રિફ્લેક્શન:રાતોરાત લોકપ્રિય થવું છે? તો અપનાવો આ સ્ટ્રેટેજી

Magazine5/20/2026, 12:35:00 AM
નમ્રતા દેસાઈ ડિવોર્સ, બ્રેકઅપ, સામાજિક કે પારિવારિક સંબંધોનું તૂટવું- આ બધી બાબતોમાં સત્ય તો જે બે વ્યક્તિ વચ્ચે જે કંઈ બન્યું હોય એ બે જ જાણતાં હોય છે હાલમાં જાણીતા એક્ટર અક્ષયકુમારે એક પોડકાસ્ટમાં નિવેદન આપ્યું કે પોતે મલ્ટિમિલિયોનેર હોવા છતાં પોતાનો દીકરો મહિને ફક્ત 3500ની નોકરી કરે છે. આ જોઈને ઘણા દર્શકોને આશ્ચર્ય થયું. આ ઉપરાંત એક જાણીતી વક્તાએ પોતે જીવનમાં અને પરિવારમાં કેટલાં દુઃખ સહન કર્યાં એ વિશે જાહેરમાં જણાવ્યું, તો દર્શકો આ વાતથી અભિભૂત થઈ ઊઠ્યા અને સોશિયલ મીડિયા પર સહાનુભૂતિનું મોજું એમની આસપાસ ફરી વળ્યું! એમાં એમને જે જોઈતું હતું એ મેળવવામાં તેઓ સફળ થયાં. તો બીજી તરફ ‘આશિકી’ સુપરહિટ ફિલ્મના ફ્લૉપ એક્ટર રાહુલ રોયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની ફાઇનાન્શિયલ મુશ્કેલી અને હેલ્થ સ્ટ્રગલ વિશે વાત કરી. કેટલાક લોકોએ સપોર્ટ આપ્યો, પણ કેટલાકે કહ્યું કે તેઓ ‘સિમ્પથી માટે પબ્લિકમાં આવી રહ્યા છે.’ આજના સમયમાં દુઃખ કરતાં તેનું પ્રદર્શન વધારે ચર્ચામાં રહે છે અને ત્યાંથી sympathy અને strategy વચ્ચેની રેખા ધૂંધળી થતી જાય છે. આવા જ એક રિયાલિટી શોમાં એક જાણીતી સેલિબ્રિટીએ ‘પિતૃત્વ’નો વિષય લાવવાથી લોકોમાં ચર્ચા થઈ કે શું આ સિમ્પથી મેળવવા માટેની ગેમ છે? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે રિયાલિટી શોમાં જો તમે સહાનુભૂતિ ક્રિએટ કરીને જાહેરમાં લોકોની આંખોમાં આંસુ લાવી શકો કે દયનીય જીવન બતાવી શકો છો, તો કૉમેન્ટ્સ, લાઈક અને ચર્ચાથી લોકપ્રિય થવાની સંભાવના અનેકગણી વધી જાય છે. તમે જાહેરમાં કશુંક એવું કરીને બતાવો જે લોકો જોતાં જ રહી જાય તો એના બે રસ્તા છે. જો તમારી પાસે જેન્યુઈન આવડત છે, તો તમે લોકપ્રિયતાથી દૂર રહેવાનું પસંદ કરો છો. પરંતુ તમે નકલ કરીને કે જે આત્મસાત થયું જ નથી એને શબ્દોનો શણગાર કરીને કે ફોટો એડિટ કરીને, રીલ બનાવીને ‘મને સતત અન્યાય થયો છે’ એવી ચર્ચાઓ પોતાનાં વર્તુળમાં કરવી અને ભાવનાત્મક પોસ્ટ મૂકી બીજા લોકપ્રિય વ્યક્તિને ટેગ કરી જે તમે જીવતા જ નથી પણ નકલી વાતો કરીને મેળવેલી લોકપ્રિયતા ક્યારેય સન્માનની અધિકારી નથી. હમણાં એક લગ્નમાં જાહેરમાં રડતાં-રડતાં એક બહેને વિવાદસ્પદ વિધાન તીરની માફક છોડ્યું કે ‘અમે પૈસાવાળા નથી એટલે અમને લગ્નની ભેટ-સોગાદ અને રીતરિવાજથી જાણી જોઈને દૂર રાખવામાં આવ્યાં.’ જે આ બહેનનો સ્વભાવ જાણતા હતા એ ત્યાંથી ખસી ગયા, પણ બાકીના લોકો સામે પેલા બેન સહાનુભૂતિ ઉઘરાવવામાં સફળ થયાં. આપણો વાંક હોવા છતાં પણ જાહેરમાં સામેના લોકોની સામે રડીને કે તાયફા કરીને દયા ઉઘરાવનાર સામાન્ય માણસોથી લઈને મોટાં માથાંઓ પણ આવું કરતા અચકાતાં નથી. આ બધાં ઉદાહરણોમાં એક કોમન પેટર્ન છે: સત્ય vs લોકોની નજર. ડિવોર્સ, બ્રેકઅપ, સામાજિક કે પારિવારિક સંબંધોનું તૂટવું- આ બધી બાબતોમાં સત્ય તો જે બે વ્યક્તિ વચ્ચે જે કંઈ બન્યું હોય એ બે જ જાણતાં હોય છે. પરંતુ એની ચર્ચા જાહેરમાં સહાનુભૂતિ મેળવવા માટે થાય ત્યારે ભીતરથી દુઃખને વટાવી લેવાની જે નિયત હોય છે કે થોડું રડી લઈએ, થોડું સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દઈએ, જાહેર જીવનમાં થોડી ચર્ચા કરી લઈએ તો આડકતરી રીતે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ થવાય અને લોકપ્રિયતા પણ મેળવી લેવાય. પરંતુ થોડીવાર માટે લોકોનું ધ્યાન મળે છે; સહાનુભૂતિના શબ્દો, મેસેજ, ક્યારેક આર્થિક મદદ પણ મળે. પરંતુ આ સહાનુભૂતિ પણ ઘણીવાર ઉપરછલ્લી જ હોય છે. લોકો સમય જતાં સમજવા લાગે છે કે આ પ્રસ્તુતિમાં કેટલો સચ્ચાઈનો અંશ છે અને ત્યારે જ ‘દયા’નું રૂપાંતર ‘શંકા’માં થઈ જાય છે. જાહેરમાં ‘મેં કેટલો સંઘર્ષ કર્યો એકલે હાથે’ એની દયા ઉઘરાવવાથી ઇજ્જત મળતી નથી, માત્ર ક્ષણિક સહાનુભૂતિ મળે છે અને ક્યારેક એ વ્યક્તિ લોકોની નજરમાંથી ઊતરી પણ જાય. આમાં સૌથી મોટું નુકસાન વિશ્વાસનું થાય છે. એકવાર લોકો સમજી જાય કે સહાનુભૂતિ મેળવવા માટે નાટક થઈ રહ્યું છે, ત્યારે તેઓ દૂર થવા લાગે છે અને વિશ્વાસ તૂટી જાય પછી સંબંધો પણ નબળા પડે છે. દરેક વ્યક્તિમાં કારણ અલગ હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે તમને જો સતત લાઈમલાઈટમાં રહેવાની આદત હોય, ક્યારેક અંદરથી પોતાની કિંમત ઓછી થવા માંડી છે એવું લાગતું હોય ત્યારે બહારથી વખાણ, દયા અથવા માન્યતા મેળવવાની જરૂરિયાત વધે. ધ્યાનની તીવ્ર ભૂખ ત્યારે આદત બની જાય એટલે કેટલાક લોકોને લાગે છે કે લોકોનું ધ્યાન ન મળે તો તેઓ અગત્યના નથી. તેથી નાટકીય વાતો, વધારેલી પીડા અથવા ખોટી ઇમેજ બનાવે. જો અસુરક્ષા અને સ્વીકારવાની ઈચ્છા હોય કે બાળપણમાં અવગણના, પ્રેમનો અભાવ અથવા સતત ટીકા અનુભવાઈ હોય તો વ્યક્તિ પછીથી લોકો પાસેથી માન્યતા મેળવવા ઝંખે છે. વ્યક્તિ નાર્સિસિસ્ટિક લક્ષણો ધરાવતી હોય તો પોતાને ખાસ દેખાડવા માટે વધારેલી વાતો કરે, પીડિત તરીકે રજૂ કરે અથવા સન્માન માંગે. તેમને સતત પ્રશંસા જોઈએ. ખાસ કરીને નવી જનરેશન જેટલી સ્વતંત્ર છે, એટલી જ એની ભીતર અસુરક્ષાની ભાવના તીવ્ર છે; કોમ્પિટિશનના સતત પ્રેશરમાં હોય છે. કવિ શ્રી રાજેન્દ્ર શાહની એક સરસ પંક્તિ છે કે: ‘ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર.’ હાલમાં જ બંગાળ ઇલેક્શનમાં મમતા દીદી હાર પચાવી નથી શકતાં એટલે સહાનુભૂતિ મેળવવા રોજ નવાં નવાં ભાવનાત્મક નિવેદનો આપીને ત્યાંની પ્રજાનું ધ્યાન ખેંચવા હઠ પર ઊતરી ગયા છે. હવે આ મીડિયામાં મચાવેલો તરખાટ એમને શું આપશે એ એમને જ ખબર!
Read Original Article →