રાજ્યપાલ દેવવ્રતજી દેહરી ગામે રાત્રિસભામાં પહોંચ્યા:વ્યસનમુક્તિ, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો

Gujarat6/6/2026, 5:44:44 AM
રાજ્યપાલ દેવવ્રતજી દેહરી ગામે રાત્રિસભામાં પહોંચ્યા:વ્યસનમુક્તિ, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વલસાડ જિલ્લાના બે દિવસીય પ્રવાસે હતા. શુક્રવારે રાત્રે તેઓ ઉમરગામ તાલુકાના દેહરી-ગોવાડા ગામે યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાયેલી આ સભામાં તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજ્યપાલે વ્યસનમુક્ત ગામ, ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાત્રિસભા પહેલાં, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગામના અનુસૂચિત જાતિના પરિવારના ઘરે પહોંચ્યા હતા. તેમણે કૌશિકભાઈ સુરેશભાઈ માહયાવંશીના પરિવાર સાથે આત્મીય મુલાકાત કરી હતી. રાજ્યપાલે પરિવાર સાથે બેસીને તેમના જીવન વિશે માહિતી મેળવી હતી અને ગામઠી પરંપરા મુજબ દુધીનું શાક, રોટલી, ખીચડી અને મગની દાળ જેવા સાદા ભોજનનો આસ્વાદ લીધો હતો. સભામાં સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, પરિવારમાં પ્રેમ, એકતા અને ભાઈચારો હોય તો તે સ્વર્ગ સમાન બની જાય છે. તેમણે ગ્રામજનોને પોતાના બાળકોને માત્ર શિક્ષિત જ નહીં, પરંતુ સંસ્કારી અને ગુણવાન બનાવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, બાળકો આપણા સમાજની સૌથી મોટી પુંજી છે અને ભાવી પેઢી શિક્ષિત તથા સંસ્કારી હશે તો સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. સ્વાસ્થ્ય અને ખેતી અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. તેમણે ખેડૂતોને યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. સાથે જ, પશુપાલનને ખેતી સાથે જોડીને આવક વધારવાના માર્ગો પણ સૂચવ્યા હતા. રાજ્યપાલે પેટ્રોલ-ડીઝલના ઓછા ઉપયોગ માટે પણ લોકોને પ્રેરિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઈલની આયાત દેશ માટે મોટો આર્થિક બોજ બની રહી છે. તેથી, સામૂહિક પરિવહન અને ઇંધણની બચત સમયની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →