વલસાડમાં ભાજપના તમામ ઉમેદવારો મેદાનમાં, 5 બેઠકો બિનહરીફ:કોંગ્રેસ અને AAPની પીછેહઠ, ચૂંટણી પૂર્વે જ ભાજપને ફાયદો

Gujarat4/12/2026, 8:00:26 AM
વલસાડમાં ભાજપના તમામ ઉમેદવારો મેદાનમાં, 5 બેઠકો બિનહરીફ:કોંગ્રેસ અને AAPની પીછેહઠ, ચૂંટણી પૂર્વે જ ભાજપને ફાયદો
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ રાજકીય સમીકરણો સ્પષ્ટ બન્યા છે. ભાજપે જિલ્લાની તમામ 266 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખીને પોતાની મજબૂત પકડ દર્શાવી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પાછળ રહી ગઈ છે. ભાજપે જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, વાપી નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની કુલ 266 બેઠકો પર એક પણ બેઠક ખાલી છોડી નથી. બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસે વલસાડ તાલુકા પંચાયતમાં 6, ઉમરગામ તાલુકા પંચાયતમાં 5 અને ઉમરગામ નગરપાલિકામાં 2 મળી કુલ 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા નથી. આમ આદમી પાર્ટી (AAP) પણ વલસાડ જિલ્લામાં મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખી શકી છે. કુલ 266 બેઠકોમાંથી AAP માત્ર 106 બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી શકી છે. ખાસ કરીને વાપી નગરપાલિકાની 52 બેઠકોમાંથી AAPને માત્ર 8 ઉમેદવારો જ મળ્યા છે. ચૂંટણી પૂર્વે જ ભાજપનું ખાતું ખુલી ગયું છે. વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા અને ચકાસણી બાદ આ સ્પષ્ટ થયું છે. જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં કુલ 602 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વલસાડમાં 32 બેઠકો માટે 115 ઉમેદવારો, ઉમરગામમાં 30 બેઠકો માટે 124 ઉમેદવારો, ધરમપુરમાં 24 બેઠકો માટે 108 ઉમેદવારો, કપરાડામાં 22 બેઠકો માટે 85 ઉમેદવારો, પારડીમાં 22 બેઠકો માટે 84 ઉમેદવારો અને નાનાપોંઢામાં 20 બેઠકો માટે 86 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવતા તેમની સંગઠન શક્તિ મજબૂત દેખાઈ રહી છે. કોંગ્રેસ અને AAP દ્વારા કેટલીક બેઠકો પર ઉમેદવારો ન ઉભા રાખવાને કારણે ભાજપને ચૂંટણી પૂર્વે જ ફાયદો થયો છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે જોવું રહ્યું.
Read Original Article →