પ્રસંગકથા:મેધાવી મેઘાણી

Magazine4/29/2026, 12:50:00 AM
પ્રસંગકથા:મેધાવી મેઘાણી
નટવર આહલપરા ઝવેરચંદ મેઘાણી કહેતા, ‘રાષ્ટ્ર હશે તો આપણે હશું. ‘વિદાય’ કાવ્ય જ્યારે મેં લખ્યું હતું ત્યારે હું પણ ગદગદિત થઈ ગયો હતો.’ ‘અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે.’ દેશને આઝાદ કરવા માટે ઘરેથી વિદાય લઈ રહેલા સ્વાતંત્ર્યવીરની અને દેશ ખાતર ફના થઈ જનાર વ્યક્તિની મહેચ્છાઓ મેં વીરને શોભે તેવી બાનીમાં વ્યક્ત કરી છે. ઘરબાર, સ્વજનો, અંગત સુખ- બધાંને હોડમાં મૂકી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારની અંતિમ ઈચ્છા તો માત્ર એટલી જ હતી કે, ‘જો સ્વાધીનતા મળે તો માત્ર અમને એક પળ માટે સ્મરી લેજો!’ આમ, સમગ્ર કૃતિમાં સ્વાધીનતા માટે ઝઝૂમીને વિદાય લેતા વીરનું આત્મકથન મેં સાંભળ્યું છે. ઝવેરચંદ મેઘાણીને તેમના વ્હાલા વાચકોએ પૂછેલું કે ‘આપ આમ રખડ્યાં જ કરો છો તો થાકતા નથી?’ ત્યારે મેઘાણીએ ઉત્તર આપ્યો, ‘ના, મને જરાય થાક લાગતો નથી. મને તો લોકસાહિત્યથી કેટલુંય જાણવા-માણવા મળે છે. તળપદા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો, બોલીના લહેકા અને લઢણ- કેટકેટલુંય શીખવા મળતું રહે છે અને લોકસાહિત્યની અસ્મિતા જળવાય છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ અને બળ, ત્યાંનો શૂરવીર અને ખમીરવંતો ઇતિહાસ આ સાહિત્યમાં અસરકારક રીતે ઝિલાયાં છે. ગામડે-ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કરવાના આનંદની તો શું વાત કરવી?’ ‘ખેતરો ખૂંદવાની, નદી-નાળામાં ફરવાની, ડુંગરની તળેટી અને ટોચ પર રખડવાની મજા કુદરતના ખોળે જેવી મળે છે, તેવી બીજે ક્યાંય મળે?’ ‘છેલ્લો કટોરો’ પ્રાસંગિક ગીતકાવ્યની પંક્તિઓ આજે પણ આપણને જાગૃત કરે છે: ‘છેલ્લો કટોરો ઝેરનો આ: પીજો બાપુ! સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ! આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ! કાપે ભલે ગર્દન: રિપુ-મન માપવું, બાપુ!’ 1931માં અંગ્રેજ સરકાર સાથે ભારતની આઝાદી અંગે વાટાઘાટ કરવા યોજાયેલી ‘ગોળમેજી પરિષદ’ (રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ)માં ભાગ લેવા ગાંધીજી જ્યારે બ્રિટન જતા હતા ત્યારે આ કાવ્ય રચાયેલું. આ પહેલાંની વાટાઘાટો નિષ્ફળ ગયેલી હોવાથી ગાંધીજી આ બેઠકની બાબતમાં પણ ભારે મનોમંથન અનુભવતા હતા. બાપુની એ માનસિક પરિસ્થિતિને અનુલક્ષીને જ આ કાવ્ય લખાયું હતું. ‘કસુંબીનો રંગ’ ગીતમાં મેં પ્રેમ-શૌર્યનો કસુંબલ રંગ દાખવ્યો છે. આ રંગ વારસારૂપે માતાના ધાવણમાંથી પ્રાપ્ત થયો છે. મોટી બહેને હાલરડાં સંભળાવતી વખતે એમાં એના રંગ પૂર્યાં છે. પહાડોમાં ભટકતાં-ભટકતાં એ ખડકાળ પ્રદેશમાં પડતા પ્રકૃતિના પડઘાઓથી મન કસાયું છે. વીરોએ આપેલાં બલિદાનોએ સતત પાનો ચઢાવ્યો છે. સ્વાધીનતા માટે ચાલેલા સંગ્રામ સમયે મેં ગાયેલું અને લખેલું આ ગીત: ‘લાગ્યો કસુંબીનો રંગ, રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા, પીધો કસુંબીનો રંગ.’ આપણી સંસ્કૃતિ, લોકસાહિત્ય, લોકગીત, લોકવાર્તા અને દુહા-છંદના રખેવાળ એવા ચિંતક ‘મેધાવી મેઘાણી’ આજે પણ આપણાં હૃદયમાં ધબકી રહ્યા છે.
Read Original Article →