મેંદી રંગ લાગ્યો:માળવેથી પોઠયું હાલિયું રે, વણજારા વાલમ લોલ
માળવેથી પોઠયું હાલિયું રે, વણજારા વાલમ લોલ,
હાલિયું ગુજરાત દેશમાં રે, ટાંડાના નાયક લોલ.
તારે રે’વા મેડી માળિયાં રે, વણજારા વાલમ લોલ,
મારે રે’વા છાજલ ઝૂંપડી રે, ટાંડાના નાયક લોલ.
તારે ખાવા ઘઉં બાજરો રે, વણજારા વાલમ લોલ,
મારે ખાવા ખોરી જાર છે રે, ટાંડાના નાયક લોલ.
તારી ગાંઠે છે નાણલું રે, વણજારા વાલમ લોલ,
અમને નિર્ધન નો’તાં રાખવાં રે, ટાંડાના નાયક લોલ.
સૌ હાલ્યા પરદેશમાં રે, વણજારા વાલમ લોલ,
અમને મેલ્યાં એકલાં રે, ટાંડાના નાયક લોલ.
આ મણિયારો ઢબનું લોકગીત છે એટલે કે ખૂબ જ વિલંબિત હીંચ જેવો તાલ. આવા મણિયારા આપણે ત્યાં ઘણા ગવાય છે, તાલ સરખો પણ શબ્દોમાં ફરક હોય. આવો જ, સરખો જ લાગે એવો એક મણિયારો આ રહ્યો:
તારા દેશમાં આંબા આંબલી રે વણજારા વાલમ લોલ,
મારા દેશમાં ધોળી ધ્રાખ છે નાનકડા નાયક લોલ.
તારે રે’વા મંદર માળિયાં રે વણજારા વાલમ લોલ,
મારે રે’વા છાજલ ઝૂંપડું રે નાનકડા નાયક લોલ.
બંને મણિયારાનાં મુખડાં અલગ છે પણ બધા અંતરા મોટેભાગે સરખા જ છે પણ અહીં ‘મેડી માળિયાં’ છે તો ત્યાં ‘મંદર માળિયાં’ છે, અહીં ‘ટાંડા’ના નાયક છે તો ત્યાં ‘નાનકડા નાયક’ ગવાયું છે. સંભવ છે કે બાળલગ્નના યુગમાં એ લોકગીતની નાયિકાનો નાયક બાળક હોય!
ઊંટ, બળદ, ગધેડાં જેવાં પશુઓ પર અનાજ કે અન્ય જણસની ગુણીઓ નાખીને એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જતા વણજારાઓ પોતાની પેદલ મુસાફરી દરમિયાન કંટાળો ન આવે, થાક વિસરાઈ જાય એ માટે કશુંક ગાયા કરતા હોય એ સ્વાભાવિક રીતે જ મણિયારો પ્રકારનાં લોકગીતો હોય કેમ કે પશુઓ પર ભાર મૂકેલો હોય ને વણજારાઓનો સમૂહ એની સાથે ચાલતો હોય એટલે ગીતનો લય વિલંબિત જ રહે. વણજારાઓ ચાહે કચ્છના કે રાજસ્થાનના રણમાંથી પસાર થતા હોય કે માળવાથી પોઠયું ભરીને ગુજરાત આવતા હોય.
‘માળવેથી પોઠયું હાલિયું રે વણજારા વાલમ લોલ...’ મસ્ત મણિયારો છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશને જોડતો અમુક ભૂભાગ ‘માળવા’ તરીકે ઓળખાય છે, ત્યાંથી વણજારાઓનો સમૂહ ‘પોઠ’ મૂકીને ગુજરાત તરફ રવાના થયો છે. પણ ‘ટાંડાના નાયક’ને સંબોધીને એમનું પ્રિયપાત્ર સંભવિત વિરહથી ગ્લાનિ અનુભવે છે ને કહે છે કે તારે તો રહેવા માટે મેડી-માળિયાં પણ હું અહીં ઘાસની ઝૂંપડીમાં વસું છું. તને તો ઘઉં-બાજરો ખાવા મળે પણ મારે તો ખોરી જુવારથી પેટ ભરવાનું છે. તારી પાસે નાણું છે ને હું નિર્ધન છું, આ બધી સ્થિતિ તો હજુ સહ્ય છે પણ તમે સૌ પરદેશ ચાલ્યા ને હું અહીં એકલી ઝૂરતી રહું એ મારા માટે અસહ્ય છે.
ગુજરાતી લોકગીતોનું ‘માળવા કનેક્શન’ નવું નથી. ‘મેંદી તે વાવી માળવે’, ‘માળવેથી પોઠયું હલકી સાહેબજી’ – જેવાં કેટલાંય લોકગીતોમાં માળવાનો ઉલ્લેખ આવે છે. 1 મે 1960થી ગુજરાત ભલે સ્વતંત્ર રાજ્ય છે, અગાઉ મુંબઈ સાથે જોડાયેલું હતું પણ ગુજરાત પહેલેથી જ સમૃદ્ધ ગણાતું હોઈને લોકગીતોમાં ‘ગુજરાત દેશ’ જેવો દરજ્જો ભોગવી રહ્યું છે!
મણિયારો ગાવો ઘણો કઠિન છે. એવું મનાય છે કે જે લોકગાયક-લોકગાયિકા મણિયારો વિનાવિઘ્ને ગાઈ શકે એનો તાલ એકદમ પાક્કો હોય છે કારણ કે અતિ વિલંબિત તાલને લીધે બતાલ થઈ જવાની પૂરી શક્યતા રહે છે. વળી અનુભવી વાદક જ સાચો મણિયારો વગાડી શકે, એની પણ આમાં આકરી કસોટી થાય છે.
Read Original Article →