વસુંધરાનાં વહાલાં દવલાં:બેંગાલ ફ્લોરિકન : ઘાસિયાં મેદાનના નર્તક પર જીવનું જોખમ!
કુદરતની અજાયબીઓ અસીમ છે, પણ ક્યારેક એ અજાયબીઓ આપણી નજર સામેથી ઓજલ થવા લાગે ત્યારે હૃદયમાં એક શૂન્યાવકાશ સર્જાય છે. વાત કરીએ બેંગાલ ફ્લોરિકન નામના એક અદભુત પક્ષીની. જે સંકોચાતા ઘાસના મેદાનોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આખરી જંગ લડી રહ્યું છે. કોણ છે આ ઘાસનાં મેદાનોનો નર્તક?
બેંગાલ ફ્લોરિકન મુખ્યત્વે ભારત અને નેપાળનાં ગંગા-બ્રહ્મપુત્રાનાં કાંપવાળાં મેદાનોમાં જોવા મળે છે. અસમી ભાષામાં તેને ‘ઉલુ-મોરા’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનનકાળ દરમિયાન, નર ફ્લોરિકન હવામાં ઊંચા કૂદકા મારે છે અને પાંખો ફફડાવીને માદાને આકર્ષવા માટે એક વિશિષ્ટ નૃત્ય કરે છે. આ વર્તણૂકને વૈજ્ઞાનિક ભાષામાં ‘લેકિંગ’ કહેવામાં આવે છે. વૈશ્વિક વસ્તી માત્ર 1000, ભારતમાં પણ ભારે જોખમ
સમગ્ર વિશ્વમાં હવે માત્ર 1000 કરતાં પણ ઓછાં બેંગાલ ફ્લોરિકન પક્ષીઓ બચ્યાં છે. ભારતમાં આસામના કાઝીરંગા, માનસ અને ઓરાંગ નેશનલ પાર્ક તેમજ અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તે જોવા મળે છે. 350થી ઓછાં પક્ષીઓ આપણા દેશમાં બચ્યાં છે. ઘોરાડ અને ખડમોરના કુળનું આ પક્ષી આઈ.યુ.સી.એન. લિસ્ટ પ્રમાણે ગંભીર રીતે જોખમમાં મૂકાયેલી પ્રજાતિ જાહેર કરાઈ છે.
ભયસ્થાનોથી ડરી આવાસસ્થાનથી દૂર થતું પક્ષી
ઘાસિયાં મેદાનોને ઘણીવાર બંજર જમીન સમજીને ત્યાં ખેતીવાડી અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કરી દેવામાં આવે છે. નદીઓનાં વહેણ બદલાવાને કારણે અને જમીન પર અતિક્રમણ થવાથી પક્ષીઓને રહેવા અને માળો બાંધવા માટે જગ્યા મળતી નથી. બીજો મુદ્દો છે, એલિયન સ્પીસીઝ. જે મેદાનોમાં વિદેશી અને આક્રમક વનસ્પતિઓ ઊગી નીકળવાને કારણે કુદરતી ઘાસ લુપ્ત થઈ રહ્યું છે, જે ફ્લોરિકનનો મુખ્ય ખોરાક અને આશરો છે. આ ઉપરાંત, ખેતી માટે ઘાસનાં મેદાનોને સળગાવવા, પશુઓનું વધુ પડતું ચરાણ અને ગેરકાયદેસર શિકાર જેવી પ્રવૃત્તિઓએ આ પ્રજાતિને વિલુપ્તતાના આરે લાવી દીધી છે. ફ્લોરિકનને વહાલ કરનારો વર્ગ પણ છે
આસામના માનસ નેશનલ પાર્ક નજીક કોકિલાબારી એગ્રીકલ્ચર ફાર્મમાં સ્થાનિક સમુદાયો દ્વારા સંરક્ષણના પ્રયાસો થઈ રહ્યા છે. સ્થાનિક મહિલા મંડળો, શાળાનાં બાળકો અને ગ્રામીણ સંસ્થાઓએ પક્ષીઓનાં ઈંડાં ચોરવાની પ્રવૃત્તિઓ અટકાવી છે અને શિકાર પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. તેવી જ રીતે, અરુણાચલ પ્રદેશમાં ઈદુ મિશ્મી સમુદાયની સાંસ્કૃતિક માન્યતાઓ પક્ષીઓને બચાવવામાં મદદરૂપ થઈ રહી છે. તેઓ મોટાં પક્ષીઓને હાનિ પહોંચાડવાને અશુભ માને છે. બંગાળ ફ્લોરિકન આપણા પર્યાવરણના સ્વાસ્થ્યનું સૂચક છે. જો તે અદૃશ્ય થઈ જશે, તો તેનો અર્થ એ થશે કે આપણે એશિયાનાં સૌથી સમૃદ્ધ અને જૈવવૈવિધ્ય ધરાવતાં ઘાસનાં મેદાનો ગુમાવી દીધાં છે. નૃત્ય કરી માદાને આકર્ષિત કરે છે
નર અને માદા ફ્લોરિકન દેખાવમાં જુદાં પડે છે. નર પક્ષી કાળા રંગનું હોય છે અને તેની પાંખો સફેદ હોય છે, જ્યારે માદા કથ્થઈ રંગની અને કદમાં નર કરતાં થોડી મોટી હોય છે. નર પક્ષી માદાને આકર્ષવા માટે હવામાં ઊંચે કૂદીને ખાસ પ્રકારનું પ્રદર્શન કરે છે.
તેમનો પ્રજનન સમય સામાન્ય રીતે માર્ચથી ઓગસ્ટ વચ્ચે હોય છે. માદા જમીન પરના ઊંચા ઘાસમાં માળો બનાવે છે અને સામાન્ય રીતે 1થી 2 ઇંડાં મૂકે છે. ઇંડાંને સેવવાનો સમયગાળો આશરે 25થી 28 દિવસનો હોય છે. ઇંડાંમાંથી નીકળ્યાં બાદ બચ્ચાં ઝડપથી વૃદ્ધિ પામે છે. ‘સબ-એડલ્ટ’ એટલે કે કિશોર અવસ્થામાં તેઓ માદા જેવાં દેખાય છે. તે સંપૂર્ણ રીતે પુખ્ત થતાં અને ઉડતાં શીખતાં થોડા મહિનાઓ લે છે. આ પક્ષી ખૂબ જ શરમાળ પ્રકૃતિનું હોય છે અને તેનો મુખ્ય ખોરાક જીવડાં, અંકુર અને બીજ છે. આવાસના નાશને કારણે આજે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે.
Read Original Article →