વલસાડની કેરીની વિશ્વભરમાં માંગ, 2 લાખ ટન ઉત્પાદનનો અંદાજ:ધરમપુર કેરી માર્કેટ ધમધમી ઉઠ્યું, 450થી વધુ કેરીના સ્ટોલ ઉભા કરાયા, હજારો આદિવાસીઓને રોજગારી

Gujarat5/27/2026, 2:38:57 PM
વલસાડની કેરીની વિશ્વભરમાં માંગ, 2 લાખ ટન ઉત્પાદનનો અંદાજ:ધરમપુર કેરી માર્કેટ ધમધમી ઉઠ્યું, 450થી વધુ કેરીના સ્ટોલ ઉભા કરાયા, હજારો આદિવાસીઓને રોજગારી
વલસાડ જિલ્લો તેની સુગંધિત અને ઉત્તમ ગુણવત્તાવાળી કેરીઓ માટે દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધુ આંબાવાડી ધરાવતો આ જિલ્લો વલસાડી કેસર અને હાફૂસ કેરી માટે જાણીતો છે. આ કેરીઓની માંગ અમેરિકા, યુરોપિયન અને ગલ્ફ દેશો સુધી પહોંચી છે. નાયબ બાગાયત અધિકારી નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં જિલ્લામાં કુલ 39,076 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. વર્ષ 2025-26ની કેરી સિઝનમાં આશરે 2,14,918 ટન કેરીના ઉત્પાદનનો અંદાજ છે. આ પૈકી 30 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેસર અને 4 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં હાફૂસ કેરીનું વાવેતર થાય છે. રાજાપુરી, લંગડો, દશેરી, આમ્રપાલી, તોતાપુરી અને દેશી કેરી જેવી અન્ય જાતોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. વલસાડ જિલ્લાનું વાતાવરણ આંબાપાક માટે અત્યંત ફાયદાકારક વલસાડ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિઓ આંબાપાક માટે અત્યંત ફાયદાકારક છે. પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકા હાફૂસ કેરી માટે પ્રખ્યાત છે. ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં કુદરતી પદ્ધતિથી મોટા પાયે આંબાવાડીઓ વિકસાવવામાં આવી છે. સિઝન દરમિયાન હજારો આદિવાસીઓને રોજગારી મળે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ધરમપુર કેરી માર્કેટ સિઝન દરમિયાન વેપારીઓ અને ખેડૂતોની અવરજવરથી ધમધમી રહ્યું છે. અહીં 450થી વધુ કેરીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. મુંબઈ, અમદાવાદ, સુરત, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ અહીં વેપાર અર્થે પહોંચે છે. આ માર્કેટમાં સિઝન દરમિયાન 8 થી 10 હજાર આદિવાસીઓને રોજગારી મળે છે. સેંકડો ટ્રકો મારફતે વિવિધ બજારોમાં કેરી મોકલાય છે સ્થાનિક આદિવાસી અને બાગાયતી ખેડૂતો સીધા માર્કેટમાં કેરી વેચાણ માટે આવે છે, જેનાથી તેમને પોતાની કેરીના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે છે. અહીંથી દરરોજ સેંકડો ટ્રકો મારફતે દેશના વિવિધ બજારોમાં કેરી મોકલવામાં આવે છે. અંદાજે 10 હજાર ટન કેરીની નિકાસ વિદેશમાં થાય છે વલસાડ અને ધરમપુર એપીએમસી મારફતે દરરોજ મોટા પ્રમાણમાં કેરીની નિકાસ કરવામાં આવી રહી છે. ધરમપુર માર્કેટમાંથી રોજ આશરે 120 ટન જ્યારે વલસાડ માર્કેટમાંથી 30 ટન કેરી વિદેશ મોકલવામાં આવે છે. સમગ્ર સિઝન દરમિયાન જિલ્લામાંથી અંદાજે 10 હજાર ટન કેરીની નિકાસ અમેરિકા, યુરોપિયન દેશો અને ગલ્ફ દેશોમાં થાય છે. કેરીનું ગ્રેડિંગ કરીને ખુલ્લી હરાજી દ્વારા વેચાણ કરવામાં આવે છે માર્કેટમાં 20 કિલો એટલે કે એક મણના હિસાબે કેરીના ભાવ નક્કી થાય છે. કેરીનું ગ્રેડિંગ કરીને ખુલ્લી હરાજી દ્વારા પારદર્શક વેચાણ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે ખેડૂત અને વેપારી હાથરૂમાલ નીચે હાથ રાખીને ભાવતાલ કરે છે અને બન્નેને અનુકૂળ ભાવ નક્કી થયા બાદ હાથ મિલાવી સોદો પૂર્ણ કરવામાં આવે છે. જિલ્લામાં કેરી આધારિત અનેક નાના-મોટા પલ્પ પ્રોસેસિંગ યુનિટ્સ પણ કાર્યરત છે, જ્યાં કેરીમાંથી પલ્પ તૈયાર કરવામાં આવે છે. આના કારણે વર્ષભર મેંગો પલ્પ અને કેરીનો રસ ઉપલબ્ધ રહે છે. હજારો આદિવાસી પરિવારો માટે જીવનનિર્વાહનું સાધન ધરમપુર કેરી માર્કેટ માત્ર વેપાર પૂરતું સીમિત નથી, પરંતુ આસપાસના આદિવાસી વિસ્તારો માટે રોજગારીનું મોટું કેન્દ્ર પણ બની ગયું છે. ખેડૂત આગેવાન જીવા આહિરે જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન આશરે 8 હજારથી 10 હજાર સ્થાનિક આદિવાસી મજૂરોને રોજગારી મળે છે. કેરી તોડવાથી લઈને કેરેટ ભરવા, ટેમ્પોમાં માલ ચડાવવા-ઉતારવા સહિતના અનેક કામોમાં સ્થાનિકોને રોજગારી મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ હજારો વાહનોને ભાડા મળતા રોજગારીની તકો ઊભી થઈ છે. ધરમપુરના ગોરખડા ગામના દિનેશ ફેલુભાઈ કુંવરે જણાવ્યું હતું કે, કેરી સિઝન દરમિયાન તેમને મજૂરી માટે બહાર જવું પડતું નથી. માર્કેટમાં સતત કામ મળતું હોવાથી તેઓ રોજના રૂ.1200થી રૂ.1500 સુધીની કમાણી કરે છે, જ્યારે વધુ કામ હોય ત્યારે રૂ.1800 સુધી આવક થાય છે. એક સિઝનમાં તેઓ અંદાજે રૂ.50 હજારથી 60 હજાર સુધીની કમાણી કરી લે છે.
Read Original Article →