વલસાડમાં પેટ્રોલ પંપ પર લોકોનું પેનિક બાઈંગ:વાહનોની લાઈનો લગતા પુરવઠા અધિકારીએ કહ્યું - પેટ્રોલ-ડીઝલનો જથ્થો અવિરત, લોકો વાહનમાં જરૂર કરતા વધારે ઈંધણ ન ભરાવે
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ છે. આ અફવાને કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે સાત દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં ભરાવી દીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઈંધણનો પુરવઠો ખોરવાઈ શકે છે. આ અફવા ઝડપથી પ્રસરતા વાહનચાલકો વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. ઘણા પંપો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકો ટાંકી ભરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી ડી.એસ. બારીયાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લામાં કુલ 146 પેટ્રોલ પંપ આવેલા છે. ગઈકાલે સાંજ સુધીમાં માત્ર 22 પંપો જ 'ડ્રાય' થયા હતા, જેમાં પણ રાત્રે સપ્લાય ફરીથી શરૂ થઈ ગયો હતો. અધિકારી બારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ અફવાઓમાં ન દોરાવું જોઈએ. કંપનીઓ તરફથી સતત પુરવઠો ચાલુ છે. ગઈકાલે સાત દિવસ જેટલો જથ્થો એક જ દિવસમાં વેચાઈ ગયો હોવાથી કામચલાઉ અછત જેવું લાગી રહ્યું છે, પરંતુ ખરેખર કોઈ તંગી નથી. પુરવઠા અધિકારીએ એ પણ સ્પષ્ટતા કરી કે આંતરરાષ્ટ્રીય બજાર અને સરકારી નીતિ મુજબ ઈંધણના ભાવમાં અંદાજે 3 રૂપિયાનો વધારો થયો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સ્ટોક ખલાસ થઈ જશે. તેમણે લોકોને પોતાની જરૂરિયાત મુજબ જ પેટ્રોલ ભરાવવા અપીલ કરી હતી, જેથી અન્ય લોકોને હાલાકી ન પડે. તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઈંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી છે. તેમ છતાં, હજુ પણ અનેક પંપો પર ભીડ જોવા મળી રહી છે, જેને નિયંત્રિત કરવા માટે પંપ સંચાલકો પણ પ્રયાસ કરી રહ્યા છે.
Read Original Article →