નીલે ગગન કે તલે:મળે ન મળે

Magazine4/22/2026, 12:35:00 AM
નીલે ગગન કે તલે:મળે ન મળે
સા લ હતી 1959ની ને ગામ હતું ન્યુ યોર્ક. ન્યુ યોર્ક ગુજરાતી સમાજ આયોજિત નાટક થવાનું હતું એક ખીચોખીચ (જોક, જોક) થિયેટરમાં. પરદો ખોલતાં પહેલાં સ્ટેજ ઉપરથી નાટક તથા નાટકના અદાકારો જયંતી પટેલ તેમ જ રશ્મિન પાઠકનો પરિચય આપતા હતા મધુસૂદન કાપડિયા. અને નાટકના દિગ્દર્શક મધુ રાયનું નામ ઉચ્ચારાય તે પહેલાં પ્રેક્ષકોનાં ડોકાં સ્ટેજ તરફથી 180 ડિગરી દરવાજા તરફ વળવા લાગ્યાં ને એક વિણધાર્યા, વિણનોતર્યા, વિણ–ટિકિટધારી વ્યક્તિ સભામાં મુસ્કુરાતા મુસ્કુરાતા પગલાં ભરી રહ્યા હતા. ફરીદ મોહમ્મદ મન્સૂરી બા તખલ્લુસ આદિલ મન્સૂરી. મધુસૂદન કાપડિયાએ એમને અછોવાનાં કરીને સ્ટેજ પર નોતર્યા અને ઓડિયન્સને કહ્યું, ‘મળે, ન મળે’ ગઝલના શાયર, આદિલ મન્સૂરી! શાયરે એમનું કાવ્ય સંભળાવ્યું અને શ્રોતાઓએ તેની એકએક લીટી શાયરની સાથે સાથે ગાયું, ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.’ (ઓડિયન્સની સાથે સાથે અમે શું ગાતા હઈશું તે શબ્દો ડિક્સનેરીમાં મળે ન મળે.) ખેર પછી નાટક થયું, કાઇન્ડોફ સફળ બી થયું, અમને બધાને કવર બી મળ્યાં વગેરે. હવે આટલાં વર્ષે આ કિસ્સાને કહેવાનો આશય શો? આશય તે કે અમે છેલ્લાં પચાસ પ્લસ વર્ષથી અમેરિકા રહીએ છીએ. તે દરમિયાન આદિલ 1959માં અમેરિકા આવ્યા તે દિવસથી 2008માં એમના મૃત્યુ સુધીમાં અમેરિકાના ગુજરાતી સમાજમાં એક મૂગી ક્રાન્તિ થઈ, એમાં ફણગો આવ્યો, ને આખરે સાહિત્યકારોને પણ પુરસ્કાર આપવા ઘટે એવું ‘ભાન’ આવ્યું અમેરિકાના ગુજરાતી સેન્ટરોમાં. આદિલના આ ‘અવતાર’ની પહેલાં આપણે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હોઈએ એવા ગુજરાતના સુપ્રતિષ્ઠિત કવિઓ, લેખકો, કલાકારોને અમેરિકાનો ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા ભારતથી અમેરિકા બોલાવતી, અમેરિકાનાં ગુજરાતી સમાજો ને મંડળો ને કેન્દ્રો વગેરેના આમંત્રણે સાહિત્યકારો અમેરિકાના પર્યટને જતા. એમની યજમાન સંસ્થા એમને પ્રવાસખર્ચ આપતી, ગુજરાતી સેન્ટરોમાં કાર્યક્રમો ગોઠવતી, દેશાટન કરાવતી, અને સાહિત્યકાર સજોડે પાછા જતા ને જ્યાં વસે એક ગુજરાતી.... અથવા જ જય ગરવી ગુજરાત... અથવા ગુજરાત મોરી મોરી રે એવા ઉલ્લેખ સાથે ક્યાં કોના ઘરે સરસ ભીંડાનું શાક જમવા મળ્યું ને વગેરે લેખો તેમની કોલમોમાં લખતા. અમેરિકાના કાર્યક્રમ બદલ કશેય ખાસ પુરસ્કારનો મલીદો મળવાની કોઈ વાત બનતી કે લખાતી નકો નકો. આ તો ભારતથી આમંત્રાયેલા સાહિત્યકારોની વાત! લોકલ સાહિત્યકારોને તો પોતાના