મનદુરસ્તી:સ્વ-ઘોષિત સુલતાનોની સાયકોલોજી
‘ડૉક્ટર, અમારા મિત્રોના આખા ગ્રૂપમાં હમણાંથી તો એક જ વાત ચર્ચાયા કરે છે, ‘અરે, હદ છે યાર. આ દેવેન તો હંમેશાં એની જ હાંક્યે જાય છે. એ આપણને સૌને જાણે મગતરાં સમજે છે. એનું આ અભિમાન એટલું બધું ભારે થઇ ગયું છે કે હવે આપણે એનો લોડ નહીં લઇ શકીએ. વી આર ફ્રેન્ડઝ. વી આર નોટ સ્લેવ્ઝ. અમે કંઇ એના નોનસેન્સ બિહેવિયરને સહન કરવાનો કંઇ ઠેકો લીધો છે? એ સમજે છે શું એના મનમાં. અમે બધાં ભાજી-મૂળા છીએ? એ પોતે વધારે પૈસાદાર છે તો અમે પણ અમારી રીતે બરાબર છીએ. મૈત્રીમાં ક્યારેય સ્ટેટસ વચ્ચે ન આવવું જોઇએ. એનો પૈસો અને એનો સુપિરિયારિટી કોમ્પ્લેક્ષ એને મુબારક. વી ડૉન્ટ કેર!’ સૌમ્યાએ દેવેનની વાઇફ ઇરા સમક્ષ બળાપો કાઢ્યો.
દેવેન એવું માનતો હતો કે ‘હું બીજા કરતાં કંઇક સ્પેશિયલ છું, બ્રિલિયન્ટ છું. અને મારા જેવું બીજું કોઇ છે જ નહીં.’ આ કેપિટલ-આઇ કોમ્પ્લેક્ષ ધરાવતા ‘મહાનુભાવો’ પોતાને દુનિયાથી પર સમજતા હોય છે. પોતે ક્યારેય વાંકમાં હોય જ નહીં. એટલા બધા જક્કી અને રીજીડ હોય છે કે ‘પોતે કહે તે જ સાચું.’ એવી જડ માન્યતા સાથે રહેતા હોય છે. પોતાના વિચારો કે ઓપિનિયન માટે કોઇ સવાલ ન કરી શકાય એવું માનતા હોય છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઇએ તો આ પ્રકારના લોકો નારસિસિસ્ટિક પર્સનાલિટી ધરાવતા હોય છે. એમના બહારથી દેખાતા સુપિરિયારિટી કોમ્પ્લેક્ષનાં મૂળિયાં અસલામતી અને ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્ષમાં પડેલાં હોય છે. ખાલી ચણો વાગે ઘણો એ ન્યાયે તેઓ પોતાને સ્વ-ઘોષિત ‘સુલતાન’ સમજતા હોય છે. આંતરમનમાં તો સેલ્ફ એસ્ટિમ અત્યંત નબળો હોય છે. બીજાં બધાં જ ખોટા છે અને હું જ સાચો એમ દલીલોથી પુરવાર કરવાના પારાવાર પ્રયત્નો કરે છે.
પોતાની લઘુતાગ્રંથિને અચેતન રીતે છુપાવવા એક પ્રકારની બચાવપ્રયુક્તિ ઊભી થાય છે જે સુપિરિયારિટી કોમ્પ્લેક્ષમાં પરિણમે છે. વાસ્તવમાં લઘુતાભાવના અને ગુરૂતાભાવના બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. મોટાભાગના આવા આઇ, મી અને માયસેલ્ફમાં માનતા લોકોમાં પ્રશંસાની સતત ભૂખ હોય છે. લોકો પોતાના તરફ જ ધ્યાન આપે અને પોતે કહેલી વાતનો જ સ્વીકાર કરે તેવી માનસિકતા ધરાવતા હોય છે. લોકોના એપ્રુવલની જરૂરિયાત એટલી બધી હોય છે કે ગમે તેમ કરીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયાસોમાં વ્યક્તિ રચેલી-પચેલી રહે છે.
જો આસપાસના લોકો આ બધી માનસિક જરૂરિયાતને પૂરી કરતા રહે તો આવા લોકોનો વિકૃત અહંકાર પોરસાયા કરે છે. એમને પોતાને સારું તો લાગે છે પણ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એ નુકસાનકર્તા જ
હોય છે.
વળી, આવા ગુરૂતાગ્રંથિધારી લોકો અન્ય લોકોની ભાવનાઓની કદર કરતા નથી એટલે સંબંધો બગડતા રહે છે. બીજા નબળા અને સ્વાર્થી લોકો ભયને કારણે આવા ગ્રંથિધારીઓની નજીક રહે છે. પરંતુ એમાં પ્રેમ અને મૈત્રીનો સદંતર શૂન્યાવકાશ હોય છે. અન્યોને તુચ્છ અને ડફોળ માનવાની વૈચારિક પદ્ધતિને લીધે ક્યારેક મૂર્ખ પણ બની જતા હોય છે, પણ પેલું સુપિરિયારિટીનું મહોરું જાળવી રાખવા તમાચો મારીને ગાલ લાલ રાખે છે.
ધીમે ધીમે વિકૃત ચિંતા અને અસલામતી વધતાં જાય છે. નજીકના દૂર થતાં જાય છે. કદાચ ધંધાકીય આવડતના લીધે પૈસો મળે છે, પણ પ્રેમ દૂર થતો જાય છે. લકઝરી મળે છે પણ લાગણી સૂકાતી
જાય છે.
થોડી મુશ્કેલી પડે પરંતુ જો વ્યક્તિ સારવાર માટે માને તો દેવેન જેવા લોકોની ટ્રીટમેન્ટ કરીને એમને શાંતિ પહોંચાડી શકાય છે. રેશનલ ઇમોટિવ સાયકોથેરાપી અને કાઉન્સેલિંગ આવા કિસ્સામાં અસરકારક નીવડે છે. મૂળભૂત રીતે ગુરૂતાગ્રંથિ ધરાવનારા લોકોની અસલામતીની ભાવના દૂર કરવામાં આવે છે. પ્રેમ અને સ્વીકૃતિની વિકૃત ભૂખને વ્યવહારિક દૃષ્ટિકોણથી સમજાવીને પોઝિટિવ દિશામાં વાળવામાં આવે છે.
બીજા કરતાં જુદા હોવું એ નબળાઇ નથી હોતી પરંતુ વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય છે. દેખાડો અને મટિરિયાલિઝમ એ ઉપરછલ્લાં મહોરાં છે. એનાથી અંજાઇ જનારાં પણ મનોસામાજીક રીતે ક્યાંક ને ક્યાંક નબળાં જ હોય છે. ખરેખર પ્રેમ કરતા લોકો માટે એ મહોરાંની નહીં પણ લાગણીની કિંમત હોય છે, જે બુદ્ધિપૂર્વક વિચારવું પડે. વિનિંગ સ્ટ્રોક
પોતાને હંમેશાં અન્યથી ચડિયાતા માનતા કેટલાક લોકો અચેતન રીતે પોતાનો આંતરિક શૂન્યાવકાશ પૂરો કરવા મથતા હોય છે.
Read Original Article →