોજ પૂરતી ઊંઘ લેવી અને પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. જાતજાતના ફેસ ક્રીમ લગાવવાથી આ સમસ્યા પૂરી રીતે નથી જતી. શરીરની બધી સિસ્ટમ અંદરથી સુધારે તે પણ જરૂરી છે. જો ડાઘ અને કાળાશ જૂની થઈ ગઈ હોય તો બાહ્ય ઉપાયોમાં ફેસપેક, ફેસ મસાજની સલાહ આપી શકાય. લીમડો, મજીઠ, સારિવા, ખદીર, લોધ્ર જેવા ઘણા ઔષધો વપરાય છે. બહુ જુના રોગમાં શરીરને અંદરથી શુદ્ધ કરવા માટે પંચકર્મ સારવારની અંદર વિરેચન સારવારની સલાહ અપાતી હોય છે. પરંતુ કોઈ પણ સારવાર ક્વોલિફાઈડ વૈદ્યની સલાહ લઈને જ કરાવવી.
Read Original Article →