પ્રસંગકથા:માત્ર ‘ન મારવું’ એ જ અહિંસા નથી!
નટવર આહલપરા
ગાંધીજીએ ‘મંગળ પ્રભાત’માં અહિંસાનું દર્શન કરાવ્યું છે તેને પ્રથમ પ્રસ્તુત કરું છું. આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચાર માત્ર હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે, દ્વેષ હિંસા છે. કોઈનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઈએ છે તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.
પણ આપણે ખાઈએ છીએ તે જગતને જોઈએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે. તે કોચવાય છે, એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ? તોયે આરો નથી. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. હરિશ્ચંદ્ર, પ્રહલાદ, ઈમામ હુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દૃષ્ટાંતો વિચારી જવા જોઈએ.
બૃહદ ગુજરાતી કોશમાં અહિંસાનો અર્થ આ રીતે સમજાવ્યો છે. (હિંસા) સ્ત્રીલિંગ. હિંસાનો અભાવ પ્રાણીઓનો વધ ન કરવો એ. મન, વાણી, કર્મથી પણ કોઈની હિંસા ન કરવાની પ્રક્રિયા.
તમે સંહારથી ત્રાસ્યા, જગતની એક આશ છો,
અધૂરી યાત્રા અમારી, આપ અમારી પાસ છો.
અહિંસાનો સરવાળો એટલે ગાંધીજી. જે યુગમાં આપણે રહેવા માગતા હોઈએ એ જ આપણો યુગ છે.
‘un to this last’ જ્હોન રસ્કિનનો એક વિચાર ‘સર્વોદય’ જેને આ યુગમાં ભગવાન મહાવીરે તો આત્મસૂઝ સાથે જ કરેલો. હિંદુસ્તાન બુદ્ધ, મહાવીર અને ગાંધીનો દેશ છે. જ્યાંથી સૌપ્રથમ દુનિયાને અહિંસાનો દીપ મળ્યો. આ દેશ એ જ છે, જે દેશમાં સમ્રાટ અશોકના હૃદયમાં હિંસાથી અહિંસાના પરિવર્તનની એક પ્રક્રિયા મળી. એ સમાજને આજે આપણે આપણા મહાવીર, બુદ્ધ, ગાંધી અને અશોકના પુનિત પગલે પવિત્ર કરી અહિંસક સમાજ રચ્યો છે. એટલે જ હિંસાથી નહીં રાષ્ટ્રને અને વિશ્વને અહિંસાની મંઝિલ તરફ લઇ જવાના આપણા પ્રયત્નો રહ્યા છે.
અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ, તેમાં ઉલટી કઈ અને સૂલટી કઈ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ.
અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે; ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય. તેથી જ અહિંસા જિજ્ઞાસુને જડી.
હિંસા અટકાવનાર મહાપુરુષોને જગતે શું બદલો આપ્યો. મનસુરને ફાંસી, ઈસુને શૂળી, ગાંધીને ગોળી, સોક્રેટિસને ઝેર અને કેનેડીને કારતુસ આપનાર હિંસક સમાજ. પણ આશા રાખીએ કે સાંપ્રત સમયમાં અહિંસાના સોનેરી માર્ગ ઉપર વિશ્વ અવશ્ય પ્રસ્થાન કરશે.
Read Original Article →