મનદુરસ્તી:શું આ જીવન અટકી ગયેલું અને અર્થહીન લાગે છે?

Magazine4/8/2026, 12:50:00 AM
મનદુરસ્તી:શું આ જીવન અટકી ગયેલું અને અર્થહીન લાગે છે?
45 વર્ષની પારૂષી ઉદાસ વદને કન્સલ્ટિંગ રૂમમાં બેઠી હતી. એના શરીરના હાવ-ભાવ નિરાશાભર્યા હતા. સાવ થાકેલી લાગતી હતી. એણે મહામહેનતે બોલવાનું શરૂ કર્યું, “ડૉક્ટર, મારા જીવનનો હવે કોઈ અર્થ રહ્યો નથી. મને કશામાં ખાસ રસ રહ્યો નથી. એકલતા મારી બીજી ઓળખાણ થઈ ગઈ છે. મારા હસબન્ડ પ્રમેશને મારા માટે સમય જ નથી. એ એના જમીનોના બિઝનેસમાં બિઝી જ રહે છે. એ લોકોનું બોયઝનું ગ્રૂપ બહુ એક્ટિવ છે, પણ પ્રમેશ મારામાં ઇન્ટ્રેસ્ટ રાખવામાં બહુ પેસિવ છે. એટલે એને બહારની દુનિયાના લોકો મારા કરતાં વધારે મહત્ત્વના લાગે છે.’ ‘દીકરો કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરે છે. એ પણ બિઝી રહે છે. અધૂરામાં પૂરું હમણાં-હમણાં એને ગર્લફ્રેન્ડ બની છે, એટલે તો મારા માટે જરાય ટાઈમ જ નથી. જીવન જાણે નીરસ, અટકી ગયેલું અને અર્થહીન થઈ ગયું છે. શું કરવું સમજાતું નથી.’ પારૂષીનું ક્લિનિકલ એસેસમેન્ટ કરતા નક્કી થયું કે એની સમસ્યા ‘મિડ-લાઈફ ક્રાઈસીસ’ મતલબ મધ્યમવયની કટોકટીભરી મૂંઝવણની હતી. આશરે 40થી 55 વર્ષની વયની વચ્ચે આ પ્રકારની માનસિક કટોકટી કે અર્થહીનતાનો અનુભવ ઘણાને થાય છે. જીવનમાં બધું જ હોય, છતાં કંઈ જ નથી એવી લાગણી એક અજાણ્યા ખાલીપાને જન્માવે છે. કરિયર, સંબંધો, મહત્ત્વાકાંક્ષા, લક્ષ્યોની પ્રાપ્તિ વગેરે નકામા જણાય છે. ઘણાં યુગલોના છૂટાછેડા લગભગ આવા જ મિડ-લાઈફ ક્રાઈસીસના સમયમાં થતા હોય છે. મિડ-લાઈફ ક્રાઈસીસની સમસ્યાઓમાં ખતરનાક વધારો કરવામાં ભૂતકાળના અનુભવો સાથે ઉંમર થતાં હોર્મોનલ ફેરફાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મૂડ-સ્વિંગ્સ કે કોઈ જ દેખીતા કારણ વગર ઊભાં થતાં અણગમા, ચીડિયાપણું, ક્રોધ, ઉદાસી અને રડવાનું વર્તન આના જ પરિણામ સ્વરૂપ થાય છે. કેટલાંકને તો આ મિડ-લાઈફ પછી જીવનનો સૂર્યાસ્ત નજરે ચડવા લાગે છે. સ્ત્રીઓમાં પેરિ-મેનોપોઝલ કે પોસ્ટ-મેનોપોઝલ હોર્મોનલ ફેરફારોને લીધે થાક, ડિપ્રેશન, અનિદ્રા વગેરે લક્ષણો ઊભા થાય છે. ઘણી વાર મધ્ય-વયની મૂંઝવણ કે ખાલીપો એટલે પણ અનુભવાય છે કે કેટલાક મિત્રોથી દૂર થઈ જવાયું હોય છે, તો કેટલાંક સગાંઓના કડવા અનુભવોને લીધે ઊભી થતી એકલતા અકળાવે છે. આસપાસના લોકો પર પહેલાંની જેમ વિશ્વાસ મૂકી શકાતો નથી. નવા સંબંધો હૃદયપૂર્વક બાંધવાનો થાક લાગે છે. ક્યારેક દૂધથી દાઝ્યા હોય તો છાશ તો ઠીક પણ પાણીયે ફૂંકીને પીવાય છે. મિડ-લાઈફ ક્રાઈસીસને કોઈ મોટા માનસિક રોગનું લેબલ લગાવવાની જરૂર નથી. કેટલીક રોજિંદી ક્રિયાઓમાં અને દૃષ્ટિકોણમાં ફેરફાર કરવાથી આ માનસિક કટોકટીને દૂર કરી શકાય છે. સૌ પ્રથમ તો એવો સ્વીકાર કરવો અને સમજવું જરૂરી છે કે આવા અનુભવો થવા એ એક સાધારણ બાબત છે અને ખાસ તો આ હંગામી કે થોડા સમય પૂરતો અનુભવ હોય છે. જો આપણે યોગ્ય શારીરિક કે માનસિક સજ્જતા કેળવીએ તો આ અઘરો સમય ચોક્કસ પસાર થઈ જાય છે. સૌથી પહેલું કામ આમાં મનગમતા લોકોની વચ્ચે થોડો સમય અનિવાર્યપણે પસાર કરવાનું છે. દર અઠવાડિયે 1-2 વખત એકાદ-બે કલાક માટે પણ વાતો કરવા મળવું અને કોઈપણ જૂની દુઃખદાયક વાતોને યાદ કર્યા વગર વર્તમાનનો આનંદ લેવા પ્રયાસ કરવો. ક્યારેક ટૂંકા વેકેશન આપણને ‘ફાસ્ટ રિચાર્જ’ કરી શકે છે. શરૂઆતમાં આયોજન કરવાનો કંટાળો આવશે, પણ મિત્રોને એ કામ સોંપી શકાય અને પોતે માત્ર સહભાગી પણ થઈ શકાય. કોઈ જૂની અધૂરી ઈચ્છા કે શોખને પૂરો કરવાનો આ સુવર્ણ સમય હોય છે. સંગીત, કળા કે સ્પોર્ટ્સ જેવા શોખ માટે માત્ર રોજનો અડધાથી એક કલાક ઉપયોગી થઈ પડે છે. સાયકોલોજીસ્ટ પાસે જઈને અથવા અન્ય રીતે મનોવૈજ્ઞાનિક રીતે રિલેક્સેશનની પદ્ધતિઓ શીખવી જરૂરી છે. દૈનિક યોગ જેવો ઉત્તમ સાથી બીજો કોઈ મળવો મુશ્કેલ છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણનો વિકાસ થાય તેવું વાંચન અને મનન અનિવાર્ય છે. માનવતાવાદી દૃષ્ટિકોણ વિકસે એ માટે અન્ય જરૂરિયાતમંદોની યથાશક્તિ મદદ કરવાથી ‘ગ્રેટિટ્યૂડ’ની ભાવના જન્મે છે, જેના મનોશારીરિક ફાયદા અંગે અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ છે. જીવનને રોજે રોજ માણવાની ટેવ પાડવી પડે છે. કદાચ એ જ માનવ જીવનની સાર્થકતા છે. વિનિંગ સ્ટ્રોક હંમેશાં કશુંક મેળવી લીધા પછી જ ખુશી મળશે એવા વિચારો જ દુઃખની સંભાવના વધારે છે.
Read Original Article →