આંતરમનના આટાપાટા:ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
ડૉ. જય નારાયણ વ્યાસ એ દિવસની વાત છે. સૂરજ અને અંધારી ગુફા વચ્ચે સંવાદ થયો. ગુફાની અતળ ઊંડાઈઓમાં પ્રકાશ ક્યારેય પહોંચ્યો ન હતો. પ્રકાશ શું કહેવાય એનું રજભાર જ્ઞાન પણ ગુફાને નહોતું. બીજી બાજુ સમગ્ર બ્રહ્માંડને ઉજાળતો તેજપુંજ એવો સૂરજ, જે અગ્નિથી પણ અનેકગણો તેજસ્વી અને લાવારસથી પણ અનેકગણો ધગધગતો હતો, તે બે વસ્તુ નહોતો જાણતો. પહેલું, ઘોર અંધારું શું કહેવાય તે ખબર ન હતી અને બીજું, સતત ધગધગતો રહેતો ઊર્જાનો આ અમાપ ગોળો ‘ઊર્જાવિહીન અવસ્થા’ એટલે કે ઠંડક શું કહેવાય તે જાણતો નહોતો.
હવે સૂરજ અને ગુફા બંને વચ્ચે સંવાદ થાય તો પણ કેવી રીતે? કારણ કે, બંનેને એકબીજાના સંદર્ભે કશું જ જ્ઞાન ન હતું. એટલે બંનેએ નક્કી કર્યું કે પહેલાં તો આપણે એકબીજાથી પરિચિત થઈએ. ગુફા એમાં સંમત થઈ. સૂરજનું આમંત્રણ સ્વીકારીને એ જ્યારે સૂરજની મહેમાન બની ત્યારે એને થયેલો આનંદ અવર્ણનીય હતો. આટલો બધો પ્રકાશ, ખુલ્લું આકાશ અને એમાં વિખરાઈને પડેલા તારલાઓ અને આકાશગંગા - આ બધું ગુફા માટે તો તદ્દન નવું હતું. એણે નીચે નજર કરી તો પૃથ્વીનું અવર્ણનીય મનોહર દ્રશ્ય દેખાયું: ઘૂઘવતા સમુદ્ર, ઉત્તુંગ પહાડો, અફાટ રણપ્રદેશ, બરફની ચાદર ઓઢીને સૂઈ ગયો હોય તેવો ભૂ-ભાગ, લીલીછમ વનરાજી, સરોવરો અને નદીઓ. પોતે જેનો ભાગ હતી તે પૃથ્વી, આટલી બધી વૈવિધ્યપૂર્ણ અને સુંદર હશે તેનો રજમાત્ર ખ્યાલ અંધારું ઓઢીને બેઠેલી પેલી ગુફાને નહોતો.
અત્યંત તેજસ્વી પ્રકાશપુંજ અને બ્રહ્માંડની સૃષ્ટિ જોઈને ગુફા કેમેય કરી ધરાતી ન હતી. ખૂબ મજા આવી ગઈ એને. હવે એનો વારો હતો સૂરજને નિમંત્રવાનો. અતળ ઊંડાં અંધારાં ઓઢીને બેઠેલી ગુફાના મનમાં મૂંઝવણ હતી. મારા હૃદયમાં તો કાળુંધબ્બ અંધકાર ભરાયેલું પડ્યું છે. સૂરજને હું શું બતાવી શકીશ?
સૂરજ તો એના નિમંત્રણને માન આપીને આવ્યો અને ગુફાના દોર્યા એના અતળ અંધારામાં પ્રવેશી ગયો. ગુફા માટે હવે નવાઈ પામવાનો વારો હતો, કારણ કે સૂરજને એ જ્યાં જ્યાં લઈ ગઈ, તે અગોચર અને અંધારિયા ખૂણા પ્રકાશથી ઝળહળી ઊઠ્યા! ગુફાને પોતાને પણ ખ્યાલ ન હતો કે તેના અંધકારમાં શું ભરાયેલું પડેલું છે. આજે પહેલી વખત એ પોતાની જાત સાથે રૂબરૂ થઈ રહી હતી. આજે તેને સમજાયું કે અંધકારને પણ એનું સૌંદર્ય હોય છે અને એનો અંધારિયો ખૂણો પણ તેજપુંજનો સ્પર્શ થતાં જાગી ઊઠે છે. ગુફા માટે આ વિશેષ અનુભૂતિ હતી.
