રિફ્લેક્શન:યુદ્ધ એ માનવજીવનની સૌથી મોટી કરુણતા છે

Magazine4/15/2026, 12:35:00 AM
રિફ્લેક્શન:યુદ્ધ એ માનવજીવનની સૌથી મોટી કરુણતા છે
નમ્રતા દેસાઈ અ ત્યારે દુનિયા માટે કપરો સમય આવવાની એંધાણી છે. ટ્રમ્પ અંકલ રોજે રોજ વિવાદસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. એને લઈને ઈરાન, ઈઝરાયેલ, યુ એસ અને બીજી તરફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ભ્રુજંગની માફક ફેણ ઊંચી કરીને દુનિયાને ડરાવી રહ્યા છે. આપણને સર્વનાશમાં જ રસ છે. આધુનિક ટેક્નોલોજીને કારણે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વણસી છે. દરેકને પરમાણુ શસ્ત્રો વડે પોતાનો દબદબો વધારવો છે. છતાં યુદ્ધથી યુદ્ધ ક્યારેય શમ્યાં નથી. આવતીકાલની દુનિયાનું ભવિષ્ય જુવાન પેઢી છે. જુવાનો એક પછી એક હણાતા જશે અને શહીદ થતા રહેશે અને ભવિષ્યનો શાંતિનો ચેહરો ભૂંસાતો જશે. ન્યૂઝમાં નાનાં બાળકો ટેન્ક અને રોકેટ લોન્ચર સાથે રમતા જોવા મળે છે, કારણ કે એમના બાપ કાકાઓ કે દાદાઓ જે રમકડાં એમને રમવા માટે લાવી શકતા હોત એ આ યુદ્ધમાં કદાચ જ જીવતા એમને જોવા મળશે! અત્યારે ત્રણ દેશ પરંતુ એક દુઃખ. ત્યારે આ યુદ્ધની વચ્ચે માનવતા કેટલી અનિવાર્ય છે. એ રાજકીય શાસકો વિચારતા હશે ખરા! હાલ તો દુનિયાના નકશામાં ચાર નામ વારંવાર હાઈલાઇટ થાય છે. ઈઝરાયેલ, પેલેસ્ટાઇન, ઈરાન અને યુ એસ. પરંતુ આ માત્ર દેશોના નામ નથી. આ જુદી જુદી કહાનીઓ છે. પરંતુ એ કહાનીઓની વચ્ચે એક સામાન્ય સત્ય જે છે એ યુદ્ધની પીડા. ઇઝરાયેલમાં એક બાળક જેને શીખવવામાં આવે છે કે ‘જ્યારે સાયરન વાગે, ત્યારે દોડવું. તેના માટે રમત માત્ર મેદાનમાં નથી, પણ ક્યારેક એ જીવન બચાવવાની દોડ પણ બની જાય છે. પેલેસ્ટાઇનમાં એક બાળક છે. જે આકાશ તરફ મીટ માંડીને ચાંદ જોવાની કોશિશ કરે છે પણ એને ડ્રોન અને ધુમાડો દેખાય છે. તેના માટે રાત એટલે શાંતિ નહીં પરંતુ ડર. જ્યારે ઇરાનમાં એક મા છે. જે પોતાના દીકરાને ઘરથી બહાર મોકલે તો છે પણ અંદરથી એ જાણે છે. કે આ દુનિયા હવે સુરક્ષિત નથી રહી. તેના માટે દરવાજો બંધ કરવો માત્ર એક આદત નથી પણ એ એક પ્રાર્થના છે. આ દેશો વચ્ચે રાજકારણ છે ઈતિહાસ છે. અહંકાર છે. અને શક્તિનો ખેલ છે. પરંતુ આ બધાની વચ્ચે જે ખોવાઈ જાય છે. એ છે સામાન્ય માણસનું જીવન. એક તરફ મિસાઈલ છે. બીજી તરફ પ્રાર્થના છે. એક તરફ બોમ્બ છે. તો બીજી તરફ માતાની આંખોમાંથી વહેતાં આંસુ છે. યુદ્ધ ક્યારેય માત્ર સીમાઓ માટે નથી હોતું એ લોકોની અંદરની શાંતિને પણ તોડી નાંખે છે. ઈરાન