ઓક્સિજન:નસીબની બલિહારી

Magazine4/22/2026, 12:35:00 AM
‘મેં જે નક્કી કર્યું એમાં ફેરફાર કરવાની હિંમત કોણે કરી?’ સમગ્ર જીવલોકનું તંત્ર ચાલે છે ત્યાં નિયતિ ક્રોધથી કાંપી રહી હતી. નિયતિના નક્કી કર્યા મુજબ જ આ અકસ્માત થયો હતો. અનિકેત અને નિકેતન, બે મિત્રો તેમના પરિવાર સાથે પાવાગઢ ફરવા નીકળ્યા હતા. બંનેએ પોતાની કાર લીધી હતી. અનિકેત પાસે તેના શ્વસૂરે ભેટમાં આપેલી મોટી એસયુવી હતી. નિકેતનની ગાડી નાની હતી પણ ખુદની મહેનતથી કમાયેલી હતી. આખો દિવસ પ્રવાસની મજા માણી રાત્રે સહુ પાછાં ફરી રહ્યાં હતાં. વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ હાઈવે શરૂ થતાં જ ગાડીઓની ઝડપ વધી ગઈ. હજુ પચીસેક કિલોમીટર આગળ ગયાં હશે કે તેઓની આગળ ભાગી રહેલી એક ગાડી ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે ઘસાઈ અને ફંગોળાઈ. પાછળ જ પોતપોતાની કાર ચલાવી રહેલા અનિકેત અને નિકેતન સાવધ થઈ ગયાં, તુરંત બ્રેક મારી, કારને બાજુમાં લેવા સ્ટિયરિંગ ફેરવ્યું પરંતુ તેમની પાછળ આવી રહેલી ગાડીઓ આમ અચાનક બદલાયેલી પરિસ્થિતિને પામી નહીં શકવાથી અનિકેત અને નિકેતનની કાર સાથે અથડાઈ. બ્રેક મારવા છતાં તેમની કાર ઘસડાઈને આગળ ટ્રકમાં ઘૂસી ગઈ. અકસ્માત ભયંકર હતો પણ સહુ ત્વરિત કારમાંથી નીકળી ગયાં અને જાનહાનિ ટળી ગઈ. જોકે, અનિકેતની કાર વધારે મજબૂત હોવા છતાં તેમાં કોઈ સ્પાર્ક થયો અને આગ લાગી ગઈ. આશ્ચર્ય હતું કે નિકેતનની કારને નજીવું નુકસાન થયું. નિયતિના આયોજન મુજબ બંને કારનો નાશ થવો લખાયેલો હતો. તેણે આ માટે જવાબદાર એવા તેના બે સાથીઓ નસીબ અને કર્મને બોલાવ્યા. નસીબ કહે, ‘મારાથી જ અનિકેતને આ કાર મળી હતી. તમારે બીજા કોઈને આપવી હતી એટલે એની કાર મેં લઈ લીધી.’ નિયતિ કહે, ‘અને નિકેતનની કાર?’ પાસે ઊભેલા કર્મએ મક્કમતાથી કહ્યું, ‘એ મારી આપેલી કાર હતી.’ નિયતિ માટે આગળ બોલવાના કોઈ શબ્દો નહોતા કારણ કે એ જાણતી હતી કે કર્મ એકવાર મનુષ્યને જે આપે છે તે ક્યારેય પાછું નથી માંગતો.
Read Original Article →