આજ-કાલ:તાનાશાહી જરૂરી તો લોકશાહી માત્ર ભ્રમ?
તા જેતરમાં તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની રાજકીય ઘટમાળ અને સત્તા પરિવર્તન વિચારતા કરી મૂકનારાં હતાં. સુપરસ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખર અને સુવેંદુ અધિકારીના સત્તારૂઢ થવાના અનેક રાજકીય, સામાજિક, લોકતાંત્રિક અને સાંસ્કૃતિક અર્થઘટન નીકળી શકે. આ બધું સમજવાનું આપણા જેવા આમ આદમીનું ગજુ નહીં.
જોકે, આ સમયે રાજકારણ આધારિત સારી નવલકથા કે ફિલ્મો મગજમાં વિચાર-તણખો પ્રજ્વલિત કરી શકે. કમનસીબે ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓ આ બાબતે ઝાઝું ઓફર કરતી નથી. આ ઉલ્લેખ સાથે શશી કપૂરની ‘ન્યૂ દિલ્હી ટાઈમ્સ’ સૌ પ્રથમ નજર સામે આવે. વેબ સીરિઝ ‘મહારાની’ ખરી, પણ એ નખશીખ ફિલ્મી અને મસાલેદાર મનોરંજન છે.
વિશ્વ સિનેમામાં રસ ધરાવનારાઓને પોલિશ દિગ્દર્શક આન્દ્રે વાજદા (Andrzej Wajda)ની ત્રણ ફિલ્મ યાદ આવે. પહેલી 1983ની ‘દાન્તો’ (કે ડાન્ટોન: Danton, ફ્રેન્ચ ઉચ્ચાર ડૉનટોન) છે જે એક ઐતિહાસિક અને રાજકીય ફિલ્મ છે. આની શરૂઆત ફ્રેન્ચ ક્રાંતિની અત્યંત ઊથલપાથલ ભરેલી 1794ની પેરિસની ઠંડી વસંતઋતુથી થાય છે, જ્યારે ‘આતંકનું શાસન’ પૂરજોશમાં હતું. શહેરમાં પ્રવેશતી એક-એક ગાડીની તપાસ... માંડ મળતી બ્રેડ ખરીદવા માટે લાંબી લાઈનમાં વરસાદમાં ઊભેલા નાગરિકોનો બડબડાટ... ફ્લેટમાં બીમાર પડેલા નેતા રોબેસ્પિયર રસ્તા પર દાન્તોને જુએ... ગામડેથી પાછા આવેલા દાન્તોને ભૂખ્યાજનો હીરો માને છે.
આ ફિલ્મમાં ફ્રાંસના બે વિખ્યાત ક્રાંતિકારીઓ જ્યોર્જિયસ દાન્તો અને મેક્સિમિલિએન રોબેસ્પિયરનો રાજકીય અને વૈચારિક સંઘર્ષ કેન્દ્રસ્થાને છે. દાન્તોની ભૂમિકામાં ફ્રેન્ચ સુપર સ્ટાર ગેરાર્ડ ડેપાર્ડિયુ હતા, જે ફ્રાંસના સત્યજીત રે સાથે મનમોહન દેસાઈની ફિલ્મોમાં કામ કરતા હોય તેવા લોકપ્રિય હતા.
રોબેસ્પિયરની આગેવાની હેઠળની ‘જન સલામતી સમિતિ’ (કમિટી ઓફ પબ્લિક સેફ્ટી) હજારોને દેશદ્રોહના આરોપમાં મૃત્યુદંડ આપી રહી હતી. પહેલેથી જ ક્રાંતિના મુખ્ય નેતાઓમાંનો એક દાન્તો આ હિંસા અને આતંકનો વિરોધ કરે છે. તે જનતાને શાંતિ અને માનવતા તરફ પાછા ફરવા અપીલ કરતો હતો. બીજી તરફ રોબેસ્પિયર માનતો કે ક્રાંતિને બચાવવા માટે કડક આતંક જરૂરી છે.