પોતાના હકો માટે અવાજ ઉઠાવે છે. પેલેસ્ટાઇન પોતાના અસ્તિત્વ માટે લડે છે અને ઈઝરાયેલ પોતાની સુરક્ષિત આવતીકાલ માટે જીવતા રહે છે. ત્રણ અલગ લડાઈ, પણ દુઃખ એક જ. અહીં કોઈ સંપૂર્ણ સાચું નથી અને કોઈ સંપૂર્ણ ખોટું પણ નથી, કારણ કે જ્યારે બોમ્બ પડે છે ત્યારે એ ધર્મ નથી પૂછતું! એ દેશ નથી પૂછતું એ માત્ર એક જ વસ્તુ જાણે છે. સર્વનાશ! પરંતુ આ બધાની વચ્ચે એક નાની આશા હજુ પણ જીવંત છે. એક બાળક હજુ પણ હસે છે. એક મા હજુ પણ પ્રાર્થના કરે છે અને એક માણસ હજુ પણ ‘કાલે સારું થશે’ એમ માને છે. કદાચ એ જ માનવતાની સૌથી મોટી શક્તિ છે. આખી દુનિયા આ સંઘર્ષને ‘યુદ્ધ’ કહે છે પરંતુ જે લોકો એમાં જીવે છે એને માટે તો ક્યાંક ને ક્યાંક જીવન છે. રાહત કેમ્પમાં, આઘાત અને ડિપ્રેશન અને ભયાનકતા માંથી બહાર લાવવા માટેના કાઉસેલિંગ સેન્ટરમાં, હોસ્પિટલોમાં, અને ઘરની નીચે બનાવેલાં ઊંડાં બંકરોમાં તો પોતાના પુત્ર, પતિ કે ભાઈને સૈનિક તરીકે મોકલતા મા, પત્ની અને બહેનની આશામાં. ક્યાંક કાટમાળ નીચે દબાયેલા બહાર નીકળવાની રાહ જોતાં, તો અન્ન અને પાણી વિના ટળવળતાં ફૂડપેકેટની રાહ જોતાં અને મા બાપ ગુમાવી શરણરર્થીઓના કેમ્પમાં રાહ જોતાં બાળકોની આંખમાં જીવનની અનેક આશાઓ અને શક્યતાઓ દેખાય છે. તો બંદી બનાવયેલ અસંખ્ય સ્ત્રીઓનું શારીરિક શોષણ થયા છતાં પણ એ પીડામાંથી બહાર નીકળવાની આશા વર્લ્ડના પોલિટિશિયનોને કેમ દેખાતી નથી? યુદ્ધોનો પ્રભાવ બહુસ્તરીય હોય છે. રાજકીય, આર્થિક, માનસિક અને શારીરિક. ઇતિહાસ દર્શાવે છે કે સૈન્ય વિજય શક્ય છે, પરંતુ માનસિક અને સામાજિક પુનઃસ્થાપન માટે દાયકાઓ લાગી શકે છે. આપણે તો રોજ અહીં દૂર બેઠાં બેઠાં પાનના ગલ્લે, ઓફિસમાં, સોસાયટીમાં કે પછી બગીચાના બાંકડે યુદ્ધ કોણ જીતશે? શેરબજારમાં કોના કેટલા ધોવાશે? અને સોનાં-ચાંદીના ભાવ વધશે કે ઘટશે! તો થોડા ડોલર લઈને તિજોરીમાં મૂકી રાખીએ! પેટ્રોલનો જથ્થો ભેગો કરી લઈએ, પણ કરુણામાંથી ક્રૂરતા તરફ જતાં ક્યારેય આપણે આ સત્તાની લડાઈ પાછળ કેટલી જિંદગી રાખ થઇ જશે એ વિચાર ભાગ્યે જ કરીએ છીએ. કદાચ ઈરાન જીતે કે યુ એસ એનો ફર્ક આપણને પડે કે ન પડે પણ એ પહેલાં આપણી માનવજાતની સંવેદના માટે આપણે શું કરી શકીએ એ ફર્ક જો પડે અને એ પીડાની શાતા માટે નિર્દોષ લોકો માટે સાચા હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરીએ તો કદાચ માનવ હોવાની આપણી સભાનતા જળવાય. કોઈ બીજા માનવની કરુણતા લાચારી અને વિવશતા બને ત્યારે એનો ફર્ક ચોક્કસ આપણને પડવો જોઈએ!.
Read Original Article →