વલસાડમાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી:5 વર્ષમાં 303 સંસ્થાને ₹1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો; ટેસ્ટિંગ વાનથી ગામડાં સુધી જાગૃતિ

Gujarat6/6/2026, 1:17:25 PM
વલસાડમાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી:5 વર્ષમાં 303 સંસ્થાને ₹1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો; ટેસ્ટિંગ વાનથી ગામડાં સુધી જાગૃતિ
વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન, 303 સંસ્થાઓને કુલ ₹1.02 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી પહોંચતો ખોરાક સુરક્ષિત, શુદ્ધ અને આરોગ્યપ્રદ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લામાં હાલમાં 16,062 ખાદ્ય વ્યવસાય સંસ્થાઓ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ધરાવે છે, જેના પર ફૂડ વિભાગ સતત નજર રાખી રહ્યું છે. વલસાડના ડેઝીગ્નેટેડ ઓફિસર આશિષ વળવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021થી મે-2026 સુધીમાં વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 2,565 નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 229 નમૂના નાપાસ થયા હતા, જ્યારે 2,336 નમૂના ગુણવત્તા પરીક્ષણમાં પાસ થયા હતા. નાપાસ થયેલા નમૂનાઓના કેસોમાં નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 301 કેસોમાં ₹96.82 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બે ગંભીર કેસોમાં કોર્ટ દ્વારા ₹6.10 લાખનો દંડ અને સંકળાયેલા સંચાલકોને ત્રણ મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા દૂધ, પનીર, મીઠાઈ, ઠંડા પીણાં સહિત વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન વિશેષ ડ્રાઈવ ચલાવી સેમ્પલ લેવામાં આવે છે અને તેની તપાસ માટે વડોદરા, રાજકોટ તથા ભુજ સ્થિત પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવે છે. જિલ્લા માટે એક મહત્વના સમાચાર એ છે કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી વલસાડ ખાતે શરૂ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ લેબ શરૂ થતાં ખાદ્ય નમૂનાઓની તપાસ વધુ ઝડપથી થઈ શકશે અને ફૂડ સેફ્ટી કામગીરી વધુ મજબૂત બનશે. તાજેતરના વર્ષોમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે લોકો વધુ જાગૃત બન્યા છે. કોઈપણ શંકાસ્પદ ઘટના સામે આવતાં જ ફૂડ વિભાગ તાત્કાલિક તપાસ શરૂ કરે છે. અધિકારીઓના મતે, સોશિયલ મીડિયા ફૂડ સેફ્ટી અમલમાં અસરકારક સાધન બની રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી-2022માં વલસાડને ફૂડ ટેસ્ટિંગ વાન ફાળવવામાં આવી હતી. આ વાન દ્વારા શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય હટવાડાઓમાં જઈ લોકોને ખાદ્ય સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. પેકેટ પરની માહિતી કેવી રીતે ચકાસવી, કઈ વસ્તુ ખરીદતી વખતે સાવચેતી રાખવી અને આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી કેવી રીતે કરવી તે અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે.
Read Original Article →