પ્રસંગકથા:માનભાઈ: સેવાયજ્ઞમાં સદા અગ્રેસર

Magazine4/22/2026, 12:50:00 AM
પ્રસંગકથા:માનભાઈ: સેવાયજ્ઞમાં સદા અગ્રેસર
નટવર આહલપરા નિરંતર પ્રતિકારભર્યો પુરુષાર્થ કરી, પ્રભુપ્રીત્યર્થે બીજા માટે કંઈક કરી છૂટીએ. માનભાઈ ભટ્ટના પ્રેરક શબ્દોની આ સરવાણી આજે પણ 88 વર્ષે ભાવનગર શિશુવિહારમાં વહી રહી છે. અંતિમ શ્વાસ સુધી લોકોપયોગી સેવાકીય યજ્ઞકાર્યોમાં અવિરતપણે જોડાયેલા રહ્યા શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટ. તેમના વિશે કહેવાય છે કે ‘આવા મૂલ્યનિષ્ઠ, ગાંધીવાદી માણસ આ સમયમાં હવે મળવા મુશ્કેલ છે.’ શિશુવિહાર એવી અપવાદરૂપ સંસ્થા બની છે કે જ્યાં કાર્યકરોના અનુભવો અને કાર્યક્ષમતા વધુ અસરકારક બની રહ્યા છે. માનભાઈની તપોભૂમિમાં સ્વરાજ્યની શાળા તરીકે અવૈધિક તાલીમ ઉપર 88 વર્ષ પહેલાં ભાર મૂકાયો તેને આજની નવી શિક્ષણ નીતિમાં પણ ‘સ્કિલ ટ્રેનિંગ’ તરીકે પ્રાધાન્ય મળ્યું છે. માનભાઈ પાસે કોઈ આશીર્વાદ માગે એટલે તેઓ કહેતા કે ‘આપે મારી પાસે આશીર્વાદ માગ્યા પણ એ મારો વ્યવસાય નથી ને મારી પ્રકૃતિ નથી. હું તો અજાચક બ્રાહ્મણ, કોઈના આશીર્વાદ ન માગું. આશીર્વાદથી હાથ-પગ અને હૈયું નિર્માલ્ય થાય. પુરુષાર્થ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરો. બાકી તો પરમ કૃપાળુની જ મારા પર અનેક દયા-કૃપા છે કે આપ સૌને ઓળખીને તેનો વાવણીયો બની શક્યો છું.’ માનભાઈનો બીજો પ્રસંગ ભાવનગરના જાણીતા શિલ્પી અને ચિત્રકાર સ્વ. દેવરાજભાઈ સૂત્રધાર સાથેનો છે. માનભાઈ કહેતા, ‘દેવરાજભાઈને હું આરાધ્યદેવ જ ગણું છું. વિશ્વકર્માના સાચા ભક્ત. મને રસ છે જીવતા-જાગતા દેવતામાં, તેણે પાર વિનાની નિર્જીવ વસ્તુઓમાં પ્રાણ પૂર્યા છે. હવે મૂળ વાત, રાજા-મહારાજા તેના હાથી-ઘોડાને શણગારે પણ હું તો ગધેડો તોય મને શણગારેલો.’ માનભાઈએ શિશુવિહારમાં લોકોપયોગી સેવા પ્રવૃત્તિનાં બીજ રોપ્યાં હતાં તે આજે વટવૃક્ષ બનીને મીઠાં ફળ આપી રહ્યાં છે. આ સેવાયજ્ઞને તેમના પુત્ર અને શિશુવિહાર સંસ્થાના મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટ, ઇન્દિરાબહેન ભટ્ટ, સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે ઉપરાંત શિશુવિહારની પૂરી ટીમ આજે સેવારત છે. તેમજ સ્વ. પ્રેમશંકર ભટ્ટ, સ્વ. ડૉ. નિર્મલભાઈ વકીલ તથા દિવંગતો પણ યાદ આવે જ. માનભાઈ ભટ્ટ સ્પષ્ટવક્તા હતા. તેઓ કહેતા, ‘હું તો આમ છેક લોઢાકટ એટલે કોઈ અભિપ્રાય ન આપી શકું. પણ સમજદાર માટે પ્રાણદાયક તો કહી શકાય એટલું સમજું છું.’ શિશુવિહાર સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક તથા સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવૃત્તિમાં પ્રા. તખ્તસિંહ પરમારે 1980થી શરૂ કરેલી બુધસભા આજે પણ ધબકી રહી છે. જાણીતા કવિ ડૉ. વિનોદ જોશીનું માર્ગદર્શન પણ કવિ અને લેખકોને મળતું રહે છે. ઈતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ શિક્ષક, મહિલા સેવક તથા સ્ત્રીશક્તિ સન્માન, વૃદ્ધમિલન, વાનપ્રસ્થ ક્લબ, 365 દિવસ કાર્યાલય પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી થાય છે. 1980થી આજપર્યંત બુધસભામાં 100થી વધુ ગૌરવવંત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા છે. પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિ અને આશીર્વચન પણ મળતાં રહે છે.
Read Original Article →