ગુંજામાંથી ટેક્સીભાડું ખર્ચીને જવાનું, હારતોરા વગેરેના પૈસા આપવાના અને પોતાની ભવ્ય કવિતાઓ ગાઈ પાછા ફરવાનું થતું. અને આવે છે ફરીદ અલી મન્સૂરી! કોઈ સંસ્થા હોય કે શેઠિયા હોય કે નાનું ગ્રૂપ હોય, યસ, હું અવેલેબલ છું. ન્યુ જર્સીથી તમારા સિટીમાં આવવા–જવાનું ભાડું, હોટલમાં ઉતારો, અને એક હજાર ડોલર પુરસ્કાર. યસ હોય તો યસ; ને નો હોય તો ગો ટુ યોર હોમ. અને મિયોં કાયમ જીતતો! અને તેના પુરસ્કારને છાજે એવો ચકનાચૂર જલસો પણ ઓડિયન્સને કરાવતો! પછી આંકડો વધતો ગયો, ટિકિટભાડું એકનું નહીં પણ મિયાં–બીબી બંનેનું ને પુરસ્કાર પણ બંનેને, કેમકે આદિલનાં પત્ની બિસ્મિલ્લાહ પણ ગઝલો પેશ કરતાં તથા વાહવાહી મેળવતાં. અને ત્યારથી લોકલ ટેલેન્ટોને બી પુછાતું, ટે પેલું પુરસ્કારવારું હૂં કરવાના? અંગ્રેજી લેખકોને ગંજાવર રોયલ્ટી અપાય છે, એડવાન્સમાં! બંગાળીમાં કે દ્રવિડ ભાષાઓમાં પણ અપાય તો છે જ. કેવળ ગુજરાતી સાહિત્યકારોને ‘સર્જક’ કહીને રોયલ્ટી અલ્પ અપાય છે. એક અઢળક પુસ્તકોના રચયિતા સાહિત્યભાઈ જણાવે છે કે કોકકોક વાર પ્રકાશક સાતઆઠ કોપી આલી દે, બસ તે કહેવાય રોયલ્ટી. નવા લેખકો તો સામથી પૈહા આલીને છપાય છપાય કરે. પણ સ્થાપિત લેખકોને જેમકે પણ પ્રકાશકો સમારંભોમાં પ્રમુખ થવા કે અતિથિ બનવા ‘છગનલાલા મોંદા છે તો ગોમમોં છે, ને નવરા છે ને બોલાઈ લો ગગનવાલાને!’ કહીને ગગનવાલાને નિમંત્રે ત્યારે પ્રશ્ન થાય કે આને પણ ‘સર્જન’ કહેવાય કે પછી હરિ હરિ? હાલ જ ગુજરાતી પ્રકાશક આર આર શેઠની કંપનીએ સો વર્ષ ઉજવ્યાં, તે સબબ વિપુલ જાંબુચા નામે એક અભ્યાસીએ ભૂલાતી જતી લોકકલા ‘આખ્યાન’ નામે એક પુસ્તક/ફિક્શન લખ્યું છે તેનું લોકાર્પણ ગયા સપ્તાહે મમતા સોની અને મેહુલ ઠાકર જેવા લોકલાડીલા કલાકારોની ઉપસ્થિતિમાં થયું. મુખ્ય અતિથિ રાહુલ શુક્લએ એમની વિનોદી શૈલીમાં જણાવ્યું કે ‘આર આર શેઠ તો પ્રતિષ્ઠિત પ્રકાશક છે પણ બીજા પ્રકાશકના એક પુસ્તકમાં મેં કિંમત જોઈ 20 રૂપિયા ને દસ પૈસા. મેં કહ્યું દસ પૈસા વધારાના રાખ્યા એના કરતાં ખાલી 20 રૂપિયા રાખ્યા હોત તો? તો પ્રકાશકે કહ્યું, પછી લેખકને શું આલીએ?’ સન્મિત્ર ચિંતનભાઈએ ભારપૂર્વક કહ્યું કે પુસ્તકો વેચાતાં નથી એ વાત ખોટી છે! પુસ્તકો વેચાય છે જ અને તેના લેખકોને રોયલ્ટી અપાવી જ જોઈએ! સમારંભના અંતે તેમાં શુદ્ધ આખ્યાનની શૈલીમાં એક પેશેવર મંડળીએ આખ્યાનનો અંક પણ ભજવી લોકરંજન કીધું. જ્યારે મોબાઇલ ફોન, ટીવી કે સિનેમા નહોતાં ત્યારે આખ્યાન લોકપ્રિય હતાં. હવે તે લુપ્ત થતી જતી લોકકલા નિહાળવા મળે ન મળે. જય જાંબુચા!
Read Original Article →