એનું આખું અસ્તિત્વ આજે પેલા તેજપુંજના સ્પર્શથી જાગૃત થઈ ઊઠ્યું હતું. એણે સૂરજને પૂછ્યું, ‘બોલ, કાયમી અંધારું ઓઢીને બેઠેલું મારું અસ્તિત્વ તને કેવું લાગ્યું?’ સૂરજે સ્મિત સાથે જવાબ આપ્યો, ‘મને તો ક્યાંય અંધારું દેખાયું જ નથી! તારો ખૂણેખૂણો તો તેજોમય અને ઝળહળતો છે.’ આવું એટલા માટે બન્યું કે સૂરજ જ્યાં જ્યાં ગયો તે ગુફાનો અંધારિયો ખૂણો તેજપુંજથી ઝળહળી ઊઠ્યો અને એટલે સૂરજને તો કશો ફરક લાગ્યો નહીં.
સૂરજની હાજરીમાં અંધકારનું અસ્તિત્વ જ શક્ય નથી. એક પુસ્તકમાં સુંદર વાત કહેવામાં આવી છે: ‘જે લોકો જ્ઞાનના તેજથી પ્રકાશિત છે તેમને ક્યારેય અંધકારમાં ધકેલી શકાતા નથી. પોતાના સ્વબળે રચેલી તેજોમય સૃષ્ટિનું સ્વર્ગ હંમેશાં એમના ખભા ઉપર બેસીને મુસાફરી કરે છે.’
આ વાર્તા આપણને જીવનનો ગહન પાઠ શીખવે છે. જો આપણે મનમાં નકારાત્મકતા, ભય અને શંકાના અંધકારને સંઘરી રાખશું, તો આપણું જીવન ગુફા જેવું જડ બની જશે. પરંતુ, જો આપણે સૂરજની જેમ હકારાત્મકતા, આશા અને જ્ઞાનના તેજને અપનાવીશું, તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ અંધકાર ટકી શકશે નહીં. આપણા જીવનનાં અતળ ઊંડાણને જ્ઞાનરૂપી સૂરજ અને તે થકી તેજપુંજનાં દર્શન કરાવીએ તો જીવન ઝળહળી ઊઠે ને? ત્યારે ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃતસમીપે નાથ લઈ જા’ જીવંત બની જાય છે.
આ સંવાદ માત્ર સૂરજ અને ગુફાનો નથી, પણ આપણા આત્મા અને પરમાત્માનો છે. આપણું મન ઘણીવાર પૂર્વગ્રહો અને નકારાત્મકતાની ગુફામાં કેદ થઈ જાય છે, જ્યાં આપણને આપણી પોતાની શક્તિઓનો અંદાજ હોતો નથી. પરંતુ જ્યારે જ્ઞાનરૂપી સૂરજ આપણા જીવનમાં પ્રવેશે છે, ત્યારે વર્ષો જૂની જડતા અને અજ્ઞાનતાના જાળાં એક ક્ષણમાં સાફ થઈ જાય છે.
જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો અંધકાર ઘેરો બને, ત્યારે સમજવું કે હવે આત્મજ્ઞાનના સૂરજને નિમંત્રવાનો સમય પાકી ગયો છે. બહારની દુનિયામાં ગમે તેટલો અંધકાર હોય, પણ જો ભીતર એક નાનો દીવો પ્રગટાવેલો હશે, તો આખું બ્રહ્માંડ તમને માર્ગ બતાવવા તૈયાર થઈ જશે.
Read Original Article →