મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વલસાડમાં ઉજવણી:8 થી 21 જૂન દરમિયાન વિવિધ લોકજાગૃતિ કાર્યક્રમો યોજાશે
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વલસાડ જિલ્લામાં 8 થી 21 જૂન દરમિયાન વિવિધ લોકજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ અમલીકરણ માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના સફળ અમલીકરણ માટે વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોને જનજન સુધી પહોંચાડવાનો છે. અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલી બનેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે લોકોને માહિતગાર કરવા વિશેષ કાર્યક્રમો યોજાશે. પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત જિલ્લામાં વૃક્ષારોપણ અને તેના જતનના કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત, જિલ્લામાં સ્વચ્છતા અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓ દર્શાવતી પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો અને પ્રાકૃતિક ખેતી અંગેની કાર્યશાળાઓનું પણ આયોજન કરાશે. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ વિશેષ રીતે કરવામાં આવશે. 'પ્રગતિ યાત્રા' અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને મહત્વના સ્થળોની મુલાકાતનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કામાં સાંસદો, ધારાસભ્યો અને જિલ્લાના અગ્રણી નાગરિકોના જૂથો મુલાકાત લેશે. બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગોના લોકોને વિકાસકાર્યોની જાણકારી અપાશે. નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમાએ તમામ અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી.
Read Original Article →