23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ:એક વર્ષમાં ભારતે 1 લાખ કરોડનાં પુસ્તકો ખરીદ્યાં

Magazine4/22/2026, 12:35:00 AM
23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ:એક વર્ષમાં ભારતે 1 લાખ કરોડનાં પુસ્તકો ખરીદ્યાં
‘હ વે લોકો વાંચતા નથી, પુસ્તકો વેચાતાં નથી, જ્યારે જુઓ ત્યારે મોબાઈલમાં જ ચોંટ્યાં હોય છે.’ આવી ફરિયાદ સૌ કોઈ પાસેથી, ગમે ત્યારે સાંભળવા મળતી હોય છે. એમાં કેટલું તથ્ય છે એ તપાસનો વિષય છે. કેમ કે ઘણી વાર પુસ્તક ખરીદ-વેચાણ-વાંચન સાથે કંઈ લેવા-દેવા ન હોય એવાં લોકો પણ માત્ર બધાં કહે છે એટલે કહી દેતાં હોય છે કે પુસ્તકો પહેલાં જેવાં વેચાતાં કે વંચાતાં નથી. આંકડા જોકે આ માન્યતાને જરાય સમર્થન આપતા નથી, ઉલટાની ખોટી પાડે છે. 2025ના વર્ષમાં સમગ્ર વિશ્વનું પુસ્તક વેચાણ માર્કેટ 150 અબજ ડૉલરના આંકડે પહોંચ્યું હતું. એમાં છપાયેલાં પુસ્તકો એટલે કે હાર્ડ કોપી, ઈ-બુક અને ઓડિયો બુક એ બધાં આવી જાય છે. પરંતુ ઈ-બુક, ઓડિયો બુક વગેરેનો ફાળો બહુ મોટો નથી. કેમ કે વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં સવાસો અબજ ડૉલર જેટલી રકમનાં પુસ્તકો વેચાયાં છે. આ પુસ્તકોમાં શાળાનાં પાઠ્યપુસ્તકોનો સમાવેશ નથી થતો, નહીંતર આંકડો ક્યાંય મોટો થાય. લોકો પોતાનાં વાંચન માટે ખરીદે એવાં પુસ્તકો છે. ઈ-બુક, ઈન્ટરનેટ વગેરેને કારણે થોડો વખત છપાયેલાં પુસ્તકોનાં વેચાણને અસર થઈ હતી, પણ હવે છપાયેલાં પુસ્તકો ફરીથી મેદાનમાં આવી ગયાં છે. ભારતમાં અને એમાંય ખાસ ગુજરાતમાં તો કોઈને ઈ-બુકમાં એવો ખાસ રસ પડતો જ નથી. પ્રકાશક નવભારત સાહિત્ય મંદિરના સંચાલક રોનક શાહ જણાવે છે, ‘ગમે તેવો ભવ્ય પુસ્તક મેળો હોય, સ્ટોલ તો હાર્ડ કોપીના જ લાગે છે અને વાચકો-ખરીદદારો પણ ત્યાં જ આવે છે. પ્રકાશક તરીકે મને વર્ષે માંડ એકાદ વ્યક્તિ ઈ-બુક અંગે પૂછે છે. બાકી છપાયેલાં પુસ્તકો પહેલાંની જેમ જ વેચાય છે.' ભારતની વાત કરીએ તો ઈન્ડિયન બુક્સ માર્કેટ સાઇઝ એન્ડ આઉટલુક રિપોર્ટ મુજબ 2025માં ભારતમાં લગભગ 1 લાખ કરોડનાં પુસ્તકો છપાયાં-વેચાયાં છે. ભારત દુનિયાના સૌથી ઝડપતા પુસ્તક માર્કેટમાં સ્થાન ધરાવે છે. પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં સુધારો એક સમયે માત્ર છપાયેલાં પુસ્તકો જ ઉપલબ્ધ થતાં હતાં, પણ હવે પ્રિન્ટિંગ બુક સુધરી છે. પ્રિન્ટ ઓન ડિમાન્ડની સુવિધાને કારણે પુસ્તક છાપવામાં મહિનાઓનો સમય લાગતો હતો એ દિવસોનો થઈ ગયો છે. કોઈ ખરીદદાર પુસ્તકનો ઓર્ડર આપે તો ખલાસ હોવા છતાં નવું છાપીને બે-ચાર દિવસમાં અને કેટલાક કિસ્સામાં તો અમુક કલાકમાં પહોંચતું કરી દેવાય છે. બીજી તરફ સેલ્ફ પબ્લિશિંગની સુવિધા પણ વિકસી છે. પુસ્તક પ્રકાશનમાં મુશ્કેલી અનુભવતા ઘણા લેખકો સ્વયં પ્રકાશનનો વિકલ્પ અપનાવે છે. એમેઝોન તો તેની વેબસાઈટ પર કોઈપણને પુસ્તક પ્રગટ કરવાની વિનામૂલ્યે સુવિધા આપે જ છે. ઈ-બુક પાછળ, ઓડિયો બુક આગળ ઈ-બુકની સુવિધા આવી ત્યારે એ કન્સેપ્ટ ખાસ્સો લોકપ્રિય થયો હતો. હવે તેનું સ્થાન ઓડિયો બુકે લઈ લીધું છે. લોકોને ગાડી ચલાવતાં ચલાવતાં આખી બુક સાંભળવા મળે તો? મળે છે અને લોકો સાંભળે પણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે તો વળી ઓડિયો બુક ક્રિએટ કરવાનું કામ સહેલું થયું છે. માટે ઈ-બુક કરતાં ઓડિયો બુકની લોકપ્રિયતા વધી રહી છે. મોડર્ન માર્કેટિંગ પુસ્તકો આવે, છપાય અને કબાટમાં પડ્યાં રહે એવો યુગ રહ્યો નથી. વિવિધ સાહિત્યોત્સવો, પુસ્તકમેળાઓ, પુસ્તક પરિચયના કાર્યક્રમો, સાહિત્ય ચર્ચાઓ વગેરેમાં આવનારાં, આવેલાં પુસ્તકોની ચર્ચા થાય છે. માટે તેનો સારો એવો પ્રસાર થાય છે. બીજી તરફ પુસ્તકનું કવર લૉન્ચ કરવું, પુસ્તકનું ભવ્ય સમારોહ દ્વારા લૉન્ચિંગ કરવું, પુસ્તકના વીડિયો, સોશિયલ મીડિયા પોસ્ટર બનાવી તેને વધુ લોકો સુધી પહોંચાડવું... વગેરે નવા યુગના મોડર્ન માર્કેટિંગ ટૂલ્સ છે. પુસ્તક તેનાથી પહોંચવું જોઈએ ત્યાં પહોંચી રહ્યું છે. મફત પીડીએફની (કુ)ટેવ ‘ફલાણાં પુસ્તકની પીડીએફ તમારી પાસે છે, તો આપો…’ આવું કહીને લેખક, પ્રકાશક, વિતરક... એમ સૌ કોઈની મહેનત પર પાણી ફેરવનારો એક મોટો વર્ગ માર્કેટમાં આવી ગયો છે. કોઈ પણ પીડીએફ મફતમાં મેળવવી, ન હોય તો પુસ્તક મેળવી પીડીએફ બનાવી મફતમાં ફરતી કરી દેવી અને એ રીતે કોપીરાઈટનો ભંગ કરવો એ આ વર્ગની આસુરી પ્રવૃત્તિ છે. એ કુટેવનું પરિણામ એ આવ્યું છે કે ઘણાં લોકોને એમ જ લાગે છે કે પીડીએફ તો મફત જ હોય અને એ માંગવામાં વળી શરમ શેની? ઘણાં પુસ્તકોના કોપી-રાઈટ ખતમ થયા હોય છે અને વળી ઘણી વાર એ આર્થિક હેતુ માટે નહીં પણ જ્ઞાન પ્રસાર-પ્રચાર માટે છપાયાં હોય. કેટલીક સંસ્થાઓ કે વ્યક્તિગત રીતે તેની પીડીએફ શેર થાય એમાં કોઈ વાંધો ન જ હોય. પરંતુ પુસ્તક આવ્યાંના અમુક દિવસમાં કે મહિનામાં જ તેની પીડીએફ ફરતી કરવી એ લેખક-પ્રકાશકના આર્થિક હિત ઉપરાંત સરસ્વતીનું પણ અપમાન છે. ડિજિટલ દુશ્મન નહીં દોસ્ત ડિજિટલાઈઝેશને કારણે પુસ્તકોનું વેચાણ ઘટ્યું હતું, પણ હવે તેના જ કારણે વધી રહ્યું છે. કેમ કે લોકોને અત્યાર સુધી જે પુસ્તકો આસાનીથી મળતાં ન હતાં એ ઓનલાઈન મળતાં થઈ ગયાં છે. એટલું જ નહીં, એમઝોન જેવી સાઈટ પરથી કોઈ વ્યક્તિ ઈતિહાસનું એક પુસ્તક ખરીદે તો એ વેબસાઈટ તેને બીજાં પાંચ-સાત પુસ્તકો સજેસ્ટ કરે. તેના કારણે વાચક પુસ્તક સુધી અને પુસ્તક વાચક સુધી આસાનીથી પહોંચવા લાગ્યાં છે. ઓનલાઈન વેચાણના ટ્રેન્ડથી ગુજરાત પણ બાકાત નથી. ભાવનગર જેવા સંસ્કૃતિ સમૃદ્ધ નગરમાંથી વસીમભાઈ પુસ્તક સાથી નામે આખા ગુજરાતમાં ઓનલાઈન, કિફાયતી દરે અને જે માગો એ પુસ્તક પહોંચતું કરે છે. માટે કોઈ પણ દુકાન કે શૉરૂમ વગર એમનું પુસ્તક વેચાણ ધમધમાટ ચાલે છે. એ રીતે માત્ર વૉટ્સએપ પર ઑર્ડર લઈને પુસ્તકો પહોંચાડનારા એકાધિક વિક્રેતાઓ ગુજરાતમાં છે. વાંચનવીરો ક્યાં રહે છે? વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં આંકડા મુજબ સરેરાશ અમેરિકન વર્ષે 17 પુસ્તકો વાંચે છે. એટલે કે સૌથી વધુ વાંચનારી પ્રજા અમેરિકન છે. બીજી તરફ આઈસલેન્ડ એવો દેશ છે, જેની વસ્તીમાં 10 ટકા લેખકો છે. એટલે વસ્તીના પ્રમાણે સૌથી વધુ લેખકો ધરાવતા દેશ તરીકે ગિનીસમાં નામ નોંધાયું છે. ભારત દસમા ક્રમે 2025માં ભારતે વર્ષે 90,000 નવાં પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. એટલે પુસ્તકો પ્રગટ કરવાની બાબતમાં ભારત વિશ્વમાં દસમા ક્રમે છે. રસપ્રદ રીતે નવમા ક્રમે 1.02 લાખ પુસ્તકો સાથે ઈરાન હતું! વંચાય ઓછું તો પણ છપાય તો છે જ.
Read Original Article →