વસુંધરાના વહાલાં દવલાં:વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!

Magazine4/29/2026, 12:50:00 AM
વસુંધરાના વહાલાં દવલાં:વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
‘સાયન્સ’ જર્નલમાં પ્રકાશિત ‘વાઇલ્ડલાઇફ ટ્રેડ ડ્રાઇવસ એનિમલ ટૂ હ્યુમન પેથોજન ટ્રાન્સમિશન’ નામના અભ્યાસ મુજબ, વન્યજીવોનો વધતો જતો વેપાર વિશ્વભરમાં રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ બની રહ્યો છે. આ સંશોધન દર્શાવે છે કે, વન્યજીવોના વેપારને કારણે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં જીવલેણ પેથોજેન્સ એટલે કે, રોગકારક વિષાણુઓ પહોંચવાનું જોખમ અંદાજે 50 ટકા જેટલું વધી ગયું છે. આપણે એમના વેપાર પર લગામ નહીં લગાવીએ, તો આગામી મહામારીને રોકવી અશક્ય બની જશે. જોખમનું ગણિત અને વાસ્તવિકતા અભ્યાસ મુજબ જે પ્રાણીઓનો વેપાર કરવામાં આવે છે, તેમાંથી 41 ટકા પ્રજાતિઓ મનુષ્યો સાથે ઓછામાં ઓછો એક સમાન રોગકારક વિષાણુ ધરાવે છે. તેની સરખામણીમાં, જે પ્રાણીઓનો વેપાર થતો નથી, તેવી પ્રજાતિમાં આ જોખમ માત્ર 6.4 ટકા જેટલું જ છે. એટલે કે, વન્યજીવોના સંપર્ક અને વેપારથી વાઈરસ, બેક્ટેરિયા કે ફૂગનું મનુષ્યોમાં સંક્રમણ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ગેરકાયદેસર વેપાર અને જીવંત બજારો: મોતના અડ્ડા વન્યજીવોના ગેરકાયદેસર વેપાર અને ખાસ કરીને લાઇવ એનિમલ માર્કેટ- જ્યાં જીવંત પ્રાણીઓ વેચાય છે તે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યાં છે. જ્યારે પ્રાણીઓને જીવતાં રાખવામાં આવે છે અથવા ગેરકાયદેસર રીતે એક દેશથી બીજા દેશમાં લાવવામાં આવે છે, ત્યારે વિવિધ પ્રજાતિઓ વચ્ચેનો સંપર્ક વધે છે. અભ્યાસ મુજબ, ગેરકાયદેસર વેપારમાં રહેલી પ્રજાતિઓ કાયદેસર વેપારની તુલનામાં 1.4 ગણા વધુ રોગકારક વિષાણુઓ મનુષ્યોમાં ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. ‘પેટ’ શરીર માટે હાનિકારક છે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ ફેનેક ફોક્સ, ઓટર (જળબિલાડી), આફ્રિકન પિગ્મી હેજહોગ અને લેપર્ડ કેટ જેવાં વિદેશી પ્રાણીઓને પાળવાનો ક્રેઝ હાલ વધ્યો છે. આ પ્રાણીઓ ભલે જોવામાં આકર્ષક લાગે, પણ તેઓ પોતાની સાથે અજાણ્યા વાઈરસ લઈને આવે છે, જે માનવ શરીર માટે અજાણ્યા અને જીવલેણ હોઈ શકે છે. દાયકાઓ સાથે રહ્યાં, તો પેથોજેનનો ખતરો સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, કોઈપણ પ્રજાતિ જેટલા લાંબા સમય સુધી બજાર કે વેપારમાં રહે છે, તેટલું જ તેનું ઝૂનોટિક (પ્રાણીજન્ય રોગ) જોખમ વધતું જાય છે. આંકડા મુજબ, જો કોઈ વન્યજીવ પ્રજાતિ વૈશ્વિક વેપારમાં સતત 10 વર્ષ સુધી રહે, તો તે મનુષ્ય સાથે સરેરાશ એક નવો પેથોજેન શેર કરવાનું શરૂ કરે છે. છેલ્લાં 40 વર્ષના વન્યજીવ સંરક્ષણ સંધિના ડેટાનું વિશ્લેષણ કરતા આ વાત સ્પષ્ટ થઈ છે. ભૂતકાળની ચેતવણીઓ સંશોધનમાં ઉલ્લેખ મુજબ, ઇતિહાસ સાક્ષી છે કે HIV, ઇબોલા, એમપોક્સ (મંકીપોક્સ) અને તાજેતરની કોવિડ મહામારી- આ તમામનો ક્યાંક ને ક્યાંક સંબંધ વન્યજીવોના વેપાર અને તેમના માંસના વપરાશ સાથે જોડાયેલો છે. બાયો-સર્વેલન્સ જ ઉકેલ વન્યજીવોનો વેપાર માત્ર પર્યાવરણ કે જૈવવિવિધતા માટે જ નુકસાનકારક નથી, પરંતુ તે સીધો માનવ સ્વાસ્થ્ય પર પ્રહાર છે. સંશોધકો સલાહ આપે છે કે, વન્યજીવ વેપારના નિયમોમાં ઝૂનોટિક જોખમને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા જોઈએ. વૈશ્વિક સ્તરે બાયો-સર્વેલન્સ મજબૂત બનાવવું જોઈએ જેથી નવા વાઈરસનો ઉદભવ વહેલાં જાણી શકાય અને ગેરકાયદેસર શિકાર તથા વેપાર પર કડક પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે.
Read Original Article →