વલસાડમાં આંગણવાડી બહેનોને વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા વિરોધ:કામગીરી ન કરવા બદલ પાલિકાએ નોટિસ ફટકારતા મામલો ગરમાયો, ઉગ્ર રજૂઆત

Gujarat6/8/2026, 2:02:27 PM
વલસાડમાં આંગણવાડી બહેનોને વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા વિરોધ:કામગીરી ન કરવા બદલ પાલિકાએ નોટિસ ફટકારતા મામલો ગરમાયો, ઉગ્ર રજૂઆત
વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરોને વસ્તી ગણતરીની વધારાની કામગીરી સોંપવામાં આવતા ભારે નારાજગી જોવા મળી રહી છે. આ કામગીરી ન કરનાર આંગણવાડી બહેનોને વલસાડ નગરપાલિકા દ્વારા કારણ દર્શક (શો-કોઝ) નોટિસ પાઠવવામાં આવતા મામલો ગરમાયો છે. આ નોટિસના વિરોધમાં આંગણવાડી બહેનો અને સંગઠનના અગ્રણીઓએ પાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે પાઠવવામાં આવેલી નોટિસ તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. આંગણવાડી કર્મચારી દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે, "અમે આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવીએ છીએ. હાલમાં અમારા પર ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીનો એટલો બધો ભાર છે કે અમારે રોજેરોજનો ડેટા આપવાનો હોય છે, બાળકો સાથે પ્રવૃત્તિઓ કરવાની હોય છે. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ તેમજ 'પોષણ સુધા' યોજનાની કામગીરી પણ કરવાની હોય છે. આ બધા કામો વચ્ચે અમે બાળકોની પ્રવૃત્તિઓ પણ સરખી રીતે કરાવી શકતા નથી, તો પછી વસ્તી ગણતરી જેવી મોટી કામગીરી કેવી રીતે કરી શકીએ?" ભારતીય મજદૂર સંઘ (BMS) સંલગ્ન આંગણવાડી સંગઠનના અગ્રણી રમેશ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આંગણવાડીના બહેનો સરકારી કર્મચારી નથી, તેઓ માનદ વેતન મેળવતા કર્મચારી છે. સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાયની અન્ય કોઈ કામગીરી ફરજિયાત સોંપી શકાય નહીં. જે બહેનોની ઈચ્છા હોય તે વસ્તી ગણતરીનું કામ કરી શકે છે, પરંતુ જે બહેનો આ કામગીરી નથી કરી રહી તેમને કારણ દર્શક નોટિસ આપીને હેરાન કરવામાં આવી રહ્યા છે." આંગણવાડી બહેનોએ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો પાલિકા તંત્ર દ્વારા નોટિસ પરત ખેંચવામાં નહીં આવે અને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવશે, તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
Read Original Article →