આ બંનેનો સંઘર્ષ ધીમે ધીમે વ્યક્તિગત, રાજકીય અને નૈતિક યુદ્ધમાં ફેરવાય છે. અશાંતિ અને ભયના માહોલમાં દાન્તો પર દેશદ્રોહનો કેસ ચલાવાય છે. આ ફિલ્મમાં દાન્તોના જીવનનાં અંતિમ અઠવાડિયાં દર્શાવાયાં છે. ફાંસી પહેલાં દાન્તો હતાશ છે: મોતને લીધે નહીં, પણ પોતે લોકો માટે નિષ્ફળ ગયો એ માટે. દાન્તોને મૌન ભીડ વચ્ચે લઈ જઈને ગિલોટિનથી મૃત્યુદંડ અપાય છે. પોતાના આ મિત્ર અને ક્રાંતિકારી સાથી દાન્તોના મોતથી રોબેસ્પિયર તણાવ-આઘાતમાં સરીને વિચારે છે કે જો તાનાશાહી જરૂરી હોય તો શું લોકશાહી માત્ર એક ભ્રમ છે?
ક્રાંતિ અને સત્તાનો દુરુપયોગ, સ્વતંત્રતા સામે રાજકીય આતંક, આદર્શવાદ અને માનવતા વચ્ચેનો ટકરાવ, જનતાના નામે થતી હિંસા, ન્યાય અને રાજકીય પ્રચાર જેવા મુદ્દાઓને સ્પર્શતી આ ફિલ્મ માત્ર ફ્રેન્ચ ક્રાંતિ વિશે નથી. અમુક વિવેચકોના મત મુજબ ‘દાન્તો’ તે સમયના પોલેન્ડની રાજકીય પરિસ્થિતિ અને સામ્યવાદી શાસન પર પણ એક પ્રતીકાત્મક ટિપ્પણી હતી. સર્જકે ઐતિહાસિક ઘટનાનો ઉપયોગ સમકાલીન રાજકીય દમનને દર્શાવવા કર્યો હતો. તે બતાવે છે કે ક્રાંતિ ઘણી વખત પોતાના જ નેતાઓને ગળી જાય છે. વિશ્વ સિનેમાની શ્રેષ્ઠ રાજકીય ફિલ્મોમાં સ્થાન પામતી ‘દાન્તો’ પૂછે છે કે આદર્શો માટેની લડાઈ ક્યારે સત્તા અને આતંકમાં બદલાઈ જાય છે?
આન્દ્રે વાજદાની 1977ની પોલિશ ફિલ્મ ‘મેન ઓફ માર્બલ’ એ સમયના સામ્યવાદી શાસન, રાજ્ય પ્રચાર, અને ‘હીરો’ બનાવવાની રાજકીય પ્રક્રિયા પર તીખી ટીકા હતી. એક યુવાન ફિલ્મ વિદ્યાર્થી, રાજ્ય અર્થાત સરકાર દ્વારા મહાન મજૂર નાયક તરીકે ઊભા કરાયેલા ઈંટ કામદારના જીવન પર ડોક્યુમેન્ટરી બનાવવાનો પ્રયાસ કરે છે. એમાં બહાર આવે છે કે સરકાર અને મીડિયાએ બનાવેલી નાયકની ઈમેજ પાછળ અનેક રાજકીય સત્ય અને દમન છુપાયેલા હતા.
શાસકો પોતાના સ્વાર્થ ખાતર સામાન્ય માણસને લોકનાયક ચીતરી શકે છે અને ઉપયોગ પતી ગયા બાદ તેને ગાયબ પણ કરી શકે છે. વાજદાએ જાણે આ ફિલ્મના અનુસંધાનરૂપે જ ‘મેન ઓફ આયર્ન’ બનાવી હતી જે પોલેન્ડના સોલિડેરિટી મજૂર આંદોલન સાથે જોડાયેલી રાજકીય ઘટનાનું પ્રતિબિંબ હતી. મહાન નેતા લેચ વાલેસા પણ તેમાં દેખાતા હોવાથી ફિલ્મને અદભુત વાસ્તવિકતા સાંપડતી હતી.
આન્દ્રે વાજદાની સર્જનાત્મક સફરની આવી ઘણી અફલાતૂન કૃતિઓ વિશે વાત થઈ શકે, કહો કે કરવી જ જોઈએ. ઓનલાઈન-ઓફલાઈન
સિનેમાનું કામ લોકોને વિચારતા કરવાનું છે : - આન્દ્રેઈ તાર્કોવ્સ્કી (મહાન રશિયન ફિલ્મ સર્જક)
Read Original Article →