ઓફબીટ:મનની ગાંઠ હૃદયથી ઉકેલાય!

Magazine5/6/2026, 12:35:00 AM
ઓફબીટ:મનની ગાંઠ હૃદયથી ઉકેલાય!
આ પણે લીધેલી જવાબદારી કોઈએ આપણી ઉપર થોપી નથી! આપણે એ જવાબદારીમાં સાતત્ય ઉમેર્યું એટલે બધાંને એ આપણી લાગવા માંડી અને બધાં હવે એ જવાબદારી સાથે આપણને જોવા લાગ્યાં! શરૂઆતના દિવસોમાં આપણને પણ એ જવાબદારીમાંથી વાહ વાહ મળતી હતી. હવે આપણે કંટાળી ગયાં છીએ અને ના છૂટકે એનો ભાર વેઠીએ છીએ. આવી જવાબદારીનું લિસ્ટ બનાવવાની જરૂર નથી- એ આપણે ગોખેલી જ છે. એમાંથી તરત બહાર આવવું જોઈએ. વારંવાર આવતા કંટાળા વિશે આપણે જાતે જ વિચારવું જોઈએ. દુનિયા આપણને ત્યારે જ કંઈક કહે છે જ્યારે આપણે દુનિયાને Seriously લઇએ છીએ. અભિપ્રાય આપણો હોય કે બીજાનો- એ કેવળ જે તે અનુભવ અને એ પણ ક્ષણ પૂરતો જ હોય છે. ગમતા કામને કરવામાં પણ જોખમ જ છે, કારણ કે જો એ ‘કામ’ જ છે તો ક્યારેક ન ગમતું થવાનું જ છે. માટે તમારી સાથે વણાઈ ગયેલું સહજ થઈ ગયેલું જે હોય એને જવાબદારીનું લેબલ માર્યાં વિના સ્વીકારો. ઓક્તોવિયા પાઝ તો એમ કહે છે કે, Does nothing pass when time is passing by? સમય સિવાય શું પસાર થાય છે? આપણે પસાર થઈએ ત્યાં સુધી વાંધો નથી. આપણે તો સમયની આરપાર જવું છે. બધાં જ એકબીજાને સંબંધોમાં નહીં, સમય પ્રમાણે જોખે છે. બાલમુકુંદ દવેએ લખેલું : કાંટાએ ઘડિયાળોની જોખાતી જિંદગી- અહીં ઘડિયાળોના કાંટામાં આપણે બીજાઓની જિંદગીઓ જોખીને હરખાઈએ છીએ. દરેકને પોતાનો Separate સૂરજ જોઈએ છે. દરેકને વિટામિન-ડી પૂરતું જ અજવાળું જોઈએ છે. સમય અંધારું કરી જાય ત્યારે આપણે બીજાના દીવાથી આપણને જોઈ શકાય એટલું અજવાળું માણી લેતા હોઇએ છીએ. તોય આપણે અંધારાથી ટેવાયેલાં નથી. નજર ન લાગે એટલું ટીલું તો બાળપણમાં મમ્મી પણ કરતી હતી! એ ટીલું આપણે જાતે જ ભૂંસી નાંખ્યું અને બાળપણ પણ ભૂંસાઈ ગયું! સમય વીતે છે અને છતાંય રહી જાય છે. સ્મરણોમાં ઘર કરી જાય છે. પ્રિયકાન્ત મણિયાર કહે છે, આ કશું કાળનું રે પશુ, જે મળ્યું સર્વ તે ઉદરમાં ઓરતું... ખૂબ નિકટના સંબંધોને પણ પોરો ખાતાં શિખવાડવું જોઈએ. અતિશય લાગણી સામેવાળામાં પણ છે. હૃદય એને બૅલેન્સ કરવા માંગે છે. આપણે માત્ર આપણી બાજુના કિનારાના સુખમાં રચ્યાંપચ્યાં છીએ. મન મરતું નથી, આપણને થકવાડે છે. હૃદય થાકી જાય છે ત્યારે ફરિયાદ નથી કરતું કોઈને. સૂનમૂન થઈને બેસી જાય છે અને મનના બધાં જ ઘોંઘાટોને ઉજાણી કરવા દે છે. થાકી જવાનું ક્યું ખાસ કારણ છે? અડધું ઊગી ગયા પછી આખું ઊગવા માટે કોઈ વૃક્ષને કંટાળો નથી આવતો. નર્સરીના છોડને કયા ઘરમાં જવાનું છે એની ખબર નથી હોતી! એ જે ઘરમાં જાય છે ત્યાં ઊગીને સફળતા અને હકારાત્મકતા જ ફેલાવે છે. ઝાડ જ્યાં ઊગ્યું છે એ જગ્યા કદાચ એને ન પણ ગમતી હોય. ફૂલ દરેકને સરખી સુગંધ આપે છે. ન ગમનારી વ્યક્તિ આગળ ફૂલે પોતાની સુગંધ સંકેલી લીધી હોય છે એવું બન્યું છે? મનને આ જ સમજાવવાનું છે. ઓછી સગવડમાં જે મજા આવે છે તે વધારે સગવડમાં નથી મળતી. હૃદયનું ગીત જ્યારે લાગણી ગાતી હોય ત્યારે એને સાંભળવું જોઈએ. મન જેવો બીજો કોઈ ભાઈબંધ નથી, પણ ભાઈબંધ બધામાં સાચો ન હોય. એણે હૃદય નામના દોસ્તને પણ પૂછવું જોઈએ. ઓન ધ બીટ્સ પ્રસંગો આમ તો સુખના ઘણા આવ્યા’તા જીવનમાં, મને એકેયમાં આનંદ ન આવ્યો વ્યથા જેવો, દુઆઓ ના ફળી પણ ‘મીર’ એ સધિયારો ઓછો છે?, હતો જો કે ભરોસો મારી પાસે પણ ખુદા જેવો. - રશીદ મીર
Read Original Article →