વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ:કેરીના પાકને મોટુ નુકસાન થયું નથી; બાગાયત વિભાગની સત્તાવાર પુષ્ટિ

Gujarat6/2/2026, 1:17:23 PM
વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ:કેરીના પાકને મોટુ નુકસાન થયું નથી; બાગાયત વિભાગની સત્તાવાર પુષ્ટિ
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને આંશિક અસર થઈ છે. જોકે, જિલ્લામાં ક્યાંય મોટા નુકસાનના કે ઝાડ પડવાના સમાચાર નથી. બાગાયત વિભાગ અને ખેડૂત સમાજ બંનેએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશરે 39 હજાર હેક્ટરથી વધુ જમીન પર આંબાનું વાવેતર થયેલું છે. સદનસીબે, તેમાંથી લગભગ 80 ટકા કેરીઓ ખેડૂતો દ્વારા ઉતારીને બજારમાં વેચી દેવામાં આવી છે. બાકી રહેલી 15 થી 20 ટકા કેરીઓ પર જ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. તેમણે ખેડૂતોને બાકી રહેલી કેરીની લણણી તાત્કાલિક પૂરી કરી બજાર વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે. ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યું કે, વહેલી સવારના વાવાઝોડાને કારણે પવનના લીધે કેટલીક કેરીઓ ખરી પડી છે. જોકે, જિલ્લામાં ક્યાંય મોટા ઝાડ પડવાની કે પતરાં ઉડવાની કોઈ ઘટના નોંધાઈ નથી. શાકભાજીના પાકને પણ કોઈ મોટું નુકસાન થયું નથી. આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બાગાયત વિભાગે ખેડૂતોને ખાસ સલાહ આપી છે. 15મી તારીખથી ચોમાસાના નિયમિત વરસાદની આગાહી હોવાથી, તે પહેલાં આંબાના ઝાડની જૂની ડાળીઓ દૂર કરવી. ઉપરાંત, ગોડ કરીને યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતર આપવું જેથી આગામી બે મહિનાની સુષુપ્ત અવસ્થા દરમિયાન આંબાને પૂરતું પોષણ મળી રહે અને સપ્ટેમ્બરમાં તે ફરીથી નવપલ્લવિત થઈ આગામી સીઝનમાં સારું ઉત્પાદન આપી શકે.
Read Original Article →